રાજકોટ DEO કચેરીની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા
લિવિંગ સર્ટિફિકેટ એક સ્કૂલનું, પરિણામ બીજી સ્કૂલના નામે : બે વર્ષથી દસ્તાવેજ સુધારવા વાલી ધક્કા ખાય છે
- Advertisement -
ભૂલ કોણે કરી અને ભોગ વિદ્યાર્થી કેમ બને? ડમી સ્કૂલ ચલાવનાર સામે કાર્યવાહી કરવાની જગ્યાએ વિદ્યાર્થીને જ ફરી એ જ વ્યવસ્થામાં ધકેલવો એ કેવો ન્યાય?
ગુજરાતમાં ડમી સ્કૂલો અને બોગસ એડમિશન સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે જેતપુરના વિદ્યાર્થી દેવ પ્રદુલભાઈ યાદવનો કિસ્સો શિક્ષણ વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે. પરિવારના જણાવ્યા મુજબ, વર્ષ
2022-23માં ધોરણ 11-12 માટે જેતપુરની એપ્સિલોન સાયન્સ એકેડેમીમાં વિદ્યાર્થીને પ્રવેશ અપાયો હતો. રૂ.80,000ની સ્કોલરશીપ આપવાની લાલચ આપવામાં આવી હોવાનું વાલી જણાવે છે. એકેડેમી માત્ર ક્લાસીસ સ્વરૂપે
ચાલતી હતી અને વિદ્યાર્થીનું લિવિંગ સર્ટિફિકેટ શ્રીજી વિનય મંદિર, જેતપુર ખાતે રાખવામાં આવ્યું હતું.
ધોરણ 12નું પરિણામ આવ્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો. વિદ્યાર્થીના પરિણામમાં કમરીબાય હાઈસ્કૂલ, જેતપુરનું નામ દર્શાવવામાં આવ્યું હતું, જ્યારે લિવિંગ સર્ટિફિકેટ અન્ય શાળાનું હતું. આમ, વિદ્યાર્થીના શૈક્ષણિક
દસ્તાવેજોમાં અલગ-અલગ સ્કૂલોના નામ સામે આવતા ગંભીર વિસંગતતા સર્જાઈ.
- Advertisement -
ફરિયાદ બાદ સ્કૂલ સામે કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને જ બીજી સ્કૂલમાં પ્રવેશ લેવાનો આદેશ?
વાલીએ સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ ફરિયાદ કરી હતી. પરંતુ વાલીના જણાવ્યા મુજબ, સંબંધિત સ્કૂલ અને સમગ્ર વ્યવસ્થાની જવાબદારી નક્કી કરીને કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને નિયમિત પરિણામ
મળ્યા બાદ જે સ્કૂલનું નામ પરિણામમાં દર્શાવવામાં આવ્યું હતું ત્યાં “રીપીટર” તરીકે પ્રવેશ લેવાનો આદેશ કરવામાં આવ્યો. અર્થાત્, જે વિસંગતતા વિદ્યાર્થીની ભૂલ વિના સર્જાઈ હતી તેના માટે જવાબદાર વ્યવસ્થા સામે
કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને જ ફરીથી તે જ વ્યવસ્થાનો ભોગ બનાવવામાં આવી રહ્યો હોવાનો ગંભીર આક્ષેપ પરિવાર દ્વારા કરવામાં આવ્યો છે.
બંધ થયેલી શાળાના નામે 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ હોવાનો આક્ષેપ
વાલીના જણાવ્યા મુજબ, વિદ્યાર્થીને શ્રીજી વિનય મંદિર, જેતપુરનું વર્ષ 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું. તપાસ કરતાં આ શાળા સરકારી રેકોર્ડ મુજબ વર્ષ 2019માં બંધ થઈ ગઈ હોવાનું સામે આવ્યું હોવાનું
વાલી જણાવે છે. આ મામલો સામે આવ્યા બાદ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત શાળાને રૂ.1.50 લાખનો દંડ કરવામાં આવ્યો હોવાનું પણ પરિવાર જણાવે છે. તેમ છતાં વિદ્યાર્થીના દસ્તાવેજોની વિસંગતતા હજુ સુધી દૂર થઈ
નથી. વાલીનો આક્ષેપ છે કે છેલ્લા બે વર્ષથી તેઓ દર મહિને અનેક વખત જેતપુરથી રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. ફી એપ્સિલોનના સંચાલકના ખાતામાં ભર્યાના પુરાવા પણ પરિવાર પાસે હોવાનું
જણાવાયું છે.
રોહિતસિંહ રાજપૂત : વિદ્યાર્થીની ભૂલ નથી તો સજા વિદ્યાર્થીને કેમ?
કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જણાવ્યું કે, “અમે ડમી સ્કૂલો અને બોગસ એડમિશનનો વિરોધ એટલા માટે કરીએ છીએ કે કેટલાક સંચાલકોના સ્વાર્થનો ભોગ અંતે વિદ્યાર્થી બને છે. આ કિસ્સામાં તો હદ થઈ ગઈ છે.
વિદ્યાર્થીની ભૂલ વગર તેના દસ્તાવેજોમાં અલગ-અલગ સ્કૂલોના નામ આવ્યા અને ફરિયાદ કરવા છતાં જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાને બદલે વિદ્યાર્થીને જ રીપીટર તરીકે ફરી પ્રવેશ લેવાનો આદેશ કરવામાં આવ્યો
હોવાનો વાલીનો આક્ષેપ છે. મારો સીધો સવાલ શિક્ષણ વિભાગને છે ભૂલ કોણે કરી અને ભોગ વિદ્યાર્થી કેમ બને? ડમી સ્કૂલ ચલાવનાર સામે કાર્યવાહી કરવાની જગ્યાએ વિદ્યાર્થીને જ ફરી એ જ વ્યવસ્થામાં ધકેલવો એ કેવો
ન્યાય? બંધ થઈ ગયેલી હોવાનું જણાવાતી શાળાના નામે વર્ષ 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ કેવી રીતે આવ્યું તેની પણ નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. જો આ આક્ષેપો સાચા હોય તો જવાબદારી માત્ર સંચાલકની નહીં, પરંતુ
સમગ્ર પ્રક્રિયાની તપાસ કરીને સંબંધિત અધિકારીઓની પણ નક્કી થવી જોઈએ. વાલીને પૈસા નથી જોઈતા, પોતાના બાળકના સાચા અને કાયદેસર દસ્તાવેજો જોઈએ છે. અમે આ વિદ્યાર્થીને ન્યાય અપાવવા તેની સાથે છીએ.
જરૂર પડશે તો શિક્ષણમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરીશું અને સમગ્ર મામલાની ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરીશું.”
જિલ્લા શિક્ષણ વિભાગ પાસે માંગ
વિદ્યાર્થીના તમામ શૈક્ષણિક દસ્તાવેજોની તાત્કાલિક ચકાસણી કરી વિસંગતતા દૂર કરવામાં આવે.
લિવિંગ સર્ટિફિકેટ અને ધો.12ના પરિણામમાં અલગ-અલગ સ્કૂલના નામ કેવી રીતે આવ્યા તેની તપાસ કરવામાં આવે.
2019માં બંધ થયેલી હોવાનું જણાવાતી શાળાના નામે 2024-25નું લિવિંગ સર્ટિફિકેટ કેવી રીતે આપવામાં આવ્યું તેની તપાસ થાય.
વિદ્યાર્થીને રીપીટર તરીકે પ્રવેશ લેવાનો આદેશ કયા નિયમ હેઠળ કરવામાં આવ્યો તેની સ્પષ્ટતા કરવામાં આવે.
ડમી સ્કૂલ/બોગસ એડમિશન અંગે જવાબદાર વ્યક્તિઓ સામે નિયમ મુજબ કાર્યવાહી થાય.
વિદ્યાર્થીના ભવિષ્યને નુકસાન ન થાય તે રીતે તાત્કાલિક અધિકૃત દસ્તાવેજ સુધારણા કરવામાં આવે.




