રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે શિક્ષણમંત્રી વાઘાણી સાથેની બેઠકમાં ગીતા-રામાયણ-મહાભારતને પણ અભ્યાસક્રમમાં સામેલ કરવા હિમાયત કરી
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાજ્ય સરકારને ધોરણ-1થી સંસ્કૃતનું શિક્ષણ ફરજીયાત બનાવવા જણાવ્યું છે. સુત્રોનાં જણાવ્યા અનુસાર સંઘ અને તેના સહયોગીના વરિષ્ઠ પ્રતિનિધિઓએ એપ્રિલમાં શિક્ષણપ્રધાન જીતુ વાઘાણી વિભાગના વરિષ્ટ અધિકારીઓ અને ગુજરાત ભાજપને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ અંગે ચર્ચા કરવા માટે મળ્યા હતા. તેમજ રત્નાકરના સંગઠન મહાસચિવને મળ્યા હતા.
- Advertisement -
સંઘે શાળાના અભ્યાસક્રમમાં ભગવદ્ ગીતા, રામાયણ અને મહાભારતનો સમાવેશ કરવાની પણ હિમાયત કરી હતી.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ 25 જેટલા વરિષ્ઠ સરકારી પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી. જેમાં વિદ્યા ભારતી, શશિક મહાસંઘ, સંસ્કૃત ભારતી, ભારતીય શિક્ષણ મંડળ સહિત આરએસએસ સંલગ્ન સંસ્થાઓના 20 જેટલા પ્રતિનિધિઓએ સંસ્કૃત શિક્ષણ પર મુખ્ય ભાર મુક્યો હતો. સંઘે શાળાના અભ્યાસક્રમમાં ભગવદ ગીતા, રામાયણ અને મહાભારતનો સમાવેશ કરવા, વૈદિક ગણિતને ફરજીયાત બનાવવા, ઉપનિષદો, વેદોના આધારે મૂલ્ય શિક્ષણ પ્રદાન કરવા અને ખાનગી યુનિવર્સિટીઓનું નિયમન કરવાની પણ હિમાયત કરી હતી.
માહિતી અનુસાર આ બેઠક દરમિયાન આરએસએસએ તેના પ્રેઝન્ટેશનમાં રાજ્ય સરકારને સંસ્કૃત માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા છ વર્ગો ફાળવવા કહ્યું હતું.
ત્રણ ભાષાના સુત્રમાં સંસ્કૃતને વિશેષ પસંદગી આપવી જોઇએ અને શાળાઓએ પ્રાથમિક વર્ગોમાં સારું અંગ્રેજી શીખવવું જોઇએ પરંતુ ભારતીય ભાષાઓની કિંમત પર નહીં, રસપ્રદ વાત એ છે કે એનઇપી 2020માં ત્રણ ભાષાની ફોમ્ર્યુલા શાળામાં ફરજીયાતપણે શીખવવા માટે કોઇ ચોક્કસ ભાષાને નિર્ધારિત કરતી નથી. બાળકો દ્વારા શીખવાની ત્રણ ભાષાઓએ રાજ્યો, પ્રદેશો અને અલબત વિદ્યાથીઓની પોતાની પસંદગી હશે, નીતિ મુજબ ત્રણ ભાષાઓમાંથી ઓછામાં ઓછી બે ભાષાઓ ભારતની મૂળ ભાષાઓ હશે.
- Advertisement -
સુત્રોના જણાવ્યા અનુસાર, એનઇપીનાં અમલીકરણ પર સંઘ અને રાજ્ય સરકાર વચ્ચે જુલાઈમાં બેઠક થવાની સંભાવના છે. આરએસએસના સુચનો લાગુ કરવા અંગે શિક્ષણ મંત્રી વાઘાણીએ કહ્યું કે અમને ઘણા સુચનો મળી રહ્યા છે.ગુજરાત સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે યોજનાઓ શરુ કરી છે. વર્ષ 2019માં સરકારે ગુજરાત સંસ્કૃત શિક્ષણ બોર્ડની પણ શરુઆત કરી હતી.