ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ આગામી તા.17 જુલાઈના રોજ મોહરમ તહેવારને અનુલક્ષીને જિલ્લા કલેકટર અનિલકુમાર રાણાવસિયાની અધ્યક્ષતામાં એકતા સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ઉપસ્થિત તમામ સામાજિક સંસ્થાના આગેવાનોના પરિચય બાદ મહોરમ તહેવારને અનુલક્ષીને જાહેરનામાની અમલવારી, દરખાસ્ત તેમજ જરૂરી વ્યવસ્થા વિશે ચર્ચા થઈ હતી.
જિલ્લા કલેકટરે મહોરમના તહેવાર દરમિયાન પરંપરાગત રીતને જાળવી રાખવા તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેની તકેદારી રાખવા તેમજ સંબંધિત અધિકારીઓને તહેવાર પહેલા તુટેલા રસ્તાને રીપેર કરવા, સ્વછતા તથા રસ્તા પર જર્જરીત મકાન હોય તો તેની તપાસ કરી જરૂર જણાય તો મકાનને દૂર કરવા, પીવાના પાણીની વ્યવસ્થા ઉપરાંત કંટ્રોલ રૂમ શરૂ કરવો, તાજીયાની પૂર્ણાહુતી દરમિયાન ટ્રાફિક ન થાય તેમજ ભાગદોડ ન થાય તે માટે બેરીકેટ રાખવા જેવી સમિતિના અગ્રણીઓના સુચનો ધ્યાને રાખવા ખાતરી આપી હતી
વીજ પુરવઠાના પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવા તેમજ તાજિયા દરમિયાન વીજતારની તકેદારી રાખવાનું સૂચિત કર્યું હતું.આ સમયગાળા દરમિયાન કોઈપણ વ્યક્તિએ શસ્ત્ર, દંડા, તલવાર, ભાલા, ધોકા, છરી, લાકડી, લાઠી, શારીરિક ઇજા પહોંચાડી શકે તેવા કોઇપણ પ્રકારના સાધન, કોઇપણ પ્રકારના ક્ષયકારી અને સ્ફોટક દારૂગોળો જેવા પદાર્થો વગેરે સાથે રાખવાની સખ્ત મનાઇ છે.આ મોહરમ તહેવાર સબબ બેઠકમાં એસપી હર્ષદ મહેતા, અધિક નિવાસી કલેક્ટર એન.એફ.ચૌધરી, પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલ સહિતના અધિકારીઓ તેમજ સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.