ખાસ-ખબર સંવાદદાતા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બે દિવસીય દિલ્હીના પ્રવાસે જશે. ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની 8મી બેઠકમાં સહભાગી થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં શનિવાર એટેલે કે તા.27 મી મે ના સવારે 10 કલાકથી યોજાનારી નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની 8 મી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થશે. નીતિ આયોગની આ ગવર્નિંગ કાઉન્સીલમાં દેશના બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્રશાસિત પ્રદેશોના લેફ્ટનન્ટ ગવર્નર્સ અને કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયોના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવેલો છે.
મુખ્યમંત્રી આ બેઠક ઉપરાંત નવનિર્મિત સંસદ ભવનના તા.ર8મી મે રવિવારે યોજાનારા ઉદ્દઘાટન સમારોહમાં તથા ભારતીય જનતા પાર્ટી શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓની પરિષદમાં પણ ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રવિવારે મોડી રાત્રે ગાંધીનગર પરત આવશે અને તા.ર9 મી મે સોમવારે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે રાબેતા મુજબ મુલાકાતીઓને મુલાકાત માટે મળશે.