શાળા સંચાલકો રાજ્યના મુખ્યમંત્રીને મળશે, ‘સીલ’ લાગેલી શાળાને સપ્તાહનો સમય આપવા માંગ કરશે
રાજકોટ સહિત રાજ્યભરની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો ગુરુવારથી થશે પ્રારંભ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.11
આગામી ગુરૂવારથી રાજકોટ સહિત સમગ્ર રાજ્યમાં પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. હાલ અમુક શાળાઓમાં બી.યુ. સર્ટિના અભાવે મહાપાલિકા તરફથી શાળાને સીલ લાગેલા હોવાથી પ્રવેશ પ્રક્રિયા અટકી છે. આવા સંજોગોમાં શાળા સંચાલક મંડળ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને મળી ફાયર એનઓસી તેમજ બી.યુ. સર્ટિ વિગેરે લેવા માટે થોડો સમય આપે તેવી માંગણી કરી શકે છે. વાત આટલેથી જ અટકતી નથી પરંતુ ફાયર સેફ્ટિ પરત્વે લાંબા સમય સુધી શાળા સંચાલકો ઉદાસિન કેમ રહ્યા? ટીઆરપી ગેમ ઝોન કાંડના અગ્નિકાંડની કરૂણાંતિકા સર્જાયા બાદ તંત્ર જાગ્યુ અને તેની સાથોસાથ શાળા સંચાલકો પણ ફાયર સેફ્ટિ સુવિધા, એનઓસી વિગેરે ધરાવતા ન હોવાથી દોડધામ કરવા લાગ્યા, બીજી તરફ અમુક શાળા સંચાલકોમાં પ્રશ્ર્ન ઉદ્ભવી રહ્યો છે કે, શાળાને ‘સીલ’ લાગ્યા છે ત્યારે ફાયર એનઓસી કે બી.યુ. સર્ટિને લગતી કાર્યવાહી કેવી રીતે કરવી ?
‘સીલ’ હોય તેવી શાળાઓનું શું?
- Advertisement -
રાજકોટ શહેર-જિલ્લામાં આવેલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં તા.13ના રોજ ગુરૂવારથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ જશે. બીજી તરફ હાલ ડીઇઓ દ્વારા દરેક ગ્રાન્ટેડ, સરકારી, ખાનગી શાળાઓમાં ચેકિંગની કામગીરી ચાલી રહી છે. આવા સંજોગોમાં શાળાના વર્ગખંડના બે દરવાજા (એન્ટ્રી, એક્ઝિટ) તેમજ નવી મંજૂરી મેળવી હોય તેવી શાળામાં પ્રથમ કે અન્ય ફલોર ઉપર જવા અને આવવા માટે અલગ-અલગ દાદરા (સીડી) હોવી ફરજિયાત છે. બીજી તરફ શાળામાં રમત-ગમતના મેદાન નથી તેવી શાળાઓ સામે પણ કાર્યવાહી જરૂરી છે.