આવતીકાલથી બે દિવસ યોજાશે દિવ્ય દરબાર
ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર દેશમાં સનાતન ધર્મની જ્યોત પ્રજવલિત કરવા માટે નીકળેલા મધ્યપ્રદેશ સ્થિત બાબા બાગેશ્ર્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી આજે અંદાજે સાંજે 4 વાગ્યે એરપોર્ટ આવી પહોંચશે. રાજકોટ ખાતેના મહાદિવ્ય દરબારની તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. બાગેશ્ર્વર બાબા આજે અમદાવાદનો કાર્યક્રમ પૂરો કરીને સાંજે રાજકોટ આવી રહ્યા હોવાથી તેમના સ્વાગત માટે પણ જોરદાર તૈયારી થઈ રહી છે. રેસકોર્સ ગ્રાઉન્ડમાં ગુરુ અને શુક્ર એમ બે દિવસ માટે બાગેશ્ર્વર બાબાનો દિવ્ય દરબાર યોજાવાનો છે અને તેમાં એક લાખથી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે.બાબા બાગેશ્ર્વરના મહા દિવ્ય દરબાર માટે રેસકોર્સ ગ્રાઉન્ડમાં વિશાળ અને ભવ્ય સ્ટેજ તૈયાર કરવામાં આવ્યું છે.
- Advertisement -
રાજસ્થાનની રજવાડી થીમ ઉપર બનાવવામાં આવેલું ભવ્ય સ્ટેજ, સોફા અને ખુરશીઓ સહિતની બેઠક વ્યવસ્થા પણ તૈયાર થઈ ગઈ છે.શ્રી બાગેશ્ર્વર ધામ સેવા સમિતિના આયોજકોએ વધુમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના સુરત અને અમદાવાદના કાર્યક્રમો ભવ્ય રીતે સફળ થયા બાદ હવે તેઓ રાજકોટ આવી રહ્યા છે. ત્યારે તેમનું અભૂતપૂર્વ સ્વાગત કરવા માટે કાર્યકર્તાઓ અને સનાતની હિન્દુ લોકો થનગની રહ્યા છે.રાજકોટમાં પણ બાગેશ્ર્વર બાબાના મહા દિવ્ય દરબારને લઈને લોકોમાં ભારે ઉત્કંઠા છવાયેલી છે.
રેસકોર્સમાં બે દિવસમાં દિવ્ય દરબાર દરમિયાન સમગ્ર વ્યવસ્થા સુચારુ રૂપે જળવાઈ રહે તે માટે વિવિધ સમિતિઓ બનાવવામાં આવી છે અને દરેકને તેની જવાબદારી સોંપી દેવામાં આવી છે.ન્યુરોસર્જન ડો. હેમાંગ વસાવડાએ કહ્યું હતું કે, મધુરમ ક્લબ દ્વારા રેસકોર્સ ગ્રાઉન્ડમાં બે દિવસ માટે કામ ચલાઉ હોસ્પિટલ ઊભી કરવામાં આવશે અને બાબાના દરબારમાં આવનારા લોકોને કોઈપણ પ્રકારની આરોગ્ય વિષયક સમસ્યા ઊભી થાય તો ડોક્ટર અને નર્સિંગ સ્ટાફની ટીમ ખડે પગે રહેશે.