શહેરના મુખ્ય માર્ગ પૈકી અમુક રસ્તાઓની આગવી ઓળખ ઉભી થાય તે રીતે વૃક્ષારોપણ કરાશે: મેયર ડૉ. પ્રદીપ ડવ
કોર્પોરેશનના મુખ્ય કચેરીના ગ્રાઉન્ડમાં પદાધિકારીઓના વરદ હસ્તે વૃક્ષારોપણ કરાયું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ઘનિષ્ઠ વૃક્ષારોપણ કરવામાં આવતું. તેમજ શહેરમાં લોકોને વૃક્ષારોપણ માટે કોર્પોરેટરના માધ્યમથી વિનામુલ્યે ટ્રી-ગાર્ડ પણ આપવામાં આવતા હતા. જેના અનુસંધાને શહેરમાં વૃક્ષારોપણ થતું પરંતુ નિયમિત જતન ન થવાથી સંતોષકારક પરિણામ મળતું નહિ. જેના અનુસંધાને મેયર ડૉ.પ્રદિપ ડવે ચાલુ વર્ષે ટ્રી-ગાર્ડ બનાવવાના બદલે સામાજીક સંસ્થાઓ મારફત ટ્રી-ગાર્ડ, ખાડા, વૃક્ષ અને પીવાના પાણી સાથે ઉછેર સાથેની જવાબદારી નક્કી કરી વૃક્ષારોપણ કરવાનો વિચાર પદાધિકારીઓ અને પાર્ટીના હોદેદારઓ સમક્ષ રજુ કરતા જેને આવકારતા ચાલુ વર્ષે સામાજીક સંસ્થાના માધ્યમથી શહેરમાં વૃક્ષારોપણ કરવાનું આયોજન કરેલ.
જેના અનુસંધાને આજ તા.૨૧/૦૯/૨૦૨૧ના રોજ રાજકોટ મહાનગરપાલિકા અને સદભાવના વૃધ્ધાશ્રમના સંયુક્ત ઉપક્ર્મે સઘન વૃક્ષારોપણ માટે “ગો ગ્રીન” રથનો પ્રારંભ. મેયર ડૉ.પ્રદિપ ડવ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, બાગ બગીચાના ચેરમેન અનિતાબેન ગોસ્વામી વિગેરેના વરદ હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે જુદી જુદી કમિટીના ચેરમેન, કોર્પોરેટર વિગેરે ઉપસ્થિત રહેલ.
- Advertisement -
“ગો ગ્રીન” સઘન વૃક્ષારોપણ અંતર્ગત હાલમાં ત્રણેય ઝોનના મુખ્યમાર્ગો જેવા કે, ડિલક્ષ ચોકથી ગ્રીન લેન્ડ ચોકડી, સંતકબીર રોડ, સોરઠીયા વાડી સર્કલથી કોઠારીયા ગામ સુધી, ઢેબર રોડ ત્રિકોણ બાગથી હાઇવે બ્રિજ સુધી, મવડી બ્રિજથી રામધણ સુધીના મુખ્યમાર્ગ વિગેરે માર્ગો પર વૃક્ષારોપણ કરાશે. જેમાં સંસ્થા દ્વારા ખાડો, વૃક્ષ, ટ્રી-ગાર્ડ, નેટ, ખાતર તેમજ સંસ્થા દ્વારા નિયમિત પાણી પીવડાવામાં આવશે. શહેરના અન્ય રસ્તાઓ પણ તબક્કાવાર આવરી લેવામાં આવશે.
સઘન વૃક્ષારોપણમાં કરંજ, લીમડા, પીલખન, ફાઈકર્સ, બોરસલી, પારીજાત, પીપળા, વડલા, બોટલબ્રુસ, રાવણો, ખાટી અંબાલી વિગેરે પ્રકારના વૃક્ષો વાવવામાં આવશે. મેયર ડૉ.પ્રદિપ ડવએ જણાવેલ કે, શહેરના અમુક માર્ગો પર માર્ગની આગવી ઓળખ ઉભી થાય તે પ્રકારના વૃક્ષો જેવા કે, બોટલબ્રુસ, ફાઈકર્સ જેવા વૃક્ષ વવાશે.
આજે વિશ્વ આખું ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણની ચિંતા કરી રહ્યું છે. આજના સમયમાં પર્યાવરણનું જતન થાય અને શુદ્ધ ઓક્સિજન મળે અને કાર્બનમાં ઘટાડો થાય તે દિશામાં કામગીરી કરવી જરૂરી છે. રાજકોટ મહાનગરપાલિકા આ માટે પ્રયત્ન કરી રહેલ છે. કાર્બન ઘટાડવા શહેરની સ્ટ્રીટ લાઈટો એલ.ઈ.ડી. લાઈટમાં પરિવર્તિત, રૂફટોપ સોલાર, સાઈકલ શેરિંગ પ્રોજેક્ટ, વૃક્ષારોપણ વિગેરે હાથ ધરવામાં આવેલ છે. શહેરને હરિયાળું, સ્વચ્છ બનાવવા તમામ નગરજનો જાગૃત થાય અને તંત્રને સહકાર આપવા પદાધિકારીઓ અપીલ કરેલ.
- Advertisement -



