રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
ગાંધીગ્રામ પોલીસે 1.60 લાખના ત્રણ ચોરાઉ બાઈક કબ્જે કર્યા
- Advertisement -
રાજકોટની રૈયા ચોકડી નજીકથી રેકી કરી પાર્ક કરેલી કિંમતી સ્પોર્ટ્સ બાઇક ચોરીને રાજસ્થાન લઇ જતી ગેંગના ચાર શખ્સને ગાંધીગ્રામ પોલીસની ટીમે ઝડપી લીધા છે. પોલીસે ચારેયની પૂછપરછ કરતાં અલગ-અલગ સ્થળેથી ત્રણ બાઇક ચોરી કર્યાની કબૂલાત આપતા 1.60 લાખના ત્રણ ચોરાઉ બાઇક કબજે કર્યા છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલિક, ડીસીપી રાકેશ દેસાઇની સૂચના અન્વયે ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ.પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.ગોહિલની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ ચેતનસિંહ ગોહિલ, ભવદીપસિંહ ગોહિલ, રોહિતદાન ગઢવી, પ્રશાંતભાઈ ગજેરા અને કૌશિકભાઈ ડાંગર સહિતને મળેલી બાતમી આધારે ડિકોય ગોઠવી રાજસ્થાની ગેંગના ચાર શખ્સોને શંકાસ્પદ હાલતમાં ઝડપી લીધા હતાં પકડાયેલા શખસોના નામ પૂછતાં મૂળ રાજસ્થાનના હાલ રાજકોટ રૈયા ચોકડી પાસે રહેતા કમલકિશોર પુનમચંદ ગરાસીયા, રાહુલ મગનલાલ કટારા, પ્રવિણકુમાર મંગલસિંહ કટારા અને રોહિતભાઇ સંતુલાલ પારધી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ પાસેથી યામાહા આર 15, નં. જીજે-04-ડીએમ-2752, કેટીએમ આરસી 125, નં. GJ-03-LK-2772, અને હીરો સ્પ્લેન્ડર જીજે -13-એસ -2594 મળી કુલ રૂ.1.60 લાખની ત્રણ બાઇક કબજે કરી ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના બે તથા યુની. પોલીસ સ્ટેશનનો એક મળી કુલ ત્રણ ગુનાના ભેદ ઉકેલયા છે આરોપીઓ રાજસ્થાનથી મજૂરી કામ માટે રાજકોટ આવી મોડી રાત્રે શહેરમાં અલગ-અલગ શેરીઓમાં પગપાળા ફરી રેકી કરતા હતા. જાહેર રોડ પર હેન્ડલ લોક વગરની સ્પોર્ટ્સ બાઇક પાર્ક કરેલી નજરે પડે તો તેની ચોરી કરી નંબર પ્લેટ કાઢી નાખતા અને બાઇક પોતાના વતન રાજસ્થાન લઇ જતા હતા. મજુરી કામ માટે રાજકોટ આવતા હતાં. બાદમાં તેમને જયારે વતન જવું હોય ત્યારે તે બાઇક ચોરી કરતા હતા. ખાસ કરીને સ્પોર્ટસ બાઇક ચોરી કરતા કારણ બાદમાં તે આ બાઇક લઇ પોતાના વતન જઇ સીનસપાટા કરતા હતાં.
જેતપુર PGVCLમાં ૧૫.૮૦ લાખના કૌભાંડમાં ચાર અધિકારી સહિત છ સામે સીટી પોલીસમાં ફરિયાદ : અંગત આર્થિક લાભ ખાતર ઉચાપત કરવાના બનાવમાં ગુનાહિત વિશ્વાસઘાત અને ષડયંત્રનો ગુનો
જેતપુર પીજીવીસીએલમાં અતિ ચર્ચિત મટીરીયલ્સ કૌભાંડમાં કાર્યપાલક ઈજનેરની ફરીયાદના આધારે સીટી પોલીસે પીજીવીસીએલના ૪ જવાબદાર અધિકારીઓ, એક કોન્ટ્રાક્ટર અને એક ડ્રાઈવર સામે સત્તાનો ગેરઉપયોગ કરી, બોગસ દસ્તાવેજોના આધારે અંગત આર્થિક લાભ ખાતર ઉચાપત કરવાના બનાવમાં ગુનાહિત વિશ્વાસઘાત અને ષડયંત્રનો ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. પીજીવીસીએલ જેતપુર વિભાગીય કચેરી ખાતે આવેલ સ્ટોર તથા કાર્યક્ષેત્રમાં વીજ સામગ્રીને લગત માલ સામાનનો કચેરીના જ ઉચ્ચ અધિકારીઓ તથા કર્મચારીઓ ગેરકાયદેસર દુરુપયોગ કર્યો હોવાની ગત ૬ મે ના રોજ મેસર્સ ઝોડીયાક પી.વી. સોલાર પ્રાઈવેટ લિમીટેડ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયને ફરીયાદ કરવામાં આવી હતી. ફરીયાદના પગલે પીજીવીસીએલ કોર્પોરેટ ઓફિસ રાજકોટ દ્વારા પ્રથમ તપાસ સમિતિની રચના કરવામાં આવી હતી, જેણે તા. ૯ જુલાઈના રોજ પોતોનો અહેવાલ રજૂ કર્યો હતો. ત્યારબાદ વધુ ઊંડાણપૂર્વકની તપાસ માટે રચાયેલી બીજી તપાસ સમિતિએ તા ૧૫ જુલાઈના રોજ પોતાનો ગુપ્ત તપાસ અહેવાલ વિશેષ મહાપ્રબંધક નિગમીત કચેરી રાજકોટને રજુ કરેલ હતો આ અહેવાલમાં અધિકારીઓની સીધી મિલીભગતથી સરકારી સામગ્રી બારોબાર સગેવગે કરાઈ હોવાનું સાબિત થયું હતું. ડોગ કંડક્ટર ૧૨.૫ કિલોમીટર, એમ.એસ. ગર્ડર (વિજપોલ ) ૩૦ નંગ અને પીન ઈન્સ્યુલેટર ૪૦૦ નંગ કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા ૧૫,૮૦,૫૦૪નો ખોટો મુવ ઓર્ડર બનાવી અધિકારીઓની સહીઓ અને ઓનલાઈન આઈડી એપ્રુવલનો ઉપયોગ કરી સ્ટોર ઈન્ચાર્જ દ્વારા ગેટ પાસ બનાવી વાહનો જેતપુર બગસરા રોડ વાઈન્ડિંગ કામ માટે મેળવેલો માલ સ્ટોરમાં જમા કરાવવાના બદલે કોન્ટ્રાક્ટરના ગોડાઉને મોકલાયો હતો. ત્યારબાદ મુખ્યમંત્રી કાર્યાલયમાં ફરીયાદ થતા આ ટોળકીએ તપાસમાં મૂળ કંપનીના અસલી ડ્રમ બદલાવી બીજી જ કંપનીનો હલકો સામાન જમા કરાવી નાખ્યો હતો જેથી પોતે પકડાય ન જાય અને તપાસ સમિતિને માલ સ્ટોરમાં જ પડેલો હોવાનું લાગે પરંતુ તપાસ સમિતિએ એકએક મટીરીયલ્સની ઉંડાણ પૂર્વક તપાસ કરી આખું મટીરીયલ્સ કૌભાંડ બહાર લાવી દીધું હતું. આ મટીરીયલ્સ કૌભાંડમાં જેતપુર કાર્યપાલક ઈજનેર વિપુલ ભીમાણીની લેખિત ફરીયાદના આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશને જે.આર વેલેરા (નાયબ ઈજનેર), એન.પી. ગોહિલ (નાયબ ઈજનેર ટેકનીકલ ), એ.પી. પાનસુરીયા (જુનીયર ઈજનેર – સ્ટોર), કે.કે. વાગાડીયા (અધીક્ષક હિસાબનીશ ખર્ચ),ઈબ્રાહીમભાઈ ગરાણા (કોન્ટ્રાક્ટર) અને અમીનભાઈ (વાહન ડ્રાઈવર) સામે બીએનએસની કલમ ૩૧૬(૫) સરકારી સેવક દ્વારા ગુનાહિત વિશ્વાસઘાત, ૬૧(૨) ગુનાહિત ષડયંત્ર અને ૩(૫) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.
- Advertisement -
કારના ચોરખાનામાં છુપાવેલા 458 બોટલ વિદેશી દારૂ સાથે બેલડી ઝબ્બે : રાજકોટ અને ધોરાજીના શખસોની ધરપકડ : શાપર વેરાવળ પાસે LCBનો દરોડો
રાજકોટ જીલ્લામાં દારૂ-જુગારની પ્રવૃતિઓ નાબુદ કરવાના પોલીસના અભીયાન દરમ્યાન જીલ્લા એલસીબીની ટીમે શાપર વેરાવળ પાસેથી કારમાં ચોરખાનુ બનાવી વિદેશી દારૂની હેરાફેરી કરતા રાજકોટ અને ધોરાજીના શખસોની ધરપકડ કરી તેની પાસેથી રૂ.૫૨ હજારની કિમતનો ૪૫૮ બોટલ દારૂ,કાર,બે મોબાઈલ સહીત રૂ.૫.૬૭ લાખની મતા કબજે કરી વિશેષ પુછતાછ કરી છે. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કારમાં ચોર ખાનુ બનાવી દારૂની હેરાફેર થતી હોવાની માહીતીને આધારે પીઆઈ જે.પી.રાવ સહીતની ટીમે શાપર વેરાવળ ખાતે વોચ રાખી શંકાસ્પદ કારને અટકાવી તેની પુછતાછ કરતા રાજકોટમાં નવલનગરમાં રહેતો કિશન ઉર્ફે કિશુ હિતેશ ચૌહાણ અને ધોરાજીના ઝાઝમેર ગામે રહેતો અજયસિંહ જીતેન્દ્રસિંહ મકવાણા હોવાનુ જણાવતા પોલીસે તલાસી લેતા કારમાં ચોર ખાનામાં છુપાવેલો રૂ.૫૨ હજારની કિંમતનો ૪૫૮ બોટલ વિદેશી દારૂ મળી આવતા શાપર પોલીસે ગુનો નોધી બન્ને આરોપીઓની ધરપકડ કરી તેની પાસેથી કાર,દારૂ સહિત રૂ.પ.૬૭ લાખની મતા કબજે કરી આ દારૂ ક્યાથી લાવ્યા ? સહીતની પુછતાછ કરી છે.
એરફોર્સમાં નોકરીની લાલચ આપી રાજકોટના યુવાનો સાથે 16 લાખની ઠગાઈ : બે દાયકા બાદ જુના મિત્રએ કોલ કરી બેરોજગારી દૂર કરવાની વાત કરી ફસાવ્યા
એરફોર્સમાં ડ્રાઇવરની નોકરીની લાલચ આપી રાજકોટના યુવાનો સાથે 16 લાખની ઠગાઈ કરનાર મૂળ કચ્છના શખ્સ વિરુદ્ધ યુનિવર્સીટી પોલીસ મથકમાં ગુનો નોંધાયો હતો. 20 વર્ષ બાદ જુના મિત્રએ કોલ કરી બેરોજગાર દૂર કરવાની વાત કરી નોકરીની લાલચ આપી અને રાજકોટના બે યુવક સહિત રાજ્યભરના યુવાનોને શીશામાં ઉતાર્યા હતાં. આ બનાવ અંગે કાલાવડ રોડ પર રૂડા-2 માં રહેતાં અર્જુનસિંહ જયવંતસિંહ જાડેજા ઉ.40એ પ્રજ્ઞેશ હનુભા ગઢવી સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ શિવ ટ્રાવેલ્સ નામે વ્યવસાય કરે છે. ગઇ તા.08/06ના તે મોરબીથી રાજકોટ આવતો હતો ત્યારે મિત્ર પ્રજ્ઞેશ ગઢવીએ ઓછામાં ઓછા વીસ વર્ષ બાદ કોલ કર્યો હતો તે નાનપણનો ભાઇબંધ હોય અને તેણે ફોનમાં જણાવેલ કે, હાલ મારી નોકરી એરફોર્સમાં પ્રીન્સીપાલ તરીકે ગાંધીનગરમાં છે તારે ડ્રાઇવર તરીકે નોકરીમાં લાગવુ હોય તો મને કહેજે, તો તને લગાડી દવ. જેથી તેને હા પાડેલ હતી બાદ તેણે કહેલ કે, તારે આ નોકરીમાં લાગવાના પૈસા આપવા પડશે, જેથી તેને હા પાડેલ અને આજ સુધી કટકે કટકે કરીને ઓનલાઇન 12.30 લાખ તથા રોકડા રૂ.3.70 લાખ મળી કુલ 16 લાખ આપેલ હતાં. આ રૂપીયામાં સગાવહાલાઓને પણ નોકરીએ રખાવવાના કહી તેમની પાસેથી લીધેલ રૂપીયા જેમાં સાગરભાઇ સોલંકી તેણે 1.32 લાખ, પુર્વજીતસિંહ મહાવિરસિંહ રાણા પાસેથી 3.22 લાખ, પૃથ્વીરાજસિંહ ઝાલા પાસેથી 2.61 લાખ, ભવદિપસિંહ ક્રીપાલસિંહ જાડેજા પાસેથી 86 હજાર મળી ચારેય લોકો પાસેથી કુલ 8.01 લાખ અને ફરીયાદી પોતે 7.99 લાખ મળી કુલ 16 લાખ આપેલ હતાં આરોપી પ્રજ્ઞેશ આજ સુધી તેણે કોઇને નોકરીએ લગાડેલ નથી અને નોકરીના વાયદા કર્યા કરતો હોય બાદમાં શંકા જતા રૂપીયા પરત માંગતા તે બહાના કાઢવા લાગેલ હતો. ગઈકાલે અમદાવાદથી જાણવા મળેલ કે, આ પ્રજ્ઞેશને પોલીસે પૈસાની કોઇ મેટરમાં પકડેલ છે અને તેની ઉપર કેશ થયેલ છે જેથી આ પ્રજ્ઞેશએ ફરીયાદી અને તેના સગાઓને નોકરીની લાલચ આપી પોતે ગાંધીનગર ખાતે એરફોર્સમાં હોય તેવુ જણાવી પૈસા પડાવી લીધેલ અને તેણે ઓનલાઇન વોટસઅપમાં કોલલેટર પણ મોકલેલ પરંતુ પાછળથી જાણવા મળેલ કે, આ પ્રજ્ઞેશ પાસે કોઇ એરફોર્સની નોકરી નથી અને ઠગાઇ કરીને પૈસા ઓળવી ગયેલ હોય ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભાડુઆતે માસિક 1.75 ટકા વળતરની લાલચ આપી 21 લાખ પચાવી પાડયા : રાજકોટમાં મંડળીના સંચાલકની મરણમૂડી ચાઉ કરી ગયો : ગાંધીગ્રામમાં ફરિયાદ
શહેરમાં રૈયા રોડ પર ભાડાના મકાનમાં રહી ખાનગી દુકાનમાં નોકરી કરતા યુવાનને ધંધામાં રોકાણ સામે માસિક 1.75 ટકા વળતરની લાલચ આપી ‘એકદંત શરાફી મંડળી’ના સંચાલકે રૂ. 21 લાખનો ચૂનો ચોપડ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિચિત શખસે મરણમૂડી પચાવી પાડતા પીડિત યુવાને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. સમૃદ્ધિ પાર્કમાં રહેતા ગૌરાંગ કમલેશભાઈ જોષીએ અલ્કાપુરી મેઈન રોડ પર રહેતા નિલેશ રજનીકાંત જોશી સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે નિલેશ જોશીની એકદંત શરાફી મંડળીમાં વર્ષ 2008થી બચત ખાતું ધરાવતા હોવાથી બંને વચ્ચે ગાઢ પરિચય હતો. વર્ષ 2021માં ગૌરાંગભાઈનું મકાન વેચાતા આવેલી રૂ. 21 લાખની રકમ તેમણે નિલેશ જોશીને ધંધામાં રોકાણ અર્થે આપી હતી. આરોપીએ માસિક 1.75 ટકા વળતર આપવાનું વચન આપ્યું હતું. આરોપીએ માત્ર બે મહિના વળતર આપ્યા બાદ GPID એક્ટ હેઠળના ગુનામાં જેલહવાલે થયો હતો. આરોપી જેલમાં ગયાની જાણ થતા ફરિયાદી તેમના ઘેર ઉઘરાણી માટે ગયા હતા ત્યારે તેના પત્નીએ પતિ જેલમાંથી બહાર આવ્યા પછી રૂપિયા પરત આપવાની ખાતરી આપી હતી. પરંતુ જેલમુક્ત થયા બાદ આરોપીએ “હાલ મારી પાસે રૂપિયા નથી” કહીને ગૌરાંગભાઈ અને તેમના પત્ની પૂજાબેનના નામે રૂ. ૧૦.૫૦-૧૦.૫૦ લાખના બે ચેક તથા નોટરી લખાણ કરી આપ્યું હતું. બાદમાં રૂપિયા માંગતા આરોપીએ “તમારે કેસ કરવો હોય તો કરી નાખો, રૂપિયા નહીં મળે” કહી હાથ ઊંચા કરી લીધા હતા.
ધીમેથી બોલવાનું કહી પ્રૌઢ ઉપર પાડોશીનો ધોકાથી હુમલો
રાજકોટની માલધારી સોસાયટીમાં રહેતા મહેશભાઈ બચુભાઈ રાઠોડ ઉ.55એ અજલાભાઇ ભરવાડ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારે ત્રણ વર્ષ અગાઉ છૂટાછેડા થઈ ગયેલ છે ગત બપોરે હું તથા મારો ભત્રીજો રણજીત માલધારી સોસાયટી ખાતે હતા ત્યારે મારો ભત્રીજો આવવામાં મોડું થયેલ જેથી મેં તેને ગાળો આપી મોડો કેમ આવ્યો તેમ કહેતા આ વાતને લઈને અમો કાકા-ભત્રીજો બોલાચાલી કરતા હતા જેથી આ બાજુમાં રહેતા અજલાભાઈ ભરવાડ ત્યાં આવી મને ધીમેથી બોલવાનું કહી અને જેમ ભાવે તેમ ગાળો આપવા લાગેલ જેથી મેં તેમને ગાળો દેવાની ના પાડતા તેઓ ઉસકેરાઈ પોતાના ઘરેથી લાકડાનો ધોકો લઈ આવી મને જેમ ફાવે તેમ આડેધડ મારવા લાગેલ જેથી મારો ભત્રીજો તથા મારો ભાણેજએ મને બચાવી 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
કુવાડવામાંથી 267 ગ્રામ ગાંજા સાથે શખ્સ ઝડપાયો
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઇ એ એન જાનીની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના પીએસઆઈ એ બી જાડેજા અને ટીમને મળેલી બાતમી આધારે કુવાડવા ગામે ભીમેશ્વર મહાદેવ મંદિર પાસે દરોડો પાડી એક શખ્સને સકંજામાં લઇ જડતી લેતા તેની પાસેથી 267 ગ્રામ ગાંજો મળી આવતા કબ્જે લઇ નામઠામ પૂછતા પોતે કુવાડવામાં રહેતા બિપીનપરી સોમપરી ગોસાઈ હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી બે મોબાઈલ, રોકડ, ગાંજો સહીત 23,150નો મુદામાલ કબ્જે કર્યો છે.
રૈયાધારમાં દંપતિ સહીત ચાર શખ્સોનો યુવક પર તલવારથી હુમલો : બોલાચાલીનો ખાર રાખી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ
રાજકોટના રૈયાધાર સ્લ્મ ક્વાર્ટરમાં રહેતા અને કડીયાકામ મજુરી મનસુખભાઈ અમૃતભાઈ વાઘેલા ઉ.37એ તૌફીક, તેની પત્ની ચીકુબેન, અમન જાવેદ અને અમનના મોટોભાઈ સામે એટ્રોસિટી સહિતની કલમ હેઠળ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત રાત્રીના મારો નાને ભાઈ કમલેશ ઘરની સામે રહેતા તોફિકભાઈના ઘરે ગયેલ અને ત્યાં મારા ભાઈ કમલેશ સાથે તોફિકે બોલાચાલી કરેલ અને મારા બા તથા મારા પિતા બન્ને જઘડો થતો જોઈ જતા ત્યાં જઈ મારા ભાઈ કમલેશને સમજાવી ઘરે લાવેલ બાદ રાત્રીના પિતા પાન-ફાકી ખાવા માટે જતા હોય ત્યારે શેરીમાં સામે આ તોફિક હાથમાં તલવાર લઈને તથા તેની પત્નિ ચીકુબેન તથા અમન જાવેદ તથા અમન જાવેદનો મોટોભાઈ જેનું નામ આવડતુ નથી તે ચારેય મારા પિતાને ગાળો બોલી માર મારવા લાગેલ જેથી હુ તથા મારા પત્નિ મીના દોડી મારા પિતાને મારથી છોડાવા ગયેલ તો આ તોફિક તથા તેનો ભત્રીજો અમન તથા અમનનો મોટો ભાઈ મને પકડી ઊંધી તલવારના ઘા મારા વાંસામા તથા પગમાં તથા ખંભામા તથા માથાના ગરદનના ઉપરના ભાગે મારતા મુંઢ ઈજા થયેલ અને ત્યાં આજુબાજુના માણસો આવી જતા અમોને વધુ મારમાંથી છોડાવેલ અને મારા ભાઈ કમલેશભાઈ મારા કુટુંબી ભાઈ કેશુભાઈના ઘરે જતા ત્યાં મારા ભાભી રશીલાબેન સાથે બોલાચાલી થયેલ અને આ મારા ભાભી રશીલાબેન તથા કેશુભાઈને તોફિક સાથે સારા સંબંધ હોય જેથી તેઓ અમારો વિરોધ કરે છે અને આ ઉપરોક્ત બધાય ભેગા મળી મારા ભાઈ કમલેશને તથા મારા પિતા અમૃતભાઈ તથા મને તલવાર તથા ઢીકાપાટુનો માર મારી જાતી પ્રત્યે હડધુત કરેલ અને કહેલ કે, તમને મારવા છે તેમ કહ્યું હોવાનું જણાવતા ફરિયાદ નોંધાવી હતી.
ન્યુ જાગનાથ અને ઘંટેશ્વર પાસે ફ્લેટમાં જુગાર રમતા 18 ઝડપાયા : પીસીબી અને એ ડિવિઝન પોલીસે 1.26 લાખની રોકડ કબ્જે કરી
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે બાતમી આધારે જામનગર રોડ ઉપર ઘંટેશ્વર પાસે ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમતા 9 શખ્સોને ઝડપી લઇ રોકડા 63,500 કબ્જે કર્યા છે જયારે એ ડિવિઝન પોલીસે ન્યુ જાગનાથ પ્લોટમાં દરોડો પાડી જુગાર રમતા 9ને ઝડપી લઇ રોકડા 62,700 કબ્જે કર્યા છે. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણાને મળેલી બાતમી આધારે જામનગર રોડ ઉપર ઘંટેશ્વર એસઆરપી કેમ્પ સામે અરાઈઝ વન એપાર્ટમેન્ટ નામના ફ્લેટમાં દરોડો પાડી જુગાર રમતા કેયુર પંકજભાઈ રાઠવા, રત્નદીપ ઉર્ફે ઋષિ ઉમેશભાઈ ત્રિવેદી, ભાવેશ જયંતીલાલ બાબરીયા, હર્ષિત અશ્વિનભાઈ કંસારા, નિશાંત અરુણભાઈ જોગી, અમિત નટવરલાલ ડેલાવાળા, ગિરીશ નવનીતભાઈ ડાંગા, વિજય મહીપતભાઈ ડોડીયા અને સંજય સુર્યકાંતભાઈ વ્યાસની ધરપકડ કરી રોકડા 63,500 કબ્જે કર્યા છે જયારે એ ડિવિઝન પીઆઇ વાઢિયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના સત્યજિતસિંહ જાડેજાને મળેલી બાતમી આધારે ન્યુ જાગનાથમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા રચિત જોયભાઈ મોદી, શુભમ પ્રવીણભાઈ પરમાર, મિહિર કમલેશભાઈ સોલંકી, સાગર મુકેશભાઈ ધોરાજીયા, કેવળ નયનકુમાર દોશી, જીગર દિલીપભાઈ પાલા, હર્ષલ રમેશભાઈ કેસરિયા, વૈભવ અશોકભાઈ ભાયાણી અને ધૈર્ય યોગેશભાઈ કેસરીયાની ધરપકડ કરી રોકડા 62,700 કબ્જે કર્યા છે.
પીસીબીએ 95 હજારનો દારૂ ભરેલી કાર સાથે શખ્સને ઝડપી લીધો
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના ઉમેશભાઈ ચાવડા, દિલીપભાઈ બોરીચા અને વિશાલભાઈ દવેને મળેલી બાતમી આધારે બોલબાલા માર્ગ ઉપર વોચ ગોઠવી બાતમીવાળી કાર પસાર થતા અટકાવી જડતી લેતા કારમાંથી 95,172 રૂપિયાનો 36 બોટલ દારૂ મળી આવતા કારચાલકનું નામઠામ પૂછતાં પોતે જંગલેશ્વરમાં રહેતો ફારૂક ઉર્ફે ફારકો મજીદભાઈ સાંજી હોવાનું જણાવતા પોલીસે ગુનો નોંધી દારૂ, કાર, મોબાઈલ સહીત 1,00,172 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો છે.
રાજકોટના ભંગારના ધંધાર્થી સાથે 46 લાખની છેતરપીંડી : બાકી નીકળતા પૈસા નહીં આપનાર ભાગીદાર સામે ફરિયાદ
રાજકોટના કોઠારીયા સોલ્વન્ટમાં રહેતા ભંગારના ધંધાર્થી સાથે ભાગીદારે 46 લાખની છેતરપિંડી આચરી હતી. ભાગીદારીમાં ફોર્જિંગનું કારખાનું શરૂ કરી ચાર વર્ષ સુધી કારખાનું ચલાવ્યા બાદ ભાગીદારોએ 4.40 કરોડમાં કારખાનું વેંચી નાખ્યું હતું. જે રૂપીયામાંથી 60 લાખ પ્રૌઢએ લેવાના નીકળતા હતા. જે પૈકી ફક્ત 14 લાખ આપી ભાગીદાર રાજેશ ખાંટ બાકીના 46 લાખ ઓળવી જતાં ભંગારના ધંધાર્થીએ ગોંડલ તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી. મૂળ લોધિકાના વીરવા ગામના વતની અને હાલ કોઠારીયા સોલવંટમાં રહેતા ભંગારના ધંધાર્થી રમજાનભાઈ સુમારભાઈ ઠેબાએ રાજેશ જીવણભાઈ ખાંટ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હાલ તેઓ ફોર્જીંગનો ધંધો મજૂરીથી કરાવી સાથોસાથ લોખંડના ભંગારનો પણ ધંધો કરે છે તે 1998થી રાજેશભાઈ ખાંટના શાપર સ્થિત ફોર્જીંગના કારખાનામાં કામ કરતો હતો પાંચેક વર્ષ પહેલા તેઓએ રાજેશભાઇ ખાંટ તથા નીલેશભાઇ જીવણભાઇ ખાંટ સાથે ભાગીદારીમાં ફોર્જીંગનુ કારખાનુ રૂદ્ર ઓટો ફોર્જિંગના નામે બનાવવાનું નક્કી કરેલ હતું. જેથી ગુંદાસરા ગામ નજીક પ્લોટ ખરીદ કરેલ બાદ કારખાનાનું બાંધકામ ચાલુ કરેલ હતું. બાંધકામ માટે લોન લેવાનુ નક્કી કરેલ પરંતુ પ્લોટ ત્રણેયના ભાગમાં હતો જેથી લોન થતી ન હોવાનું જણાવી રાજેશ ખાંટએ ફરીયાદી તેમજ તેમના ભાઈ નીલેશભાઇ ખાંટનો હક્ક જતો કરી પેઢીનો ભાગીદારી ફેરફાર દસ્તાવેજ કરી રાજેશ ખાંટ તથા તેમની પત્ની ભાવનાબેનના નામ પર કરી નાખેલ હતો ત્યાર બાદ લોન થઈ જતા કંપની ચાલુ થયેલ હતી. કંપનીમા ફરિયદીનું રોકાણ 42 લાખ રૂપીયાનું હતુ. કંપની ચાલુ હતી તે વખતે કંપનીના કામ માટે તેઓના નામ પર એક હેરીયર ગાડી ખરીદેલ હતી જેના હપ્તા જે તે સમયે કંપની ભરતી હતી. થોડા વર્ષો કંપની ચલાવ્યા બાદ વર્ષ 2025 માં કંપની વેચવા કાઢેલ હતી. કંપની નંદાભાઈ અને વસંતભાઇને 4.40 કરોડમાં વેચાણ કરી નાખેલ હતી. કંપની વેચતા ફરીયાદીનાં ભાગમાં આવેલ 60 લાખ લેવાના નીકળતા હતા. જે રૂપીયા રાજેશ ખાંટએ આપેલ નહીં અવાર નવાર માંગણી કરતા ફેબ્રુઆરી 2026 મા સમાધાન થતા હેરીયર ગાડી રાજેશને આપી 60 લાખ રૂપીયા આપવાનુ નક્કી થયેલ હતું. બાદ રાજેશએ અત્યાર સુધીમા કૂલ 14 લાખ રૂપીયા આપી 46 રૂપીયા ન આપી છેતરપિંડી આચરી હોવાની વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
રાજકોટમાં બાઈક સ્લીપ થતા ત્રણ બહેનોના એકના એક ભાઈનું મોત : મિત્રને મળવા જતી વેળાએ સર્જાયેલી કરુણાંતિકા : પરિવારમાં શોક
રાજકોટના મોરબી રોડ પર વેલનાથપરાના પૂલ ઉપર બાઇક સ્લીપ થઇ જતાં રાધીકા પાર્કના પ્રૌઢનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. પોતે કોઠારીયા રોડ પર મિત્રને મળવા માટે જતાં હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. કરૂણતા એ છે કે મૃત્યુ પામનાર પોતે ત્રણ બહેનના એકના એક ભાઇ છે. રક્ષાબંધન પર્વ નજીક છે ત્યારે આ બનાવથી અરેરાટી વ્યાપી ગઇ છે. રાજકોટના મોરબી રોડ પર ફાટક પાસે રાધીકા પાર્કમાં રહેતાં દિપેશભાઇ મનહરભાઇ અજાગીયા ઉ.52 નામના પ્રૌઢ રાત્રે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે મોરબી રોડ વેલનાથપરાના પૂલ ઉપર બાઇક સ્લીપ થઇ જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પરંતુ અહિ મોડી રાતે મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં બી-ડિવીઝન પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર દિપેશભાઇ કડીયા કામની મજૂરી કરતાં હતાં. તે ત્રણ બહેનના એકના એક ભાઇ હતાં. પોતે રાતે કોઠારીયા રોડ પર રહેતાં મિત્ર પરાગભાઇને મળવા માટે જતાં હતાં ત્યારે વેલનાથપરા પૂલ ઉપ પહોંચ્યા ત્યારે બાઇક સ્લીપ થઇ જતાં આ ઘટના બની હતી. બનાવથી પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ છે.
રાજકોટ સિવિલમાં મહિલા તબીબ પર હુમલો કરનાર ડોક્ટર રામાણીની પંચમહાલ બદલી : રાજ્ય સરકારના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિતા સાથે વાત કર્યા બાદ કર્યો હુકમ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મહિલા તબીબ સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટનાને રાજ્ય સરકારે અત્યંત ગંભીરતાથી લીધી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર મહિલાઓની સુરક્ષા, સન્માન અને અધિકારોના રક્ષણ માટે કટિબદ્ધ છે. આ ઘટનાના સંદર્ભમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આરોગ્ય વિભાગને તાત્કાલિક અને કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા સ્પષ્ટ આદેશો આપ્યા છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ પીડિત મહિલા તબીબ સાથે ટેલિફોનિક વાતચીત કરી તેમની હિંમત વધારી હતી અને ન્યાય સહિત સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવાનું આશ્વાસન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે, સરકારી હોસ્પિટલોમાં મહિલા કર્મચારીઓ અને તબીબોની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. આરોગ્ય મંત્રીના આદેશથી રાજકોટની આર.ઝેડ. હોસ્પિટલના ડો. અશ્વિન રામાણીની પંચમહાલ જિલ્લાના વાવકુંડલી સ્થિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) ખાતે તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યની આરોગ્ય સેવાઓમાં કાર્યરત દરેક મહિલા કર્મચારી અને તબીબની સુરક્ષા સરકારની પ્રથમ પ્રાથમિકતા છે. કાર્યસ્થળે અયોગ્ય વર્તન કે ગેરવર્તણૂકને સહેજ પણ સહન કરવામાં આવશે નહીં. આ ઘટનામાં સંડોવાયેલા સિનિયર તબીબ સામે નિયમો અનુસાર જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોગ્ય મંત્રીની સૂચનાથી આરોગ્ય વિભાગે રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં સુરક્ષિત અને સન્માનજનક વાતાવરણ જાળવી રાખવા માટે જરૂરી દિશાનિર્દેશો જાહેર કર્યા છે.હાલ આરોગ્ય વિભાગના આદેશ મુજબ વિવાદિત ડોક્ટર અશ્વિન રામાણીની રાજકોટથી પંચમહાલ જિલ્લામાં બદલી કરવામાં આવી છે. તેમને પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના વાવકુંડલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મૂકવામાં આવ્યા છે. મહિલા તબીબ સાથેના દુર્વ્યવહારના મામલે આરોગ્ય વિભાગે લાલ આંખ કરીને આ મોટી કાર્યવાહી કરી છે.




