ખાસ-ખબર સંવાદદાતા
પાંચથી વધુ તાલુકાને અડીને આવેલા કચ્છના નાના રણમાં પરંપરાગત રીતે અગરીયાઓ મીઠુ પકવીને રોજગારી મેળવે છે ત્યારે હાલમાં અગરીયાઓને રણમાં પ્રવેશ માટે અગરકાર્ડ ફરજિયાત કરી દેવામાં આવ્યું છે.અને અગરીયાઓને અગરકાર્ડ મેળવી લેવા માટે સૂચના આપવામાં આવી છે ત્યારે નવલખીથી એંજાર સુધી સર્વે અને સેટલમેન્ટ દ્વારા 700 અગરીયાઓની યાદી બહાર પાડવામાં આવી છે જેમાં 90 ટકાથી વધુ અગરીયાઓ નામથી વંચિત રહી જતા અગરીયાઓ નામ ઉમેરવા માટે અલગ અલગ જગ્યાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ચૂક્યા છે જેમાં પાટડી ખાતે મળેલી બેઠકમાં પણ અગરીયાઓને મીઠુ પકવવા દેવાની રાજકીય નેતાઓ દ્વારા હૈયાધારણા આપવામાં આવી હતી પરંતુ આ હૈયાધારણા સફળ ન થતા આખરે વિવિધ ચેક પોસ્ટ પર વન વિભાગ દ્વારા એસઆરપીનો ખડકલો કરી દેવામાં આવ્યો છે ત્યારે અગરકાર્ડ માટે ફરી એકવાર ચારથી વધુ ધારાસભ્યો, વનમંત્રી અને અગરીયાઓ વચ્ચે બેઠક મળી હત જેમાં ફરી એક વખત 10 એકરીયા અગરીયાઓને અગરકાર્ડ આપીને રણમાં પ્રવેશ મળશે અને તેઓ રણમાં મીઠુ પકવી શકશે સાથે જ્યાં મીઠુ પકવે છે ત્યાં સર્વે થશે તેવું કહેવામાં આવ્યું છે. પરંતુ અગરીયાઓને અગરકાર્ડ વગર રણમાં પ્રવેશ નહીં મળે તેવું ડીએફઓ દ્વારા જણાવવામાં આવ્યું છે અને આજદીન સુધી કોઈ પરીપત્ર કે કોઈ સૂચના હજુ સુધી વન વિભાગને મળી નથી.