રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવા શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાની સૂચના અન્વયે પીસીબીની ટીમે માલિયાસણથી કાળીપાટ જતા રસ્તે વોચ ગોઠવી ટ્રક અટકાવી 372 બોટલ દારૂ ઝડપી પાડ્યો છે ટ્રકમાં ખાસ બનાવેલી વધારાની ડીઝલ ટેન્કમાંથી ઇંગ્લીશ દારૂ સાથે એક આરોપીને ઝડપી લઇ 11.53 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. રાજકોટ પીસીબી ઇન્ચાર્જ પીઆઇ એમ.આર.ગોંડલીયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી બી ત્રાજીયા, પીએસઆઈ આર કે જાડેજાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેતા અને યુવરાજસિંહ રાણાને બાતમી મળી હતી કે એક ટ્રકમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થઈ રહી છે. આ ચોક્કસ બાતમી આધારે પોલીસે માલીયાસણ તરફથી કાળીપાટ ચોકડી તરફ આવતા રોડ પર, ગ્રીન ફાર્મ ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી પસાર થતી ટ્રકને અટકાવીને તલાશી લેતા ટ્રકમાં વધારાની ડીઝલ ટેન્ક બનાવેલી મળી આવી હતી, જેની અંદરથી વિદેશી દારૂની 372 બોટલ મળી આવતા ડ્રાયવરને સકંજામાં લઇ નામઠામ પૂછતાં પોતે ગોંડલ રોડ પર ભવ્ય એપાર્ટમેન્ટમાં રહેતો આશિષ રમણીકભાઈ હીંગરાજીયા હોવાનું જણાવતા પોલીસે દારૂ, ટ્રક સહીત 11.53 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો આ દરોડામાં મયુરભાઈ પાલરીયા, સંતોષભાઈ મોરી, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ, હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા, વિરેન્દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા,, દિલીપભાઈ બોરીચા, રાહુલગીરી ગોસ્વામી, નગીનભાઈ ડાંગર, હિરેન સોલંકી, દેવરાજભાઈ, વિશાલભાઈ દવે, જયેશભાઈ ગઢવી સહિતના જોડાયા હતા.
- Advertisement -
જેતપુરના રણુજા ધામના મહંતનો કૂવામાં ઝંપલાવી આપઘાત : કેન્સરની બીમારીથી અંતિમ પગલું ભર્યાનો સ્યુસાઇડ નોટમાં ઉલ્લેખ
જેતપુર-બગસરા રોડ પર બોરડી સમઢીયાળા અને ખારચીયા ગામ વચ્ચે આવેલા પવિત્ર યાત્રાધામ રણુજા ધામ મંદિરના મહંત કરસનદાસ બાપુએ મંદિરની સામે આવેલી વાડીના કૂવામાં પડીને જીવન ટૂંકાવ્યું હતું. સવારે ઘટનાની જાણ થતાં જ મોટી સંખ્યામાં આશ્રમના સેવકો અને ગ્રામજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ઘટનાસ્થળેથી એક સ્યુસાઇડ નોટ મળી હતી જેમાં પોતે કેન્સરની બીમારીથી કંટાળી આ પગલું ભરતા હોવાનો ઉલ્લેખ કર્યો હોય પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. 47 વર્ષથી મંદિરની સેવાપૂજા કરતા કરસનદાસ બાપુએ કુવામાં પડતું મૂકી આપઘાત કરી લેતા અરેરાટી વ્યાપી ગઈ હતી બનાવની જાણ થતા જેતપુર તાલુકા પોલીસ અને નગરપાલિકાની ફાયર ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી સ્થાનિક લોકોની મદદથી મહંતના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી મહંતે પોતાના હાથે લખેલી સુસાઇડ નોટ પણ કબજે કરી છે સુસાઇડ નોટમાં બાપુએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા ૧૦ વર્ષથી કેન્સરની બીમારીથી પીડાતા હતા. તેથી સ્વેચ્છાએ આ પગલું ભરી રહ્યા છે. તેમણે ૪૭ વર્ષ પહેલાં પરિવારનો ત્યાગ કરીને સન્યાસ લીધો હતો તેથી પરિવાર સાથે કોઈ સંપર્ક ન હોવાથી આ મામલે તેમના પરિવાર વિશે કોઈ તપાસ ન કરવા પણ તેમણે પોલીસને વિનંતી કરી છે. આ સાથે જ તેમણે રણુજા ધામ આશ્રમની જવાબદારી વડલ હનુમાન મંદિરમાં સેવા આપતા રામદાસ બાપુને સોંપવી તેવો ઉલ્લેખ કર્યો છે. જેતપુર તાલુકા પોલીસે સુસાઈડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે.
વિછિયાના હાથસણીમાં પોલીસ ભરતીની પરીક્ષા આપનાર યુવતીનો આપઘાત
વિંછીયાના હાથસણી ગામમાં રહેતી અને પોલીસ ભરતીની પરીક્ષા આપનાર 20 વર્ષીય યુવતીએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. વિછિયા તાલુકાના હાથસણી ગામે રહેતા રવિનાબેન ધનજીભાઈ રંગપરા ઉ.20એ ગઈ તા.28ના રોજ રાત્રીના પોતાના ઘરે હતી ત્યારે ઝેરી દવા પી લીધી હતી. પરિવારને જાણ થતા પ્રથમ વિંછીયા સરકારી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી. અહીં ચાલુ સારવાર દરમ્યાન આજે સવારે મોત નીપજ્યું હતું. પોલીસે મૃતદેહ પીએમ માટે ખસેડી પરિવારજનોની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક ત્રણ બહેન અને એક ભાઈમાં નાની હતી રવિનાએ હાલમાં જ ભાવનગર ખાતે પોલીસ ભરતીની પરીક્ષા આપી હતી. બનાવના દિવસે માતા-પિતાએ ખેતી કામ કરવા બાબતે રવિનાને ઠપકો આપ્યો હતો. જેનું લાગી આવતા આ પગલું ભર્યું હતું તેમ છતાં પોલીસે ચોક્કસ કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
પડધરી – શાપરમાંથી ગેરકાયદે ખનન પર એસઓજીનો દરોડો : 69 લાખના વાહન સાથે 5 ઝડપાયા
રાજકોટ જિલ્લામાં ગેરકાયદે ખનન કરતા માફિયાઓ ઉપર ધોંસ બોલાવવા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના અન્વયે એસઓજીની ટીમે પડધરી અને શાપરમાં દરોડો પાડી ગેરકાયદે ખનન કરતા 5 શખ્સોને સકંજામાં લઇ 69 લાખના વાહનો કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટ જિલ્લા પોલીસવડાની સૂચના અન્વયે એસઓજી પીઆઇ એફ એ પરજીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જી જે ઝાલા, પીએસઆઈ મિશ્રા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફના રણજીતસિંહ ધાંધલ અને વિપુલભાઈ ગોહીલને મળેલી બાતમી આધારે પડધરીના હરિપર (ખારી) ગામની સીમમાં આવેલી ખારી નદીના પટ્ટની બાજુમાં દરોડો પાડી માટી ચોરીનું કારસ્તાન ઝડપી પાડ્યું હતું પોલીસે દરોડો પાડી જેસીબી, ટ્રોલી સાથેના ત્રણ ટ્રેકટર સહીત 34 લાખના વાહનો કબ્જે કર્યા હતા અને 4 શખ્સોને સકંજામાં લીધા હતા ખાણ-ખનીજ વિભાગે નિયમ મુજબ હવે દંડ વસુલવાની કાર્યવાહી શરૂ કરી છે ત્યાર બાદ ખાણ-ખનીજ વિભાગને દંડ વસુલવા અંગે રિપોર્ટ આપ્યો હતો અંદાજે 200 મેટ્રિક ટન માટીનું ખનન થયાનું ખુલ્યું હતું ખાણ-ખનીજ વિભાગ દ્વારા દંડ વસૂલવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ ઉપરાંત કોટડાસાંગાણી તાલુકાના શાપર ગામની સીમમાં અમૃતમ તળાવમાંથી પથરાળ તાસનું ગેરકાયદે ખનન ચાલતું હોવાની બાતમી આધારે દરોડો પાડી એક એસ્કેવેટર મશીન અને ડમ્પર સહીત 35 લાખના વાહનો સાથે એક શખ્સને ઝડપી લીધો હતો.
- Advertisement -
કણકોટ રોડ પર કન્સ્ટ્રકશન સાઈટમાંથી ૫.૧૩ લાખની ચોરી
રાજકોટના કણકોટ રોડ પર 80 ફૂટ ચોકડી પાસે મારૂતી કન્સ્ટ્રકશન નામની સાઈટ ચાલતી હોય આ સાઈટ પરથી તસ્કરો 5.13 લાખની કિમંતની એલ્યુમીનીયમની 35 પ્લેટો ચોરી ગયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે મુળ ધ્રોલ તાલુકાના લતીપુર ગામના અને હાલ સાધુ વાસવાણી રોડ પર પામ સીટીમાં રહેતા રાજેશભાઈ જેરામભાઈ માલાણીએ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે છેલ્લા ચારેક મહિનાથી કન્સ્ટ્રકશનનું કામ ચાલુ હોય જેથી તેને સેન્ટીંગ કામ માટે વપરાતી માય વન મટીરીયલની એલ્યુમીનીયમની પલેટો મંગાવી હતી જે તસ્કરો ચોરી ગયાનું જણાવતા પોલીસે ગુનો નોંધી તસ્કરોને ઝડપી લેવા દોડધામ કરી છે.
માતાએ કૌટુંબિક દિયર સાથે મૈત્રીકરાર કર્યાનો ખાર રાખી પુત્રએ યુવક પર કર્યો જીવલેણ હુમલો
રાજકોટના રેલનગર વિસ્તારમાં સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ધોરણ 12ના પરિણામ ગુમ થયાની શંકાને લઈને થયેલા ઝઘડામાં બે શખ્સે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવાનને ગળા, માથા, ડાબા કાન તેમજ છાતીના બંને ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ બનાવમાં રેલનગરમાં રહેતા અને સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવતા ચંદ્રિકાબેન હરેશભાઈ વાઘેલાએ તેમના જ પુત્ર હિમેશ હરેશભાઈ વાઘેલા અને કરમજીત પાજી સામે પ્રનગર પોલીસમાં હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મહિલાને તેના પતિ સાથે અણબનાવ રહેતા તેણીએ પુત્રીને લઈને રેલનગરમાં રહેતા અમિતભાઈ મૂળજીભાઈ ચુડાસમા સાથે મૈત્રીકરાર કરી લીધા હતા. પુત્ર હિમેશભાઈ હરેશભાઈ વાઘેલા અને તેનો મિત્ર કરમજીત પાજી અમિતભાઈ સાથે ઝઘડવા લાગ્યા હતા. હિમેશ તેનું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અને ધોરણ-12નું પરિણામ અમિતભાઈએ ક્યાંક ગુમ કરી દીધું છે. તેમ કહી ગાળો બોલવા લાગ્યો હતો જેનો અમિતભાઈએ વિરોધ કર્યો હતો. આ દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને પોતાની પાસે રહેલી છરી વડે અમિતભાઈ પર તાબડતોબ હુમલો કરી દીધો હતો. હુમલામાં અમિતભાઈને ડાબા કાન, ગળા, માથા તેમજ છાતીના બંને ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. બનાવ અંગે ચંદ્રિકાબેને ફરિયાદ નોંધાવતા પીઆઇ મકવાણા સહિતે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જામગઢ ગામે વિડીયો ઉતારવાની ના પાડતા જેઠ, તેના બે પુત્રનો લાકડીથી મહિલા પર હુમલો
રાજકોટ તાલુકાના જામગઢ ગામે ઢોરા પાસે રહેતા અને ખેતીકામ કરતા શોભનાબેન ગેલાભાઈ સોલંકી ઉ.45એ મનોજ ભનુભાઇ સોલંકી, વિશાલ ભનુભાઇ સોલંકી, ભનુ ગોવિંદભાઇ સોલંકી અને તપાસમાં ખુલે તેની સામે કુવાડવા રોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા ૫તિનું અગ્યારેક વર્ષ પહેલાં શોટ લાગવાના કારણે મૃત્યુ પામેલ છે ગત સાંજે મારા પાડોશમાં રહેતા જેઠ ભનુભાઈના દીકરા વિશાલ તથા મનોજ તેના મકાનમાંથી બારી પાસે ઊભા રહીને તેના મોબાઈલ ફોનમાં અમે ફળિયામાં હાજર હતા તેનો વિડીયો ઉતારતા હોય તેને મારા જેઠ માવજીભાઈનો દીકરો વિપુલ જોઈ જતા મોબાઇલમાં વિડીયો ઉતારવાની ના પાડતા વિશાલ તથા મનોજ આ બંને અમારા ફળિયામાં આવીને વિપુલ સાથે બોલાચાલી કરી ઝઘડો કરવા લાગતા તેઓના પિતા ભનુભાઈ ૫ણ આવી જતા હું પણ ત્યાં હાજર હતી અને તે સમયે મનોજ પાસે રહેલ એક લાકડી વડે મારા જેઠના દીકરા વિપુલને માથાના કપાળના ભાગે લાકડી મારતા હું તેને સમજાવવા જતા મને પણ મનોજે પેટના તથા સાથળના ભાગે ડાબી બાજુ લાકડી મારતા મને દુખાવો થવા લાગતા ત્યાં હાજર રહેલ મારા દીકરા પરેશે 108માં ફોન કરીને 108 બોલાવતા 108 આવી જતા મને સારવાર માટે તથા મારા જેઠના દીકરા વિપુલને સારવાર માટે કુવાડવા સરકારી દવાખાને લઈ ગયેલ અને થોડી સારવાર બાદ મને એકલીને જ રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરેલ છે સારવાર લીધા બાદ મેં ફરિયાદ નોંધાવી હતી.
મેટોડાની જય ગણેશ રેસ્ટોરન્ટમાંથી બાળશ્રમિકને મુક્ત કરાયો
રાજકોટના કાલાવડ રોડ પર આવેલ મેટોડા ગેટ નં.3 પાસે આવેલા જય ગણેશ રેસ્ટોરન્ટમાં 12 વર્ષના બાળક પાસે બાળમજૂરી કરાવવામાં આવતી હોવાની બાતમી આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના સ્ટાફે દરોડો પાડી બાળમજૂરને મુક્ત કરાવ્યો હતો. પોલીસે રેસ્ટોરન્ટના સંચાલકો વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટીસ એકટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. રાજકોટ ગ્રામ્યના એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટના પીઆઇ એન.એ. શુક્લની રાહબરી હેઠળ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ મહિલા કોન્સ્ટેબલ મનીષાબેન સહિતનાઓ પેટ્રોલિંગમાં હતા દરમિયાન મેટોડા જીઆઇડીસી વિસ્તારમાં મેટોડા ગેટ નં.3 પાસે જય ગણેશ હોટલ(રેસ્ટોરન્ટ) માં બાળકો પાસે બાળમજૂરી કરાવવામાં આવી રહી હોવાની માહિતી મળી હતી આ બાતમી આધારે ટીમ પહોંચી હતી. પોલીસે ગણેશ હોટલમાં તપાસ કરતા અહીં એક બાળક કામ કરતો હોવાનું નજરે પડ્યું હતું. જેથી તેની પૂછતાછ કરતા તે રાજસ્થાનના ઉદયપુરનો વતની હોવાનું અને તેની ઉંમર આશરે 12 વર્ષ હોવાનું માલુમ પડ્યું હતું. બાદમાં પોલીસે હોટલના સંચાલકની પૂછતાછ કરતા તેમના નામ વિક્રમ પ્રતાપ બારૈયા તથા ભગવતીલાલ લોગર હોવાનું જણાવ્યું હતું રેસ્ટોરન્ટના સંચાલક બાળક પાસે બાળમજૂરી કરાવી વધુ કલાકો સુધી તેની પાસે કામ લઇ ઓછું વેતન આપી તેનું શોષણ કરતા હોય જેથી આ મામલે હોટલના બંને સંચાલકો સામે લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલેશન એક્ટ તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી બીજી તરફ બાળમજૂરને મુક્ત કરાવી સ્પેશિયલ હોમ ફોર બોયઝ રાજકોટમાં મોકલી દેવામાં આવ્યો હતો.




