એસડીએમથી લઈને રાષ્ટ્રપતિ અને પીએમઓ સુધી રજૂઆત, છતાં નિરાકરણ નહીં
ટ્રસ્ટી સમીર પટેલ અને વ્યવસ્થાપન સામે ગેરવહીવટ, અપમાનજનક વર્તન અને ભ્રષ્ટાચારના આક્ષેપો
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
તા. 8 ઓગસ્ટ, 2022ના રોજ વિવિધ સામાજિક અને ધાર્મિક સંસ્થાઓના લેખિત સમર્થન સાથે બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત સ્થાનિક સ્તરે પ્રાંત અધિકારી અને એસડીએમ કચેરીથી લઈને દેશના ઉચ્ચ સ્તરના સત્તાધીશો, જેમાં રાષ્ટ્રપતિ કાર્યાલય અને વડાપ્રધાન કાર્યાલયનો પણ સમાવેશ થાય છે, ત્યાં સુધી પહોંચાડવામાં આવી હોવાનું સમિતિએ જણાવ્યું છે. સમિતિનો આક્ષેપ છે કે રજૂઆતને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં આજદિન સુધી કોઈ સત્તાવાર જવાબ કે કાર્યવાહી કરવામાં આવી નથી. રજૂઆતકારોના જણાવ્યા મુજબ, જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી ન થતાં બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી મંડળ સામે અસંતોષ અને રોષની લાગણી વધી રહી છે. સમિતિએ દાવો કર્યો છે કે અનેક રજૂઆતો અને આવેદનો છતાં સંબંધિત તંત્ર દ્વારા મુદ્દાને ગંભીરતાથી લેવામાં આવ્યો નથી અને ફરિયાદોના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવ્યા નથી.
બેટ દ્વારકાની ધાર્મિક, સામાજિક અને વ્યવસ્થાકીય બાબતોને લઈને બેટ દ્વારકા ધર્મ રક્ષા સમિતિએ બેટ દેવસ્થાન સમિતિના ટ્રસ્ટી સમીરભાઈ પટેલ તથા સંસ્થાના વ્યવસ્થાપન સામે ગંભીર પ્રકારના આક્ષેપો સાથે વિસ્તૃત આવેદનપત્ર રજૂ કર્યું છે. સમિતિએ દાવો કર્યો છે કે વર્ષોથી મંદિરના વહીવટમાં પારદર્શિતાનો અભાવ, પરંપરાઓમાં ફેરફાર, યાત્રાળુઓને પડતી મુશ્કેલીઓ અને સંપત્તિ સંચાલનમાં ગેરરીતિઓ જેવી અનેક બાબતોને કારણે બેટ દ્વારકાની ધાર્મિક પ્રતિષ્ઠાને નુકસાન પહોંચી રહ્યું છે. સમિતિના જણાવ્યા મુજબ, 29 એપ્રિલ 2022ના રોજ કેન્દ્ર સરકારના પ્રતિનિધિઓ, સાંસદો અને અધિકારીઓ બેટ દ્વારકાના દર્શનાર્થે આવ્યા હતા ત્યારે ગુગ્ગળી બ્રાહ્મણો દ્વારા મંદિરનો ઇતિહાસ અને દાન પરંપરા અંગે માહિતી આપવામાં આવી હતી. તે સમયે મહેમાનો દ્વારા આપવામાં આવેલા દાનને લઈને ટ્રસ્ટી સમીરભાઈ પટેલે જાહેરમાં ગુગ્ગળી બ્રાહ્મણો અંગે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાથી સમગ્ર બ્રાહ્મણ સમાજની લાગણીઓ દુભાઈ હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે. ધર્મ રક્ષા સમિતિએ જણાવ્યું છે કે આ મામલે અગાઉ મુખ્યમંત્રી કાર્યાલય તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરીમાં રજૂઆતો કરવામાં આવી હતી. મુખ્યમંત્રી કાર્યાલય અને જિલ્લા કલેક્ટર કચેરી તરફથી યોગ્ય કાર્યવાહી અને સમાધાન લાવવા સૂચના આપવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ યોગ્ય પ્રતિસાદ કે કાર્યવાહી કરવામાં આવી નથી એવો આક્ષેપ રજૂઆતમાં કરવામાં આવ્યો છે.
- Advertisement -
સમિતિએ બેટ દેવસ્થાન સમિતિના વર્તમાન ટ્રસ્ટી મંડળ સામે અનેક ગંભીર મુદ્દાઓ ઉઠાવ્યા છે. તેમાં ટ્રસ્ટની રચના અને નિયુક્તિઓ જિલ્લા અદાલત દ્વારા નક્કી કરાયેલા બંધારણ મુજબ ન થતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. સાથે જ પુષ્ટિમાર્ગીય પરંપરા અનુસાર સેવા-પૂજા ન થતી હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. આવેદનપત્રમાં વર્ષ 2001થી મંદિરના બાંધકામના કામો હજુ સુધી પૂર્ણ ન થયા હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે. સમિતિએ સરકાર તથા દાતાઓ તરફથી મળેલી સહાય અને ગ્રાન્ટના ઉપયોગ અંગે પારદર્શક તપાસ કરવાની માંગણી કરી છે. છેલ્લા બે દાયકાના તમામ બાંધકામ અને વહીવટી હિસાબોની તપાસ માટે સરકાર દ્વારા તપાસ સમિતિ અથવા પંચની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. બેટ દ્વારકા અને ઓખા વચ્ચે નિર્માણાધીન સિગ્નેચર બ્રિજ શરૂ થતા યાત્રાળુઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે ત્યારે ધર્મ રક્ષા સમિતિએ યાત્રાળુઓ માટેની મૂળભૂત સુવિધાઓ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા છે. જાહેર શૌચાલયોની અછત, બેસવાની અને રાહ જોવાની વ્યવસ્થા ન હોવી, પરિસરમાં ગંદકી અને ડસ્ટબીનની ગેરહાજરી જેવી સમસ્યાઓ યાત્રાળુઓને પરેશાન કરતી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પ્રસાદ વિતરણ અને પરંપરાગત વ્યવસ્થાઓમાં પણ ફેરફાર કરાયા હોવાનો મુદ્દો રજૂઆતમાં સામેલ છે. અગાઉ મળતા પ્રસાદ અને ઉપરણાની પ્રથા બંધ થતાં યાત્રાળુઓમાં અસંતોષ હોવાનું સમિતિએ જણાવ્યું છે. ઉપરાંત, મંદિર ખુલવાના સમય પહેલાં અડધો કલાક અગાઉ દરવાજા ખોલવાની વર્ષો જૂની પરંપરા બંધ થતાં યાત્રાળુઓને મંદિરનો ઇતિહાસ સમજાવવાની પરંપરા પણ ખોરવાઈ હોવાનું જણાવાયું છે.
ગૌશાળાની વ્યવસ્થા અંગે પણ રજૂઆતમાં ગંભીર ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ગાય અને વાછરડાઓના મૃત્યુદર તેમજ યોગ્ય સારવાર અને આહારના અભાવ અંગે તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. સમિતિએ વધુમાં આક્ષેપ કર્યો છે કે ટ્રસ્ટની બેઠકોમાં ગામના આગેવાનો, કર્મચારીઓ અને ગુગ્ગળી બ્રાહ્મણોને અગાઉ આમંત્રિત કરવામાં આવતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી આ પરંપરા બંધ કરી દેવામાં આવી છે. ટ્રસ્ટની બેઠકો અને નિર્ણય પ્રક્રિયા અંગે પારદર્શિતાનો અભાવ હોવાનું પણ રજૂઆતમાં જણાવાયું છે. મંદિરની મિલકતો, જમીનો અને રૂમોના ઉપયોગને લઈને પણ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. સમિતિના દાવા મુજબ કેટલાક રૂમો અને મિલકતોનો ઉપયોગ મર્યાદિત વ્યક્તિઓ માટે જ કરવામાં આવે છે, જ્યારે સામાન્ય યાત્રાળુઓને તેનો લાભ મળતો નથી. ઉપરાંત મંદિરની જમીનો ટોકન દરે વિવિધ સંસ્થાઓ અને વ્યક્તિઓને આપવામાં આવી હોવાના આક્ષેપો સાથે તેની તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં ઇન્ચાર્જ વ્યવસ્થાપક દિનેશ બદીયાણી સામે પણ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. તેમની સામે મંદિરની સંપત્તિ અને જમીનોના ઉપયોગમાં સત્તાના દુરુપયોગ તથા ગેરરીતિના આક્ષેપો કરવામાં આવ્યા છે અને તેમની સંપત્તિ તથા વહીવટી કામગીરીની સ્વતંત્ર તપાસ કરવાની માંગણી કરવામાં આવી છે. ધર્મ રક્ષા સમિતિએ દાવો કર્યો છે કે બેટ દ્વારકા ગુગ્ગળી બ્રાહ્મણ સમાજ, બ્રહ્મ સમાજ, વિવિધ ચેમ્બર ઓફ કોમર્સ, ગૌશાળા ટ્રસ્ટો સહિત ઓખા મંડળની અનેક સંસ્થાઓએ આ અભિયાનને જાહેર સમર્થન આપ્યું છે.




