12 વર્ષના મયુરસિંહના જંગલમાંથી અવશેષો મળ્યા, માંડ 50 પગથિયા ચઢ્યા ત્યાં હુમલો કર્યો
સિંહોના વધતાં હુમલાથી ફફડાટઃ ગિરનારમાં વહેલી સવારની ઘટનાથી પ્રવાસીઓ સ્તબ્ધ
- Advertisement -
મુખ્ય સીડીથી માત્ર 100 મીટર દૂર માસૂમના પગનાં અવશેષો મળ્યાં
અમરેલી જિલ્લામાં સિંહો દ્વારા માનવ વસાહત પર હુમલા કરીને હાહાકાર મચાવ્યા બાદ હવે જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર કમકમાટીભરી અને કાળજું કંપાવનારી ઘટના સામે આવી છે. ગિરનાર પર્વતની સીડીઓ પર વહેલી સવારે સેંકડો શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે સિંહે ૧૧ વર્ષના માસૂમ બાળક પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાધો છે. છેલ્લા કેટલાક દિવસોથી માણસો પર સિંહોના હુમલાના બનાવોમાં ચિંતાજનક વધારો થયો છે, ત્યારે ગિરનાર પર્વત જેવા પવિત્ર યાત્રાધામમાં બનેલી આ ભયાનક દુર્ઘટનાથી સમગ્ર ગુજરાતના પ્રવાસીઓ અને સ્થાનીય લોકો સ્તબ્ધ થઈ ગયા છે અને ભયનો માહોલ વ્યાપી ગયો છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ખેડા જિલ્લાના મહેમદાબાદ તાલુકાના મોડજ ગામના રહેવાસી મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના પરિવાર સાથે ગિરનાર પર્વતના દર્શનાર્થે આવ્યા હતા. આજે વહેલી સવારે આશરે ૫:૪૫ વાગ્યાની આસપાસ જ્યારે સેંકડો પ્રવાસીઓ સીડીઓ ચઢી રહ્યા હતા, ત્યારે ૧૧ વર્ષીય મયુર મહેન્દ્રસિંહ ચૌહાણ પોતાના પરિવાર સાથે આગળ ચાલી રહ્યો હતો અને તેના પિતા થોડા નીચે હતા. આ દરમિયાન ગિરનારના માત્ર ૫૦ પગથિયે અચાનક એક સિંહે પરિવારની હાજરીની પરવા કર્યા વિના માસૂમ મયુર પર તરાપ મારી હતી. સિંહ પલકવારમાં બાળકને મોઢામાં દબાવીને જંગલ તરફ ભાગી ગયો હતો. હસતું-ખેલતું બાળક અચાનક પોતાની નજર સામે કાળનો કોળિયો બની જતાં
- Advertisement -
માતા- પિતાએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલ વન વિભાગે સિંહને પાંજરે પૂરવા માટે તજવીજ શરૂ કરી છે, પરંતુ પરિવારે પોતાના વહાલસોયા બાળકને ગુમાવતા ચૌહાણ પરિવારમાં ક્યારેય ન પુરાય તેવી ખોટ પડી છે. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જંગલ વિસ્તારમાં બાળકને શોધવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સિંહ બાળકને ઢસડી ગયો હોવાના લીસોટા અને બાળકના બૂટના આધારે વન વિભાગે તપાસ આગળ ધપાવી હતી. સીડીથી માત્ર ૧૦૦ મીટરના અંતરે માસૂમ મયુરના પગના અવશેષો મળી આવતા વન વિભાગ અને પરિવારના સભ્યો સ્તબ્ધ થઈ ગયા હતા. આ કરુણ દ્રશ્ય જોઈને ત્યાં હાજર તમામ લોકોની આંખો ભીની થઈ ગઈ હતી.
વન વિભાગે ગિરનાર રેન્જમાંથી એક સિંહને પાંજરે પૂર્યો
જૂનાગઢ ગિરનાર દર્શન કરવા આવેલા પરિવારના ૧૧ વર્ષીય મયુરને સિંહ ઉપાડી જવાની ઘટનામાં મૃત્યુ નિપજતા વન વિભાગ દોડતું થયું હતું. આજ સવારથી વન વિભાગના ઉચ્ચ અધિકારી દ્વારા અલગ અલગ ટિમો બનાવી ગિરનાર રેન્જમાં પાંજરા ગોઠવી સિંહને પકડી રેસ્ક્યુ કામગીરી શરુ કરી હતી હાલ મળતી વિગત પ્રમાણે વન વિભાગે એક સિંહએન પાંજરે પૂર્વમાં આવ્યો છે. વનતંત્ર દ્વારા આ સિંહ બાળક ઉપર હુમલો કર્યો એછે કે, અન્ય સિંહ તેની વધુ તપાસ શરુ કરી છે. હાલ પાંજરે પૂરાએલા સિંહને સક્કબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે લઈ જવામાં આવ્યો છે. અને વધુ તપાસ શરુ કરી છે.
વિકાસની મોટી વાતો વચ્ચે ગિરનાર પર અંધારપટઃ મૃતક પરિવારનો આક્રોશ
એક તરફ ગિરનારના વિકાસની મોટી-મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ બીજી તરફ યાત્રાળુઓ માટેની પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. ગિરનાર પર્વતની સીડીઓ પર લાઈટો ચાલુ ન હોવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. મૃતક બાળકના શોકતુર પરિવારજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, વહેલી સવારે જ્યારે તેઓ સીડી ચઢી રહ્યા હતા ત્યારે સીડી પર લાઈટો બંધ હતી અને અંધારાનો લાભ લઈને જ સિંહ તેમના બાળકને ઉપાડી ગયો હતો. પ્રવાસીઓની સુરક્ષા માટે ગિરનારના આ રૂટ પર તાત્કાલિક લાઈટો ચાલુ કરવી અત્યંત જરૂરી છે.
સિંહના હુમલા બાદ યાત્રાળુઓ પર અંકુશ લાવતું વન વિભાગ
ગિરનારના ૫૦ પગથિયે બનેલી સિંહના હુમલાની ભયાનક દુર્ઘટના બાદ હવે વન વિભાગ દ્વારા કડક નિયમો લાગુ કરવામાં આવે તેવી પ્રબળ ચર્ચા જાગી છે. આગામી પવિત્ર શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે ત્યારે જટાશંકર મહાદેવના દર્શનાર્થે જતા હજારો શ્રદ્ધાળુઓ અને ટ્રેકર્સના રૂટ પર ફોરેસ્ટ વિભાગ દ્વારા કડક પ્રતિબંધો અથવા સમય મર્યાદા લાદવામાં આવી શકે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે વન વિભાગ પોતાની લાપરવાહી છુપાવવા માટે હવે યાત્રાળુઓ પર તવાઈ બોલાવશે. પાડાના વાકે પખાલીને ડામ જેવો ઘાટ સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે.
45 દિવસમાં સિંહના હુમલાની 9 ઘટના
1. બગસરા તાલુકાના ઘંટીયાળ ગામે ૭ વર્ષ ના બાળક ઉપરથી હુમલો કર્યો અને માનવનું મોત થયું.
2. સવારકુંડલના જુના સવાર ગામે ૬૦ વર્ષ ના ખેડૂત ઉપર હુમલો અને મોત.
3. રાજુલા તાલુકાના કોવાયા ગામે પરપ્રાંતિય અંદાજિત ૩૫ વર્ષના યુવક ઉપર સિંહનો હુમલો અને મોત
4. ખાંભા તાલુકાના ચતુરી ગામે છ વર્ષના બાળકો પર હુમલો અને મોત
5. લીલીયા તાલુકાના અંટાળીયા પાસે સોહીલ નામના ૨૧ વર્ષના યુવક ઉપર હુમલો અને મોત.
ઘટના માનવ ઇજા
1. રાજુલાના વડગામે ખેત મજૂર મહિલા ઉપર સિંહને હુમલો કર્યો અને ઈજા પહોંચાડી જેમાં મહિલાનો બચાવ
2. સાવરકુંડલાના ઠવી ગામે રાજુ વાઘેલા નામના યુવક ઉપર સિંહ હુમલો કર્યો જેમાં બચાવ થયો.
ભાવનગર જિલ્લો
1. પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામમાં માનવ ઉપર સિંહ હુમલો
2. મહુવા તાલુકાના ગઢડા ગ્રામીણ વિસ્તારોમાં સિંહ હુમલો જેમાં મોત
વન વિભાગની બેદરકારી સામે જનતાનો આક્રોશ
આ ભયાનક ઘટના બાદ વન વિભાગની ઘોર લાપરવાહી સામે સ્થાનીય લોકો અને યાત્રાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. એવી ચર્ચાઓએ જોર પકડ્યું છે કે છેલ્લા એક અઠવાડિયાથી આ ચોક્કસ વિસ્તારમાં ત્રણ સિંહો મુક્તપણે હરી-ફરી રહ્યા હતા. છેલ્લા ૩ દિવસથી આ સિંહો ગિરનારની સીડીઓની બિલકુલ નજીક હોવાની પાકી માહિતી હોવા છતાં વન વિભાગે તેમને જંગલમાં અંદર કેમ ન ખસેડયા? આવા અનેક વેધક સવાલો અત્યારે ચર્ચાનો વિષય બન્યા છે.




