ગુજરાતના પેન્શનરો માટે મોટી રાહત
1 મેથી 31 જુલાઈ 2026 સુધી પોસ્ટમેન દ્વારા ‘હયાતી’ ચકાસણી સેવા
- Advertisement -
ગુજરાતમાં 93 હજારથી વધુ પેન્શનરોને આ સેવા મળી હતી, જેમાંથી 62 હજારથી વધુ લોકોએ ઘરે બેઠા લાભ લીધો હતો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા રાજ્યના પેન્શનરો માટે એક મહત્વપૂર્ણ અને સુવિધાજનક પહેલ કરવામાં આવી છે. હવે પેન્શનધારકોને જીવન પ્રમાણપત્ર (હયાતી) માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કચેરીઓના ચક્કર લગાવવાની જરૂર નહીં રહે. 1 મે થી 31 જુલાઈ, 2026 દરમિયાન પોસ્ટમેન અને ગ્રામિણ ડાક સેવકો દ્વારા ઘરે બેઠા નિ:શુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્ર બનાવવાની સેવા આપવામાં આવશે. આ પહેલ ગુજરાત સરકાર અને ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક વચ્ચે થયેલા સમજૂતી કરાર (એમઓયુ) અંતર્ગત અમલમાં આવી રહી છે. ઉત્તર ગુજરાત પરિક્ષેત્રના પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવ અને રાજ્યના નાણાં સચિવ સંદીપ કુમારની હાજરીમાં આ મહત્વપૂર્ણ કરાર કરવામાં આવ્યો હતો. આ યોજનાથી રાજ્યના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ મળશે. અધિકારીઓએ જણાવ્યું કે આ પહેલનો મુખ્ય હેતુ ડિજિટલ પ્રક્રિયાને પ્રોત્સાહન આપવાનો છે. ફેસ ઓથેન્ટિકેશન (ચહેરા આધારિત ઓળખ) અને ફિંગરપ્રિન્ટ બાયોમેટ્રિક ટેક્નોલોજી દ્વારા પેન્શનરોને સરળ અને ઝડપી સેવા પૂરી પાડવામાં આવશે. ખાસ કરીને ગ્રામિણ અને દૂરના વિસ્તારોમાં રહેતા વડીલો માટે આ યોજના ખૂબ જ લાભદાયી સાબિત થશે.
આ સેવા જીવન પ્રમાણ એપ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે, જે નેશનલ ઇન્ફોર્મેટિક્સ સેન્ટર દ્વારા વિકસાવવામાં આવી છે. પ્રમાણપત્ર તૈયાર થયા બાદ તેની ડિજિટલ નકલ સીધી પેન્શન કચેરી સુધી પહોંચાડવામાં આવશે. પોસ્ટમાસ્ટર જનરલ કૃષ્ણ કુમાર યાદવએ માહિતી આપતા જણાવ્યું કે ગયા વર્ષે ગુજરાતમાં 93 હજારથી વધુ પેન્શનરોને આ સેવા મળી હતી, જેમાંથી 62 હજારથી વધુ લોકોએ ઘરે બેઠા લાભ લીધો હતો. આ વર્ષે આ સંખ્યા વધુ વધવાની શક્યતા છે. ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકના આસીસ્ટન્ટ જનરલ મેનેજર રણવીર સિંહએ જણાવ્યું કે પેન્શનરોને જીવન પ્રમાણપત્ર માટે આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવાના રહેશે. પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પેન્શનરને એસએમએસ દ્વારા પ્રમાણ આઈડી મળશે, જેને આધારે તેઓ પોતાનું પ્રમાણપત્ર ઓનલાઈન ડાઉનલોડ કરી શકશે. આ સાથે, પેન્શનરો હવે આધાર સક્ષમ ચુકવણી પ્રણાલી દ્વારા ઘરે બેઠા જ પોતાના બેંક ખાતામાંથી પેન્શનની રકમ ઉપાડી શકશે, જે સેવા વધુ સરળ અને સુલભ બનાવે છે.
અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનરો પણ નજીકની પોસ્ટ ઓફિસ અથવા પોસ્ટમેનનો સંપર્ક કરીને આ સુવિધાનો લાભ લઈ શકશે.
- Advertisement -
5 લાખથી વધુ પેન્શનરોને સીધો લાભ
1 મે થી 31 જુલાઈ 2026 સુધી નિ:શુલ્ક સેવા
પોસ્ટમેન દ્વારા ઘરે બેઠા જીવન પ્રમાણપત્ર
ફેસ અને બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનનો ઉપયોગ
મુસાફરી અને સમયની બચત સાથે વધુ સુવિધા



