CNG ગેસના વધતા ભાવો મુદ્દે હવે ગુજરાતના રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં
12મીએ રાજ્યપાલને આવેદન પાઠવશે : તા. 12 અને 16 રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે
રાજકોટમાં રિક્ષાચાલકો પણ જોડાશે, સુત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શિત કરશે
ખાસ-ખબર સંવાદદાતા
પેટ્રોલ-ડીઝલ બાદ હવે સીએનજીનો પણ ભાવ વધારો લોકોની કમર ભાંગી રહ્યો છે. સીએનજીના ભાવ વધારા સામે હવે ગુજરાતના રીક્ષા ચાલકો લડી લેવાના મૂડમાં આવી ગયા છે. 15 અને 16 નવેમ્બરે ગુજરાતના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. રાજ્યભરમાં રીક્ષાચાલકો સીએનજીના ભાવવધારના વિરોધમાં 14 તારીખે કાળીપટ્ટી બાંધી વિરોધ નોંધાવશે. 15 અને 16 તારીખે રાજ્યભરના રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ કરશે. રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો સમિતિએ દાવો કર્યો છે. આ અંગે રાજકોટ રિક્ષાચાલક એસો. ના પ્રમુખ અશ્ર્વિનભાઈએ જણાવ્યું હતું કે, સી.એન.જી ગેસમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે. જેના કારણે દિવાળી ઉપર જ રીક્ષા ચાલકોએ ભાડામાં વધારો કર્યો હતો.
ત્યાર બાદ અમદાવાદ આરટીઓ સર્કલ ખાતે રાજ્ય સરકાર અને વિવિધ રીક્ષાચાલકોના યુનિયનો સાથે બેઠકોનો ધમધમાટ શરૂ થયો હતો. જેમાં કોઈપણ પ્રકારનો નિર્ણય આવ્યો ન હતો. ત્યારે આગામી દિવસોમાં રાજકોટમાં સીએનજી રીક્ષાચાલકો સીએનજી ભાવ વધારાનો વિરોધ કરી સુત્રોચ્ચાર કરશે.
- Advertisement -
સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિએ આંદોલનની રૂપરેખા તૈયાર કરી છે. જેમાં આવતીકાલે રાજ્યભરના જુદા જુદા રિક્ષાચાલક યુનિયનોની બેઠક મળશે. તો 12 તારીખે રીક્ષા ચાલક યુનિયન રાજ્યપાલને આવેદન પત્ર આપી રજૂઆત કરશે. ત્યારે બાદ 14 નવેમ્બરે કાળી પટ્ટી બાંધી રિક્ષાચાલકો વિરોધ નોંધાવશે. અને ત્યાર બાદ 15 અને 16 તારીખે રીક્ષા ચાલકો 36 કલાકની હડતાળ પર ઉતરશે. જેમાં રાજ્યભરમાં 15 લાખ રીક્ષાના પૈડા થંભી જવાનો સમિતિએ દાવો કર્યો છે.
આ હડતાળ વિશે સીએનજી ભાવ વધારા વિરોધી સમિતિના અશોક પંજાબીએ જણાવ્યું કે, સી.એન.જીના ભાવમાં ઘટાડો કરવા સહિત આર્થિક સહાય આપી રીક્ષા ભાડું વધારવાની માંગ કરી છે. મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા મંત્રી પૂર્ણેશ મોદી સાથે બેઠક યોજાયી હતી. જેમાં બેથી ત્રણ વ્યક્તને બોલાવી ભાવ વધારો મંજૂર કરવામાં આવ્યો હોવાના આક્ષેપ કર્યા છે. જેથી હવે 18 રૂપિયાથી વધારી મિનિમમ ભાડું 20 રૂપિયા કરવાની માંગ કરવામાં આવી રહી છે. સાથે પેટ્રોલ-ડીઝલમાં વેટનો ઘટાડો કર્યો તેવી જ રીતે સી.એન.જીના ભાવમાં પણ વેટ ઘટાડી રાહત આપવાની માંગ રીક્ષા ચાલકોએ કરી છે. આ સાથે જ 15 તારીખ બાદ પણ માગ ના સ્વીકારાય તો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી છે. 21 તારીખથી અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરવા મક્કમતા દર્શાવાઈ છે. જો સરકાર સીએનજીમાં ભાવવધારો પાછો ખેંચે તો હડતાળ ના કરવાની પણ સમિતિમાં ચર્ચા થઈ.



