એપ્રિલના અંત અને મે મહિનાની શરૂઆતે કેસર કેરી બજારમાં આવવાની શક્યતા
સોરઠની શાન ગણાતી કેસર કેરી પર કુદરતની વક્રદૃષ્ટિ
- Advertisement -
ગીરના આંબાવાડિયામાં ત્રણ તબક્કે મહોર આવતાં કેરીની સીઝન લંબાશે
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.7
સમગ્ર વિશ્ર્વમાં જેની સ્વાદની સોડમ ફેલાયેલી છે તેવી ગીર અને સોરઠ પંથકની કેસર કેરી પર છેલ્લા કેટલાક વર્ષોથી બદલાતા વાતાવરણનું ગ્રહણ લાગ્યું છે. સતત બદલાતી આબોહવા, કમોસમી વરસાદ (માવઠું) અને કડકડતી ઠંડી વચ્ચે થતી ઝાકળવર્ષાએ આ વર્ષે આંબાના બગીચાઓમાં અજીબોગરીબ પરિસ્થિતિ સર્જી છે. ચાલુ વર્ષે કુદરતના બદલાતા મિજાજને કારણે આંબામાં એક-બે નહીં પણ ત્રણ-ત્રણ વખત ફ્લાવરિંગ (મોર) જોવા મળ્યું છે, જેને કારણે ગીરના બગીચાઓમાં ’એક જ આંબા પર ત્રણ પેઢીની કેરી’ જેવો અનોખો ઘાટ જોવા મળી રહ્યો છે. જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર ગીર વિસ્તારમાં કેસર કેરીનું પુષ્કળ ઉત્પાદન થાય છે, જે સ્થાનિક અર્થતંત્રનો મુખ્ય આધાર છે. જોકે, આ વર્ષની શરૂૂઆત ખેડૂતો માટે પડકારજનક રહી હતી. સીઝનની શરૂૂઆતમાં થયેલા માવઠા અને વાતાવરણમાં આવેલા પલટાને કારણે પ્રથમ તબક્કાના આશરે 50 ટકા જેટલા મોર બળી ગયા હતા. કિંમતી દવાઓના છંટકાવ અને રાત-દિવસની મહેનત બાદ જ્યારે વાતાવરણ થોડું અનુકૂળ થયું, ત્યારે ફરી આંબા પર મોર આવવાની પ્રક્રિયા શરૂૂ થઈ હતી. પરંતુ આ અનિયમિતતાને લીધે કેરીના પાકમાં સમાનતા જળવાઈ નથી.હાલમાં ગીરના આંબાવાડિયાઓમાં નજર કરીએ તો વૈજ્ઞાનિક દૃષ્ટિએ અને ખેતીના અનુભવ મુજબ એક અત્યંત દુર્લભ સ્થિતિ જોવા મળી રહી છે. વાતાવરણના ફેરફારને કારણે આંબામાં ત્રણ તબક્કે ફ્લાવરિંગ થયું છે. પ્રથમ ફ્લાવરિંગ આવ્યું તેમાં જે મોર માવઠામાંથી બચી ગયા હતા, તેનું ફળ હવે મોટું થઈ ગયું છે. આ કેરીઓ ટૂંક સમયમાં તૈયાર થવાની ધારણા છે. જયારે બીજું ફ્લાવરિંગ આવ્યું જેમાં વાતાવરણ ઠર્યા બાદ જે બીજી વખત મોર આવ્યા, તેમાં હાલ ’ખાખડી’ (નાની કેરી) તૈયાર થઈ ગઈ છે, જે સોપારી જેવડી દેખાય છે. અને ત્રીજું ફ્લાવરિંગ આવ્યું તે હાલમાં જે છેલ્લું ફ્લાવરિંગ થયું છે, તેમાં કેરી અત્યારે સાવ નાની એટલે કે મરીના દાણા જેવડી જોવા મળી રહી છે. આમ, ખેડૂતોને એક જ ઝાડ પર મોટી કેરી, સોપારી જેવડી ખાખડી અને મરી જેવડા દાણા એમ ત્રણ અલગ-અલગ અવસ્થાના ફળ જોવા મળી રહ્યા છે.ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોનું માનવું છે કે ત્રણ તબક્કાના ફ્લાવરિંગને કારણે આ વર્ષે કેસર કેરીની સીઝન સામાન્ય કરતા વધુ લાંબી ચાલશે. અગાઉ મે મહિનાના અંત સુધીમાં સીઝન પૂર્ણ થઈ જતી હતી, પરંતુ આ વખતે જૂન મહિના સુધી બજારમાં કેરી જોવા મળે તેવી શક્યતા છે. જોકે, સ્વાદના શોખીનોએ હજુ રાહ જોવી પડશે. સારી અને ખાવા લાયક રસદાર કેસર કેરી એપ્રિલ મહિનાના અંત કે મે મહિનાની શરૂૂઆત પહેલા બજારમાં આવવી મુશ્ર્કેલ છે.એક તરફ કેરીના પાકને બચાવવા ખેડૂતો મથામણ કરી રહ્યા છે, ત્યાં બીજી તરફ હવામાન વિભાગની આગાહીએ તેમની ચિંતામાં વધારો કર્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલ અને મે મહિનામાં પણ કમોસમી વરસાદ થવાની સંભાવના છે. જો આ આગાહી સાચી ઠરે અને એપ્રિલ-મેમાં વરસાદ થાય, તો કેરીના પાકને ભારે નુકસાન થઈ શકે છે. વરસાદને કારણે કેરીમાં ’મધિયો’ નામનો રોગ આવવાની અને ફળ ખરી પડવાની ભીતિ સેવાઈ રહી છે. ગીર પંથકના ખેડૂતો જણાવી રહ્યા છે કે, બદલાતા હવામાન સામે પાકને બચાવવા માટે આ વર્ષે જંતુનાશક દવાઓ અને ખાતરનો ખર્ચ બમણો થઈ ગયો છે. વારંવાર આવતા મોરને સાચવવા માટે મજૂરી ખર્ચ પણ વધ્યો છે. જો કુદરત સાથ આપે તો જ આ વર્ષે ખેડૂતોને તેમના રોકાણ સામે વળતર મળે તેમ છે. હાલ તો ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા છે કે હવે વાતાવરણ સ્થિર રહે અને માવઠાની આફત ન આવે. સોરઠની કેસર કેરી આ વર્ષે કુદરતી પરીક્ષાઓમાંથી પસાર થઈ રહી છે. એક જ આંબા પર ત્રણ પેઢીની કેરીના દ્રશ્ર્યો કુતૂહલ જરૂૂર જગાવે છે, પણ તેની પાછળ ખેડૂતોનો સંઘર્ષ છુપાયેલો છે. હવે બધો જ આધાર આવનારા બે મહિનાના હવામાન પર છે. જો એપ્રિલ અને મે મહિનામાં આકાશ સાફ રહેશે, તો મોડી પણ મીઠી કેસર કેરી લોકોના મુખ સુધી પહોંચશે.



