રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
બે મહિનામાં પિતાનું બીમારી સબબ મોત થયા બાદ માતાએ બે દિવસ પૂર્વે આત્મહત્યા કરી હતી
- Advertisement -
માં-બાપ અને મોટાભાઈ સહીત એક જ પરિવારના ત્રણ વ્યક્તિના મૃત્યુથી નાનો ભાઈ શોકમાં ગરકાવ
રાજકોટમાં બે મહિનામાં એક જ પરિવારના યુવાન કારખાનેદાર સહીત ત્રણ લોકોના મૃત્યુ નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે બે માસ પૂર્વે મોભીનું મૃત્યુ થયા બાદ તેમના પત્નીએ આપઘાત કરી લીધો હતો તેના વિયોગમાં આજે પુત્રએ પણ માતાના બેસણા પૂર્વે આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. રાજકોટના ગાયત્રીનગર મેઇન રોડ પર ગોપાલનગરમાં રહેતાં કરણભાઇ હિતેષભાઇ પરમાર ઉ.28 નામના યુવાને ગઇકાલે બપોરે ગોંડલ રોડ ચોકડી વિરાણી અઘાટ પાસે આવેલા પોતાના કારખાના ખાતે સેલ્ફોસ નામનો ઝેરી પાવડર પી લેતાં સારવાર માટે દાખલ કરાયો હતો પરંતુ આજે વહેલી સવારે તેણે દમ તોડી દેતાં પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે કરતાં ભક્તિનગર પોલીસનો સ્ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી જાણવા મળ્યા મુજબ આપઘાત કરનાર કરણભાઇ બે ભાઇમાં મોટો અને અપરિણીત હતો તેનાથી નાના ભાઇ સ્મીતભાઇ ગેસ વેલ્ડીંગના કારખાનામાં કામ કરી ગુજરાન ચલાવતો હતો કરૂણતા એ છે કે કરણભાઇના પિતા હિતેષભાઇ અમરશીભાઇ પરમાર ઉ.53નું બે મહિના પહેલા તા.18 જૂનના રોજ બિમારીને કારણે અવસાન થયું હતું પતિ હિતેષભાઇના અવસાન પછી પત્નિ પારૂલબેન પરમાર ઉ.48એ સતત શોકમાં રહેતાં હતાં. આ દરમિયાન બે દિવસ પહેલા ગત 17 તારીખે પારૂલબેને પતિના વિયોગમાં ઘરે ઘઉંમા રાખવાનો પાવડર પી આપઘાત કરી લીધો હતો બે મહિનામાં બબ્બે સ્વજનોની વિદાયથી પરમાર પરિવારમાં ગમગીની વ્યાપી ગઇ હતી. પિતા બાદ માતાને પણ ગુમાવતાં મોટો પુત્ર કરણભાઇ ખુબ જ દુઃખી થઇ ગયો હતો. આવતીકાલે 20મી તારીખે તેના માતા પારૂલબેન પરમારનું બેસણું રખાયું હોઇ એ પહેલા ગત સાંજે કરણભાઇએ પણ કારખાને સેલ્ફોસ પાવડર પી આપઘાત કરી લેતા પરિવારજનો પર વજ્રઘાત થયો છે કરણભાઇએ પિતા, માતાના વિયોગમાં આ પગલુ ભરી લીધાનું સગાએ જણાવ્યું હતું આમ બે મહિનામાં જ એક જ પરિવારના માતા-પિતા અને યુવાન દિકરાના મૃત્યુને પગલે પરિવારજનો, સગા સંબંધીઓ અને પાડોશીઓમાં પણ ગમગીની વ્યાપી ગઇ છે. સોૈથી નાના સ્મીતભાઇ પરમારે પિતા, માતા પછી હવે આધારસ્તંભ એવા મોટા ભાઇને પણ ગુમાવી દેતાં તે ઉંડા આઘાતમાં ગરક થઇ ગયો છે.
લોન એજન્સીના મહિલા સંચાલિકા પાસેથી 6.15 લાખ સેરવી નાસી છૂટેલા બન્ને ઝડપાયા : યુનિવર્સીટી પોલીસે મુંજકા પાસેથી તમામ રોકડ સાથે ઝડપી લઇ ભેદ ઉકેલી નાખ્યો
- Advertisement -
રાજકોટના ગોંડલ રોડ પર આવેલા ‘પ્લેનરી આર્કેડ’માં શુભમ એન્ટરપ્રાઈઝ નામે લોન પ્રોસેસિંગની ઓફિસ ચલાવતા 51 વર્ષીય મહિલા પાસે દાગીના ગીરવે મુકવાનું કહી દાગીના છોડાવવાના બહાને 6.15 લાખ લઇ બે શખ્સો નાસી જતા યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી પોલીસે ઉપરોક્ત ગુનાનો ભેદ ઉકેલી નાખી બે શખ્સોને મુંજકા ચોકડી પાસેથી ઝડપી લઇ રોકડા 6.15 લાખ અને 50 હજારનું વાહન કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં રહેતા ભાવનાબેન કલ્પેશભાઈ જોષી સાથે 6.15 લાખની ઠગાઈનો બનાવ સામે આવ્યો જેમાં આરોપી મિત અને તેના મિત્ર હર્ષિતે દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝમાં ગીરવે પડેલું સોનું છોડાવી ઓછા વ્યાજદરે ભાવનાબેનની પેઢીમાં ટ્રાન્સફર કરાવવાનું કહી વિશ્વાસમાં લીધા હતા. આરોપીઓએ ભાવનાબેનને રૈયા ચોકડી બાદમાં રામાપીર ચોકડી નજીક સિદ્ધાર્થ-5 બિલ્ડિંગ પાસે આવેલી એક દુકાને બોલાવ્યા હતા. ત્યાં સોનું છોડાવવાના બહાને ભાવનાબેન પાસેથી 6.15 લાખ રોકડા મેળવી લીધા હતા. નાણાં હાથમાં આવતા જ સોનું આપ્યા વિના બંને શખ્સો સ્કૂટર પર સવાર થઈને રોકડ રકમ સાથે ફરાર થઈ ગયા હતા આ અંગે યુનિવર્સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ કે કે ગોહિલ સહિતની ટીમે તપાસ હાથ ધરી હતી દરમિયાન સ્ટાફને મળેલી બાતમી આધારે મુંજકા ચોકડીથી ક્રાઈસ્ટ કોલેજ તરફ જતા રસ્તા પરથી ઉપરોક્ત બંનેને ઝડપી લઇ રોકડા 6.15 લાખ અને 50 હજારનું વાહન કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટમાં બે પિસ્તોલ અને ૧૧ જીવતા કાર્ટિસ સાથે બે વેપારીની ધરપકડ કરતી પીસીબી : સાવરકુંડલામાં હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા શખ્સનું સપ્લાયર તરીકે નામ ખુલ્યું
રાજકોટમાં હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટીમે બાતમી આધારે રાજકોટમાંથી બે શખ્સોને બે હથિયાર અને 11 કાર્ટીસ સાથે ઝડપી લઇ પૂછતાછ કરતા સાવરકુંડલા રહેતા અને હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવતા શખ્સનું નામ ખુલતા તેના વિરુદ્ધ પણ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્યામસિંહ ચૌહાણ અને હરદેવસિંહ રાણાને મળેલી બાતમી આધારે બાલભવનના ગેઈટ સામે જીઈબીના સબ સ્ટેશન પાસેથી દેશી બનાવટની પિસ્તોલ અને ૯ જીવતા કાર્ટિસ સાથે નહેરુનગર રૈયા રોડના યાકીબ સિકંદર મામટીને ઝડપી લઇ પૂછતાછ કરતા અન્ય બે શખ્સોના નામ ખુલ્યા હતા તે પૈકી હાથીખાના મેન રોડ પર રહેતા અરબાઝ ઉર્ફે ફીરોઝ અમીનભાઈ કાજીને રેસકોર્સ મેદાનમાંથી દેશી બનાવટની પિસ્તોલ અને બે જીવતા કાર્ટિસ સાથે ઝડપી લીધો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં યાકીબને લાખાજીરાજ રોડ પર લેડીઝ વેરની દુકાન હોવાનું અને બાળપણના મિત્ર સાથે તેને તકરાર થતાં તે મિત્રએ કોઈ ડાયલોગ જેવું સ્ટેટસ મૂક્યું હતું. જેનાથી ગભરાઈ પિસ્તોલ ખરીદી હોવાની કબૂલાત આપી છે આ જ રીતે અરર્બાઝને પણ લાખાજીરાજ રોડ પર લેડીઝ વેરની દુકાન છે. જોકે તેણે ક્યા કારણથી પિસ્તોલ રાખી હતી તે અંગે હાલ તપાસ ચાલું છે સાવરકુંડલામાં રહેતા અને ખૂનના ગુનામાં આજીવન કેદની સજા ભોગવતા અકીલ વલીભાઇ સૈયદે આ બંને હથિયારો સપ્લાય કર્યાનું ખુલતાં પીસીબીએ તેને વોન્ટેડ દર્શાવ્યો છે. અકીલ હાલ અમદાવાદની જેલમાં સજા ભોગવી રહ્યો છે. સાતેક માસ પહેલા પેરોલ પર છૂટ્યો ત્યારે યાકીબને પિસ્તોલ આપી ગયાની માહિતી પીસીબીને મળી છે તેની સાથે અરબાઝ પણ હોવાથી પીસીબીએ તેને વોન્ટેડ દર્શાવી શોધખોળ શરૂ કરતાં તે પણ પિસ્તોલ અને બે કાર્ટિસ સાથે ઝડપાઈ ગયો હતો. સપ્લાયર અકીલ વિરુદ્ધ સાવરકુંડલામાં મારામારી, મર્ડર અને પ્રિઝન એક્ટ સહિત ત્રણ ગુના નોંધાયેલા છે. જ્યારે આરોપી અરબાઝ વિરુદ્ધ રાજકોટમાં જુગારધારા સહિત બે ગુના નોંધાયેલા છે.
રાજકોટમાં 4 લાખ સામે માસિક 80 હજાર વ્યાજ વસૂલી મારી નાખવાની ધમકી : વ્યાજ માંગી પરાણે કાર પડાવી લેનાર વ્યાજખોર સહીત બે સામે ફરિયાદ
રાજકોટના ભાવનગર રોડ ઉપર શ્રીરામ પાર્કમાં રહેતા અને કન્સ્ટ્રક્શનનું કામ કરતા હિતેશભાઈ ધીરૂભાઈ રાણપરીયા ઉ.43એ દેવરાજ સુખાભાઈ સોનારા અને એક અજાણ્યા સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મને છેલ્લા સાડા ત્રણેક વર્ષ પહેલા શોર્ટ લાગતા મને શરીરમાં ઘણી તકલીફો થતા હવે હું કોઈ કામ કરી શકતો નથી. બાદ મે અરટીગા કાર ખરીદ કરેલ અને આ ગાડીમાં લોન કરાવી હતી બાદ મારાથી આ ગાડીનો હપ્તો નહીં ભરાતા મે આ ગાડી મારા મીત્ર નારણભાઈ પોલાભાઈ ઝાંપડાને ચલાવા માટે આપી હતી તેઓ આ ગાડીના હપ્તા રેગ્યુલર ભરે છે ગઈ તા.5 જૂનના રોજ મારે દવા માટે તેમજ એક મકાનના દસ્તાવેજ માટે રૂપીયાની ખુબજ જરૂરત હોય મારો સીબીલ ખરાબ હોય જેથી લોન મળે તેમ ન હોય દેવરાજભાઈ સુખાભાઈ સોનારા પાસેથી 4 લાખ વ્યાજે લીધા હતા તેનું દર પંદર દિવસે 40 હજાર રૂપીયા વ્યાજના આપવાના અને મુડી અલગથી આપવાની તેમ નકકી થયું હતુ મેં મારી સહી વાળા કોરા ચેક આપેલા હતા અને આ દેવરાજભાઈએ એવુ લખાણ કરાવેલ કે આ 4 લાખ હાથ ઉછીના આપેલા છે. તે રીતેના લખાણમાં મારી સહી લીધેલ છે આ લખાણ બાદ મને 4 લાખમાંથી 40 હજાર વ્યાજ પેટેના કાપીને મને 3.60 લાખ આપ્યા હતા ત્યાર બાદ મે બે વખત એમ કૂલ 80,000 વ્યાજ પેટે આપેલ હતા. બાદ એક મહિના પહેલા 15 દિવસનો સમય થતા મારે વ્યાજના રૂપીયા આપવાના થતા હોય પરંતુ મારી આર્થીક પરીસ્થીતી ખરાબ હોય અને આવક ન હોય ન હતો જેથી આ દેવરાજભાઇએ મને ફોનમાં કહેલ કે કેમ વ્યાજના રૂપીયા આપેલ નથી જેથી મે જણાવેલ કે મે મારૂ મકાન વેચવા કાઢેલ છે તે વેચાઇ જાય એટલે તમને તમારા પુરા રૂપીયા આપી દઇશ જેથી તેણે મને એકદમ ઉશ્કેરાઈને કહેલ કે ખોટા બહાના રહેવા દે તેમ કહી બેફામ ગાળો બોલવા લાગેલ અને મને કહેલ કે મારા પૈસા મને આપ મારે જોય છે ત્યારબાદ દેવરાજભાઇ મને અવાર નવાર ફોન કરતા હોય પરંતુ હું બીકના કારણે તેઓના ફોન ઉપાડતો ન હતો બાદ તા.21 જુલાઈના રોજ દેવરાજભાઈએ મને ફોન કરી ગાળો દઇને કહેલ કે પૈસા આપ જો પૈસા ન આપે તો તને હું મારી નાખીશ નહીં તેમ કહી મને ગાળો બોલી જાનથી મારી નાખવા ની ધમકી આપેલ હતી આ વખતે હું તેઓને ઘણી આજીજી કરતો હતો પરંતુ મારી તકલીફ તેણે સાંભળેલ નહીં. ત્યાર બાદ 1ગત 8 તારીખે હું બહાર હતો ત્યારે આ મારી અરટીગા કા૨ જેને મે ચલાવા આપેલ તે નારણભાઈનો ફોન આવેલ અને મને કહેલ કે આપણી ગાડી રામવન પાસે થી મારા ડ્રાઇવર શેખર પાસેથી આ દેવરાજભાઇ અને તેની સાથેના માણસ છે જે બન્ને મળીને ગાડી બળજબરી પુર્વક લઇ ગયેલ છે તેમ મને જાણ કરેલી બાદ નારણભાઇએ દેવરાજભાઇ સાથે આ ગાડી બાબતે વાત કરતા આ દેવરાજભાઇએ નારણભાઈને જણાવેલ કે આ ગાડી બાબતે તમારે વચ્ચે આવવાનુ નથી આ ગાડી તમારી નથી જો તમે વચ્ચે આવશો તો તમારી સાથે માથાકુટ થશે તેમ જણાવી કહેલ કે મને હિતેશભાઈ સાથે કોન્ફરન્સમાં વાત કરાવો જેથી ના રણભાઇએ મને કોન્ફરન્સમાં લેતા મે આ દેવરાજભાઈ સાથે ફોનમાં વાત કરેલી જેમાં મે કહેલ કે મારે તમને પૈસા આપી દેવા જ છે તો તે એકનો બે થયેલ નહીં અને મારી પાસેથી રૂપીયાની બળજબરીથી ઉઘરાણી કરવા લાગેલ. જેથી હું તેઓને આજીજી કરવા લાગેલ અને તેઓ નહીં માનતા બાદ મે ફોન કાપી નાખેલ હતો. જેથી અંતે બંને સામે ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં ભાગીદારીમાં ખરીદેલા ટ્રકના હિસાબ મુદ્દે ટ્રાન્સપોર્ટર પર ભાગીદાર મિત્રનો હુમલો : નાના મવા રોડ પર રહેતા ટ્રાન્સપોર્ટરે માલિયાસણ રહેતા મિત્ર સામે નોંધાવી ફરિયાદ
રાજકોટના નાના મવા રોડ ઉપર રહેતા અને પાટીદાર ટ્રાન્સપોર્ટ નામે વાવડી ખાતે વ્યવસાય કરતા જીતેન્દ્રભાઈ લક્ષ્મણભાઈ અમૃતિયા ઉ.60એ માલિયાસણ રહેતા મિત્ર જશવંત રાયસીંગભાઇ ખાંટ સામે માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આજથી આશરે બે વર્ષ પહેલા મેં તથા મારા મિત્ર જશવંતભાઈએ ભાગીદારીમાં એક અશોક લેલેન્ડ કંપનીનો ટ્રક ચાલુ લોન પર લીધેલો હતો જેની ખરીદી વખતે આશરે 11 લાખની
લોન બાકી હતી ઉપરોક્ત ટ્રક મારા ભાગીદાર જસવંતભાઈ તથા અન્ય ડ્રાઇવર ચલાવતા હતા આ ટ્રકની કમાણીનો તમામ હિસાબ જશવંતભાઈ પોતાની પાસે રાખતા હોય જેનો હિસાબ અવાર નવાર માગતા આ જશવંતભાઈ મારી સાથે કાલાવાલા કરતા જેથી આજથી છ એક મહિના પહેલા ઉપરોક્ત ટ્રકના આઠ હપ્તા બાકી હોય ત્યારે મેં આ જશવંતભાઈને કહેલ કે ટ્રકની બાકી લોન પૂરી કરી ટ્રક વેચી નાખીએ ત્યારે આ જસવંતભાઈએ તેમ કરવાની ના પાડેલ હતી બાદ ગઈકાલે હું મારી ઉપરોક્ત ટ્રાન્સપોર્ટની ઓફિસે હતો ત્યારે સાંજના આ જ જશવંતભાઇનો મને ફોન આવેલ કે તમે અહીં બેડકો ટ્રાન્સપોર્ટ ગોંડલ રોડ રાજકમલ પંપની સામે આવો આપણે ગાડીનો હિસાબ સમજવાનો છે જેથી હું તરત જ ત્યાં ગયો હતો પણ આ જશવંતભાઈ હાજર ન હોય જેથી મેં ફોન કરી બોલાવતા તે આવી મારી સાથે હિસાબ બાબતે ગાળા ગાળી કરવા લાગ્યા હતા જેથી મેં ગાળો બોલવાની ના પાડતા આ જશવંતભાઈ પોતાની પાસે રહેલ લોખંડનું રીંગપાનાના ત્રણ ચાર ઘા જીકી દીધેલ જેથી મને માથાના ભાગે લોહી નીકળવા લાગેલ અને હાથમાં મુંઢ ઇજા થયેલ બાદ આ જસવંતભાઈ ત્યાથી ભાગી ગયેલ ત્યારે ત્યાં હાજર મારા મિત્ર વિક્રમભાઈએ 108માં ફોન કરી સારવાર અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડયા હતા બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટમાં જુગારના ત્રણ દરોડામાં 14 મહિલા સહીત 23 ઝડપાયા : પ્રનગર, થોરાળા અને ગાંધીગ્રામ પોલીસે 79 હજારનો મુદામાલ કબ્જે કર્યો
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે શહેર પોલીસે જુદી જુદી ત્રણ જગ્યાએ દરોડો પાડી જુગાર રમતા 14 મહિલા સહીત 23ની ધરપકડ કરી રોકડ, મોબાઈલ સહીત 79,161 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા પોલીસ કમિશનર બ્રજેશ ઝા, એડિશનલ સીપી ચૈતન્ય માંડલિકની સૂચના અન્વયે પ્રનગર પોલીસ મથકના પીઆઇ એમ ડી મકવાણાની રાહબરીમાં પીએસઆઈ એસ ડી કોઠીવાર સહિતની ટીમને મળેલી બાતમી આધારે ઠક્કરબાપા હરિજનવાસ મેઈન રોડ પર દરોડો પાડી જુગાર રમતા રીંકુબેન ભાર્ગવભાઇ વાઘેલા, મીનાબેન કિશોરભાઈ વાઘેલા, પૂજાબેન રાજુભાઈ વાઘેલા, ચંદાબેન ગણપતભાઈ પરમાર, ધવલ રાજેશભાઈ ગોહેલ, શ્યામ રાજુભાઈ સોલંકી, નિકુંજ હરીશભાઇ બારૈયા અને બાબુભાઇ લાભુભાઈ પરમારની ધરપકડ કરી રોકડા 12,650 અને 38 હજારના 4 મોબાઈલ સહીત 50,650નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.જયારે થોરાળા પોલીસ સ્ટેશનના પીઆઇ શક્તિસિંહ સોઢાની રાહબરીમાં પીએસઆઈ ટી ડી જાડેજા, નિલેશભાઈ જમોડ સહિતના સ્ટાફે બાતમી આધારે ચુનારાવાડમાં દરોડો પાડી જુગાર રમતા ગૌરીબેન કેશુભાઈ ઝંઝવાડિયા, કાંતાબેન કનુભાઈ ઉપરા, માયાબેન રમેશભાઈ બાવળીયા, રાકેશ રમેશભાઈ રોજાસરા, વિશાલ વિનોદભાઈ ગોહેલ અને મિલન રમેશભાઈ રોજાસરાની ધરપકડ કરી રોકડા 18,510 કબ્જે કર્યા છે આ ઉપરાંત ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ પી ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ બી ઝાલા અને ટીમે બાતમી આધારે નાગેશ્વર સોસાયટીના શુભ પેલેસ એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમતા નિકુંજ મગનભાઈ ચુડાસમા, ગીતાબેન પરેશભાઈ તન્ના, રસીલાબેન રમેશભાઈ વસાવડા, મનીષાબેન પાર્થભાઈ ગોહિલ, હીનાબેન અશ્વિનભાઈ સોની, ગીતાબેન મનસુખભાઇ ગોહેલ, નિશાબેન પરેશભાઈ ત્રિવેદી, દક્ષાબેન અશોકભાઈ ધોરીયા અને ધર્મેશ મગનભાઈ ચુડાસમાની ધરપકડ કરી રોકડા 10,071 કબ્જે કર્યા હતા.
મેટોડની વીડીમાંથી 20 જેટલી ગાયોના કતલ કરી અવશેષો મળી આવતા ગૌપ્રેમીઓમાં રોષ : મૃત પશુના ચામડા ઉતારતા લોકો અવશેષો ફેંકી ગયાંનું તારણ : તપાસના આદેશ આપતા એસપી
રાજકોટના મેટોડાની સીમમાંથી હિન્દુ ધર્મમાં માતા તરીકે પૂજવામાં આવે છે, તેવા અંદાજે 20 જેટલી ગાયોની ક્રૂરતાપૂર્વક કતલ કરીને તેમના અવશેષો જાહેરમાં ફેંકી દેવાયેલા મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકના જીવદયા પ્રેમીઓ અને ગૌભક્તોમાં ભારે રોષની લાગણી વ્યાપી ગઈ છે મેટોડા નજીક આવેલી વીડીમાં ગૌવંશના હાડપિંજરના ઢગલા જોવા મળ્યા હતા. કેટલાય ગૌવંશના શરીર પરથી અડધું ચામડું ઉતારેલી હાલતમાં મૃતદેહો પડ્યા હતા ગૌવંશના અંગો અને અવશેષોને અલગ-અલગ વૃક્ષો પર લટકાવવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ મેટોડા પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે જણાવ્યું હતું કે, નજીકના ગામના સરપંચે અહીં નંદી આશ્રમના જીવોના મૃતદેહ નિકાલ માટે આ જગ્યા જમીનની ફાળવણી કરી હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે. ગૌભક્તોએ જવાબદારો સામે ગુનો નોંધી તુરંત ધરપકડ કરવાની માંગ કરી છે વધુમાં જીવ દયા ફાઉન્ડેશનના કેતન સંઘવીએ જણાવ્યું હતું કે, તેઓની ટીમના બે કાર્યકર ચીભડા ગામ તરફ કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે તેઓના સામે આ ગૌવંશના જાહેરમાં ફેંકી દેવાયેલ અવશેષો જોવા મળ્યા હતા મેટોડા નજીક આવેલ વીડીમાંથી ગૌવંશના મળી આવેલ મૃતદેહો અને લટકતી હાલતમાં મળી આવેલ હાડપિંજર અને અવશેષોથી ગૌભક્તો સહિતના સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે એસપી વિજયસિંહ ગુર્જરએ જણાવ્યું હતું કે મૃત પશુઓના ચામડા ઉતારવાનું કામ કરતા લોકોએ મૃત પશુઓના ચામડા ઉતારી ત્યાં જાહેરમાં ફેંક્યા હોઈ શકે છે, જે મામલે હાલ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે અને જે કોઈ દોષિત સામે આવશે તો તેના સામે કાર્યવાહી પણ કરવામાં આવશે.




