અરબ સાગરમાં હુમલાની ઘટનાથી બોટ ડૂબી, ઓખા કોસ્ટગાર્ડે ખલાસીઓને બચાવી લીધા
8 માછીમારોનો બાલ બાલ બચાવ : જખૌ મરિન પોલીસ મથકે ઘાયલોને સારવાર માટે સોંપાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
અબડાસા તાલુકાના જખૌ દરિયામાં માંગરોળની બોટ પર પાકિસ્તાની મરિન સિક્યુરીટી એજન્સીએ ગુરુવારે સાંજે ફાયરીંગ કરતાં બોટ દરિયામાં ડૂબી ગઇ હતી, જેને ઓખા કોસ્ટ ગાર્ડની ટીમે બોટમાં સવાર 8 માછીમારોને તાત્કાલિક બચાવી લીધા હતા. ઘાયલ માછીમારોને જખૌ પોલીસ મથકને સોપતાં મરિન પોલીસ આગળની કાર્યવાહી કરી હતી. જોકે, દીવ અને ગીર-સોમનાથ જિલ્લાના કેટલાક માછીમારો ઘાયલ થયા તેની વિગતો પ્રાપ્ત થઇ નથી. અતિ સંવેદનશીલ ગણાતા કચ્છના સમુદ્રમાં માછીમારોની સિઝન શરૂ થઇ છે અને એજન્સીઓ દ્વારા પેટ્રોલીંગ સઘન બન્યું છે. તે વચ્ચે ગુરૂવારે સાંજે પાંચ વાગ્યાના અરસમાં માંગરોળની આઇએનડી જી.જે.11-એમએમ-3873, હરસિધ્ધિ-5 નામની માછીમારી બોટ જખૌ અને ઓખા તરફના અરબી સમુદ્રમાં ફિશિંગ કરી રહી હતી ત્યારે જખૌ નજીક પહોંચતાં પાકિસ્તાની મરિન સિક્યુરીટી દ્વારા બોટ ફાયરીંગ કરવામાં આવતા આ મત્સ્ય નૌકાએ જળ સમાધી લીધી હતી.
જો કે, પેટ્રોલીંગમાં રહેલી ઓખા કોસ્ટગાર્ડની ટીમે તાત્કાલિક ઓપરેશન હાથ ધરીને બોટમાં સવાર સાત ખલાસીઓને બચાવી લીધા હતા. જેમાં વણાકબારા-દીવના અમરશી માવજી બામણીયા (ઉ. વ.35), પ્રકાશ માવજી બામણીયા (ઉ. વ.24), કૃણાલ વિનોદ બામણીયા (ઉ.વ.22), કૃણાલ વિનોદ બામણીયા (ઉ. વ.23), પ્રેમ વીરા બામણીયા (ઉ.વ. 22), કાંધીપડા – ઉનાના કાળુભાઈ ગોબરભાઈ સાંખળ (ઉ.વ.27), કોડીનાર-ગીર સોમનાથના મહેશ માનસિંગ વાજા (ઉ.વ.27), ચિત્રવાડા-ગીર સોમનાથના મહેન્દ્ર ભીખાભાઇ મકવાણા (ઉ.વ.37) નામના ઘાયલ તમામ માછીમારોને બચાવીને ઓખા કોસ્ટ ગાર્ડની ટીમે સારવાર માટે જખૌ પોલીસ મથકને સુપ્રત કર્યા હતા.