પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા સ્થાનિકોને પાણીમાંથી પસાર થવું પડે છે
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.10
- Advertisement -
રાજ્ય સરકારની કરોડોની ગ્રાન્ટ વિકાસના કામે વપરાશ થાય છે પરંતુ સ્થાનિક તંત્રના કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ સરકારની ગ્રાન્ટને વેડફે છે. ત્યારે હાલમાં જ કમોસમી વરસાદી માવઠાએ આ પ્રકારના સરકારી વિકાસના કામોની પોલ ખુલ્લી પડી હતી જેમાં મૂળી તાલુકાના સરા ગામે હાલમાં જ થયેલ વરસાદી માવઠાને લીધે પાણી ભરવાથી ગંદકી અને મચ્છરનો ઉપદ્રવ થવા લાગ્યો છે.
વરસાદી પાણીનો યોગ્ય નિકાલ નહીં થતા અહીં પાણીનો જમાવડો થયો છે અને પાણી નિકાલ નહીં થવાથી ગંદકી થઈ રહી છે. પાણીનો નિકાલ નહીં હોવાથી આ વિસ્તારમાં રહેતા સ્થાનિકોને ઘરથી બહાર નીકળવામાં પણ ખૂબ જ અગવડ પડી રહી છે. જ્યારે નાના ભૂલકાઓ અને મહિલાઓને ઘરેથી બહાર નીકળતા જ ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે.
જોકે સરા ગ્રામ પંચાયતને આ અંગે રજૂઆત કરાઈ છે છતાં પણ હજુસુધી પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો નથી જેને લઇ ગંદકી ભર્યું વરસાદી પાણી હવે દુર્ગંધ મારી રહ્યું છે આ તરફ બે ત્રણ દિવસથી ગંદુ પાણી ભરાઈ રહેવાના લીધે હવે બીમારી ફેલાવતા મચ્છરોનો ઉપદ્રવ પણ થયો છે જેથી સ્થાનિકોને બિમારીનો ભય સતત સતાવી રહ્યો છે ત્યારે સરા ગ્રામ પંચાયત દ્વારા તાત્કાલિક ભરાવો થયેલ વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થાય તેવી માંગ ઉઠવા પામી છે.