પરેશ રાજગોર
પહેલા પુરુષ એકવચનમાં લખાયું છે આખું પુસ્તક
- Advertisement -
અમદાવાદ મુકામે પહેલી ઓગસ્ટે શૂન્યનો સ્વીકાર – સંજય ચમારની આત્મકથા’ પુસ્તકનો વિમોચન કાર્યક્રમ યોજાઈ ગયો. આમ તો પુસ્તકોને લગતા કાર્યક્રમોમાં ભાગ્ય જ લોકો ભેગા થતા હોય છે. પણ આ પુસ્તકના વિમોચનમાં
વિશાળ જનમેદની એકઠી થઈ એ બાબત જ સૂચવે છે કે પુસ્તક અને જેના વિશે લખાયું છે એ વ્યક્તિનું જીવન કેટલું રસપ્રદ હશે. પુસ્તકના વિમોચનમાં પુસ્તકના લેખક વિનોદ ‘જટાયું’, સંજયભાઈ ચમાર પોતે ઉપરાંત કવિ
માધવ રામાનુજ, ડો મોહન પરમાર જેવા મહાનુભાવો પણ હાજર હતા. પુસ્તકની પ્રસ્તાવના ડોક્ટર મોહન પરમારે જ લખી છે. પુસ્તક વિશે વાત કરીયે તો લેખક વિનોદભાઈ ‘જટાયું. એ લેખનમાં અનોખો પ્રયોગ કર્યો છે.
પુસ્તકની જીવનકથા આત્મકથા સ્વરૂપે લખી છે. આમ આખું પુસ્તક પહેલા પુરુષ એકવચનમાં લખાયું છે. જાણે સંજયભાઈ પોતે બોલતા હોય એવો વાચકને અનુભવ થાય છે. આમ લેખકે આખી કથા લખવામાં સંજયભાઈમાં કાયા
પ્રવેશ કર્યો છે. સંજયભાઈનો જન્મ ધનપરા ગામે ૧૯૪૧માં થયો. એમની અટક પરથી જ ખ્યાલ આવી જાય કે ચમાર પરિવારમાં જન્મ અને એ પણ આઝાદી પહેલાનો સમય, અસહ્ય ગરીબાઈ, ૧૦૦ ટકા નિરક્ષરતા. રહેણાંક
વિસ્તારમાં અકલ્પનિય ગંદકી, કોઈ પણ કારણ વગરની અન્ય સમાજો તરફથી થતી સતત નફરતની ભાવના, ત્યારે તેમણે જાતિવાદને કારણે કેટલું વેઠવું પડયું હશે. પરંતુ આવી સ્થિતિમાં ડગ્યા વિના પોતાના લક્ષ્યમાં મંડયા
રહ્યા. એસ.એસ.સી.ની પરીક્ષામાં સમગ્ર પ્રાંતિજ કેન્દ્રમાં પ્રથમ આવ્યા. કદાજ આજ એમના જીવનનો પ્રથમ ટર્નિંગ પોઇંટ બની રહ્યો. તેમના દાદા લાલજીભાઈ પણ ચામડાંનો ધંધો કરતાં. અભ્યાસ સાથેસાથે સંજયભાઈએ પણ આ
ચામડાં ઉતાર્યા પછી રોહિતવાસમાં વધેલા હાડપિંજરના નીકાલ માટે કામગીરી કરી એનો ઉલ્લેખ પુસ્તકમાં છે. દસમા પછી અભ્યાસ ચાલું રાખી આર્થીક સંકડામણને પહોંચી વળવા અન્ય વિધ્યાર્થીઓને ટ્યુસન કરાવતાં. આ જ
સમયમાં એમના જીવનનું અને પુસ્તકનું સૌથી મહત્વનું અને રસપ્રદ પ્રકરણ લખાયું છે. તેમના પત્ની પ્રેમિલાબેન સાથેની મુલાકત. સંજયભાઈ તેમને ટ્યુશન કરાવતા.
પ્રેમિલાબહેન જૈન-વૈષ્ણવ પરીવારમાંથી આવતાં. ત્યારે બંને વચ્ચે પ્રેમ પાંગર્યો. સંજયભાઈ જાણતા હતા કે આ સંબંધને લગ્નમાં ફેરવવો લગભગ અશક્ય હતો. તેમણે પરિસ્થિતિને સમજીને સ્થિર રહ્યાં, પરંતુ તેમના પત્નીએ
ત્યારે હીંમત બતાવી. તેમણે પહેલ કરી. ભાગીને લગ્ન કર્યા. આ સમયમાં તેઓને પ્રેમિલાબહેનના કેટલાક સગાસંબધીઓની પણ મદદ મળી. લગ્ન બાદ પણ જીવન સંઘર્ષમય જ રહ્યું. તેમના પત્ની પણ આ રથના પૈડાને આગળ
ચલાવવા અને ઘરમાં આર્થીક ટેકા માટે નોકરીમાં જોડાયા. જીવનમાં અનેક સંઘર્ષો છતાં સંજયભાઈ અડગ રહ્યા અને પોતાનો અભ્યાસ ન છોડ્યો. પોતાની એંજીંનીયરીંગની ડિગ્રી ચારને બદલે સાત વર્ષે પૂરી કરી. પહેલા ટેલીફોન
ખાતામાં ક્લર્કની નોકરીથી શરૂઆત કરી. ૧૯૬૯માં ટેલિફોન ખાતામાં E.S.P (એન્જિનિયરિંગ સુપરવાઇઝર ઑફ ફોન્સ)ની નોકરીથી શરૂઆત કર્યા પછી ઉ.ઊ. (ડિવિઝિનલ એન્જિનિયર) તરીકે નિવૃત્ત થયા. ત્યાં સુધીની
જીવનયાત્રા અનેક સંકટોથી ભરેલી હતી, છતાં સંજયભાઈ અડગ બનીને જીવ્યા. આખા જીવન દરમિયાન તેઓ પોતાની સ્થિતિનો સ્વીકાર કરીને જીવ્યા તેથી તેમના પુસ્તકનું નામ પણ શૂન્યનો સ્વીકાર રાખ્યું છે. પુસ્તકમાં તેમને
સવર્ણ કહેવાતા મિત્રો તરફથી સમયદર સમય મળેલી મદદનો સ્વીકાર કરી આભાર માન્યો છે. પણ તેમને તેમની જાતીને કારણે થયેલા અન્યાયો કે અન્ય તકલીફોને વર્ણવવાનું ટાળ્યું છે. તેનો ઉલ્લેખ વિનોદભાઈ પોતાની
પ્રસ્તાવનામાં પણ કરતાં જણાવે છે. ‘આ પુસ્તકમાં જેટલું સાચું છે એ બધું નથી કહેવાયું. પણ એટલી ખાતરી આપું છું કે જેટલું કહેવાયું છે તેટલું બધું સાચું છે. અને જે સાચું હોવા છતાં નથી કહેવાયું એ બે કારણોસર ઇરાદાપૂર્વક
નથી કહેવાયું.’ સંજયભાઈ શૂન્યમાંથી પ્રગતિ કરીને પૂર્ણ થયા છે. સર્વે સમાજના જીવનમાં પડતી આપદાઓ સંજયભાઈએ પણ વેઠી છે. એમ કહો કે કાળના પ્રવાહમાં અનુસ્યૂત વ્યથા-વેદનાને એમણે ઝીલી છે. એમણે જીવનમાં
વેઠેલી હાડમારી સામે કરેલો સંઘર્ષ એમને શૂન્યમાંથી પૂર્ણ તરફ લઈ જવાનો સંકેત કરે છે. તેમ છતાં તેમણે પોતાની અટક ‘ચમાર’ છોડી નથી. લેખક વિનોદભાઈ પોતે અસ્પૃશ્યતા નિવારણની કામગીરીમાં જોડાયેલા છે. તેમની
આ અંગે કાર્ય કરતી સંસ્થાનું નામ ‘અરુમ’ છે. વિનોદભાઈ પોતે અનુસુચીત જાતિમાંથી આવતા હોવા છતાં તેમના જાતિવાદ ઘટાડવાના કાર્યો કાબીલેદાદ છે.
સંજયભાઈએ શૂન્યની શરૂઆત કરી અત્યારે શિખર સર કર્યા છે. એમનો સમગ્ર પરિવાર પોતાની ક્ષમતાઓથી એ સ્તરે પહોંચ્યો છે, જ્યાં પહોંચવાનું કોઈનું પણ સપનું હોય. તેમના પુત્ર હિતેશ મકવાણા થોડો સમય પહેલા જ
સર્વેયર જનરલ ઓફ ઇંડિયાના (IAS) પદ પરથી રીટાયર્ડ થયા છે. તેઓ પોતે પોતાના પિતાની સંઘર્ષકથાના સાક્ષી છે. તેઓ પોતે પણ આ વિમોચન કાર્યક્રમમાં હાજર હતા અને કાર્યક્રમના સ્વાગત પ્રવચનમાં ગળગળા થઈ
ગયા હતા. તેમના શબ્દો સાંભળી શ્રોતાજનોની આંખો પણ ભીની થઈ ગઈ હતી. પુસ્તકને અંતે ‘સમાજને સંદેશ નામના પ્રકરણમાં સંજયભાઈ જાતિઓ વચ્ચેના અળગાવને દૂર કરવા કેટલીક સલાહો પણ આપે છે.
પોતાના જ સમાજના બધા વ્યક્તિઓ હાજર હોવા છતાં – જાહેરમંચ પરથી સ્વીકારે છે કે અત્યારે ક્રિમિલેયરમાં આવતા લોકોએ અને બાકીના લોકોએ વધુમાં વધુ હવે પછીની આગમી બે પેઢીઓમાં અનામત છોડવી જ રહી. આનો
સ્વીકાર તેમણે પુસ્તકમાં પણ કર્યો છે. અત્યારે અનામત નાબુદીની માગણીએ દેશમાં ફરી જોર પકડયું છે. ત્યારે આ અનામત કેમ જરૂરી છે એને સમજવા માટે પણ અનામત વિરોધીઓએ આ સંજયભાઈની જીવનકથા શૂન્યનો
સ્વીકાર વાચવી રહી. એનાથી વિપરીત જેઓ ૮૦ વર્ષથી અનામતનો લાભ લઈ બધી રીતે સક્ષમ બની ગયા પછી પણ અનામતની માગણી અનંત સમય સુધી કરી રહ્યા છે, તેમણે પણ છે. એક ચોક્ક્સ સમય પછી અનામત
નાબુદી કેમ જરૂરી છે 2 એને સમજવા પણ આ પુસ્તક વાચવું રહ્યું.
- Advertisement -
સંજયભાઈએ પોતાની પત્નીની સ્મૃતિમાં ‘પ્રેમિલા વ્હાલીમા ચેરીટેબલ ટ્રસ્ટ’ બનાવ્યું છે જે અનેક સમાજ ઉપયોગી પ્રવૃત્તિ કરતું રહે છે. આ ટ્રસ્ટ મારફતે જ આ ની પુસ્તક પ્રગટ કરવામાં આવ્યું છે. પુસ્તક વિશે ખૂબ જ ટૂંકમાં
માહિતી આપી છે. પણ ૨૪ પ્રકરણમાં લખાયેલી ૧૯૨ પાનાની સત્ય જીવનકથા કોઈ રોમાંચક કલ્પના કથાથી જરા પણ ઓછી નથી. દરેક વાચકે અચૂક વાચવી રહી.




