સાતમ-આઠમની રજાઓ અને શ્રાવણ માસમાં પરિવાર-મિત્રો સાથે વનડે પિકનિક માટે પરફેક્ટ રિલીજીયસ, સ્પિરિચ્યુઅલ એન્ડ નૅચરલ પ્લેસ
આસ્થા, અધ્યાત્મ અને પ્રાકૃતિક સૌંદર્યનો ત્રિવેણી સંગમ માણવા જસદણના કનેસરા ગામ નજીક આવેલા ત્રણ સ્થળોની મુલાકાત અવશ્ય લેવી
- Advertisement -
અહીંનો લીલોછમ નજારો અને આહલાદક વાતાવરણ મનને શાંતિ અને તનને તાજગી આપે છે : એકમાત્ર ભૂતનાથ મહાદેવના દર્શન કરી સંતોષ ન માનશો, તેની નજીકના ધાર્મિક સ્થળોએ પણ અચૂક જજો
ભવ્ય રાવલ (લેખક-પત્રકાર)
સાતમ-આઠમની રજાઓ સાથે પવિત્ર શ્રાવણ માસમાં જો તમે પરિવાર – મિત્રો – સગાસંબંધીઓ સાથે આસ્થા, અધ્યાત્મ, પ્રકૃતિના અદભુત સૌંદર્યનો અનુભવ કરવા માંગતા હોવ તો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં આવેલા
કનેસરા ગામ નજીકના કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને સાત બહેનોના ખોડિયાર માતાજી મંદિરની મુલાકાત અવશ્ય લેવી જોઈએ. દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ આટકોટ – ભાવનગર રોડ પર હલેન્ડા ગામે ભૂતનાથ
મહાદેવના દર્શનાર્થે પહોંચતા હોય છે પરંતુ તેનાથી થોડાક જ અંતરે નદી કાંઠે આવેલા કંનનાથ મહાદેવ, દુઃખભંજન હનુમાનજી અને લાડૂડો ડુંગર પરનું સાત બહેનોના ખોડિયાર માતાજી મંદિર પણ એટલા જ આકર્ષક, રમણીય,
દર્શનીય ધામ છે જેના વિશે બહુ ઓછા લોકોને ખ્યાલ હોવાથી ત્યાં જવાનું ઘણીવાર ચૂકાય જતું હોય છે.
- Advertisement -
હરિયાળા જંગલો, નદી કાંઠાનું મનમોહક વાતાવરણ, મોટીમોટી પવનચક્કીઓ અને ડુંગરોની ગોદમાં વસેલા મંદિરો તેમજ સર્વત્ર છવાયેલું પ્રકૃતિનું અવિસ્મરણીય સૌંદર્ય અહીં આવતા દરેક પ્રવાસીઓના મનને મોહી લે છે. એક
તરફ પ્રાચીન ધાર્મિક વારસાનો સ્પર્શ મળે છે તો બીજી તરફ કુદરતના ખોળામાં સૌમ્યતાની અનુભૂતિ થાય છે. વનડે પિકનિક માટે આ પરફેક્ટ રિલીજીયસ, સ્પિરિચ્યુઅલ એન્ડ નૅચરલ પ્લેસ છે. આ ત્રણેય જગ્યા પર વનભોજન
કરવાની મજા જ કઈક અલગ છે. રાજકોટથી તો સવારે સ્કૂટર-બાઈક કે કારમાં નીકળીએ તો સાંજ સુધીમાં બધા સ્થળોની મુલાકાત લઈ આરામથી પરત આવી શકાય.
અંગત આગ્રહ છે કે તહેવારોના દિવસોમાં ભગવાન શિવજીની કૃપા મેળવવાની, હનુમાનજીના આશીર્વાદ લેવાની અને ખોડિયાર માતાજીના ચરણોમાં વંદન કરવાની સાથે પ્રકૃતિના સૌંદર્યને નિહાળવાની તક ચૂકતા નહીં. આ
વખતે ભૂતનાથ મહાદેવની યાત્રા સાથે કનેસરા ગામથી પાંચ-દસ કિલોમીટરના અંતરમાં જ આવેલા આ ત્રણેય સ્થળોને પણ તમારી યાત્રામાં સ્થાન આપો અને ધાર્મિક, આધ્યાત્મિક તેમજ કુદરતી આનંદનો અનોખો અનુભવ
મેળવો.
પશ્ચિમાભિમુખ શિવલિંગવાળું 3500 વર્ષ પુરાણું મંદિર એટલે કંનનાથ મહાદેવ
કનેસરા ગામથી બે કિલોમીટર દૂર હરિયાળા જંગલ વિસ્તારમાં નદી કાંઠે 3500 વર્ષથી કંનનાથ મહાદેવ બિરાજમાન છે. આ મંદિરની સૌથી મોટી વિશેષતા એ છે કે મોટાભાગના શિવાલયો પૂર્વાભિમુખ હોય છે, જ્યારે આ મંદિરનું
શિવલિંગ પશ્ચિમાભિમુખ છે. શાસ્ત્રો અનુસાર શિવજીનું આ પશ્ચિમાભિમુખ સ્વરૂપ ‘સદ્યોજાત’ તરીકે ઓળખાય છે, જે અત્યંત પવિત્ર અને તાત્કાલિક મનોકામના પૂર્ણ કરનારું માનવામાં આવે છે. લોકવાયકા મુજબ પ્રજાના હિત ખાતર
અહીં રાજાએ તળાવનું ખોદકામ કરાવ્યું ત્યારે સ્વયંભૂ પ્રસન્ન થયું હતું કંનનાથ મહાદેવનું શિવલિંગ. સાડા ત્રણ હજાર વર્ષ જૂના પશ્ચિમાભિમુખ કંનનાથ મહાદેવનાં દર્શન કરવા શ્રાવણ માસ સિવાય પણ ભક્તો કાયમી ઉમટતા રહે
છે.
દુઃખભંજન હનુમાનજી મંદિર અને અષ્ટમુખી શિવાલય
કનેસરા ગામ નજીક હનુમાનજી દાદા શ્રદ્ધાળુઓના સર્વે દુઃખો, કષ્ટો અને વિઘ્નો દૂર કરનારા ‘દુઃખભંજન’ તરીકે પૂજાય છે. જ્યારે હનુમાનજીને ડરાવવા રાવણે દસમુખના દર્શન કરાવ્યા ત્યારે હનુમાનજીએ અગિયારમુખ ધારણ
કરી રાવણને અચંબિત કરી દીધેલા. આ મંદિરનું પ્રવેશદ્વાર હનુમાનજીની અગિયારમુખી વિશાળ પ્રતિમા ધરાવે છે. આ મંદિરના ગર્ભગૃહમાં હનુમાનજી દાદાની તેજોમય મૂર્તિ સ્થપાયેલી છે, જેને સિંદૂર અને સુંદર શણગારથી
સુશોભિત કરવામાં આવી છે. આ જ પરિસરમાં દાદાના દર્શનની સાથેસાથે અષ્ટમુખી ભગવાન શંકરનું પવિત્ર શિવાલય પણ આવેલું છે, જે ભક્તો માટે વિશેષ આકર્ષણ અને આસ્થાનું કેન્દ્ર બને છે.
લાડૂડો ડુંગર પર બિરાજમાન સાત બહેનોના ખોડિયાર માતાજી મંદિર
કનેસરા ગામ પાસે આવેલા લાડૂડો ડુંગર ઉપરના સાત બહેનોના ખોડિયાર માતાજી મંદિર ખાસ જવા અને જોવા જેવું છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં સાત બહેનોના ખોડિયાર માતાજીની સુંદર મૂર્તિઓ શણગાર સાથે ભક્તોને દર્શન
આપે છે. લાડૂડો ડુંગરની ઉપર જવા માટે સીડીઓ બનાવાઈ છે. ડુંગર તરફ જતાં રસ્તાની બંને બાજુએ વિવિધ પ્રકારના ફૂલ-છોડ અને નાળિયેરીના વૃક્ષો વાવીને ખૂબ જ સુંદર બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત
ડુંગર પર અને આસપાસના સીમ વિસ્તારમાં સ્થપાયેલી વિશાળ પવનચક્કીઓ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. આશરે પચાસેક પગથિયાં ચઢીને ડુંગરની ટોચ પર પહોંચતા જ આસપાસનો નયનરમ્ય નજારો જોવા મળે
છે.
આ ત્રણેય સ્થળો જીવનની ભાગદોડ, શહેરથી લઈ સોશિયલ મીડિયાના ઘોંઘાટ વચ્ચે આત્માને તૃપ્તિ અને આંખોને ટાઢક આપનારા છે. અહીં પહોંચ્યા પછી સમજાય છે કે પ્રકૃતિ અને પરમાત્માનો સાથ મળે ત્યારે પ્રવાસ માત્ર
પ્રવાસ રહેતો નથી, એક યાદગાર અનુભવ બની જાય છે. એક તરફ સાડા ત્રણ હજાર વર્ષ જૂના પશ્ચિમાભિમુખ કંનનાથ મહાદેવ, બીજી તરફ આગળ જતાં દુઃખ હરનારા અગિયારમુખી હનુમાનજી અને અષ્ટમુખી શિવજી ત્યારબાદ
ત્રીજી બાજુ લાડૂડો ડુંગર પર સાત બહેનોના ખોડિયાર માતાજી.. આ સમગ્ર યાત્રા ભક્તિ અને પ્રકૃતિ વચ્ચેનો અનોખો સેતુ બની રહે છે. કદાચ એટલા માટે જ અહીં એકવાર આવનાર વ્યક્તિ ફરીથી આવવાની ઈચ્છા રાખે છે. તેથી
આ વખતે ભૂતનાથ મહાદેવ જતી વખતે વધુ ત્રણ સ્થળોને પણ તમારા પ્રવાસમાં સામેલ કરો. શક્ય છે કે આ યાત્રા તમને માત્ર દર્શનનો સંતોષ જ નહીં પરંતુ મનમાં શાંતિ, હૃદયમાં પ્રસન્નતા અને પ્રકૃતિ પ્રત્યે નવો પ્રેમ પણ
ઉત્પન્ન કરી જાય.




