શ્રાવણ માસમાં આઠ લાખ ભક્તોએ દાદાના દર્શન કર્યા
શ્રાવણ દરમિયાન દાતાઓ દ્વારા 66 સોનાના કળશ પણ મળ્યા, અત્યાર સુધીમાં કુલ 400 જેટલા કળશ મંદિર પર ચડ્યા
ખાસ-ખબર સંવાદદાતા
પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતુ. કોરોના મહામારીમાં લાંબા સમયથી ઘરોમાં રહૃાા બાદ પરિવારો સોમનાથ આવ્યા હતા. જેથી સોમનાથ તીર્થની અર્થવ્યવસ્થામાં નવું ચેતન આવ્યું છે. તો શ્રાવણ માસ દરમિયાન અલગ અલગ દાતાઓ દ્વારા 66 સોનાના કળશ પણ મળ્યા છે. અત્યાર સુધીમાં કુલ 400 જેટલા કળશ મંદિર પર ચડ્યા છે. ગુજરાત સહિત સમગ્ર દેશભરમાં કોરોના મહામારીના કેસ ઘટતાની સાથે બાર જ્યોતિર્લિંગ પૈકીના સોમનાથમાં ભાવિકો ઉમટી પડ્યા હતા. જયારે સોમનાથ મંદીર શ્રાવણ માસે દર્શન માટે ખુલ્યું અને ભાવિકોને આરતીમાં પ્રવેશ બંધ હતો તેમ છતાં રાજ્ય અને દેશભરમાંથી ભારે માત્રામાં ભાવિકો, પ્રવાસીઓ સૌરાષ્ટ્ર તરફ આવ્યાં હતાં. માત્ર એક શ્રાવણ માસમાં જ સોમનાથ મંદિરે મહાદેવના દર્શન કરવા માટે 8 લાખથી વધુ ભાવિકો ઉમટી પડ્યા હતા. તો છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા કોરોના મહામારીના કારણે સોમનાથ ટ્રસ્ટને પણ નહિવત આવક થઈ હતી. જેની સામે મહામારી બાદ એક નવી ચેતનાનો સંચાર થયો છે અને 8 લાખથી વધુ ભાવિકો સોમનાથ આવ્યા ત્યારે સોમનાથમાં દાન પુણ્ય અને અન્ય આવકમાં પણ ભુતકાળ કરતા અનેક ગણી આવકમાં વધારો થયો છે અને ટ્રસ્ટને 8 કરોડ જેટલી આવક પણ થઈ છે. તો સોમનાથ ટ્રસ્ટ દ્વારા સંચાલીત વિવિધ અતિથિગૃહો કે જેમાં વ્યાજબી ભાવે ઉત્તમ સુવિધાઓ મળે છે અને જમવા માટે પૌષ્ટિક ગુજરાતી થાળી, તેમજ નવો વોક વે, મ્યુઝિયમ સહિતની આવકમાં ઘરખમ વધારો થયો છે. જયારે 403 જેટલા ધ્વજા રોહણ, 74 સવાલક્ષ બીલ્વપુજાઓ, ગોલખપેટી માં 1.76 કરોડ, વિવિધ પુજાઓના 1.5 કરોડ, પ્રસાદીની આવક 2.65 કરોડ થઈ છે. અને 50 લાખનું દાન મળ્યું છે. જયારે નવા બનેલા વોક વેની આવક 1.5 કરોડ, ભોજનાલયોમાં 78 લાખ, ગેસ્ટ હાઉસમાં 94 લાખની આવક થઈ છે. તો મંદિર પર 66 સોનાના કળશોનું પણ દાન મળ્યું છે.
જોકે આમ જોઈએ તો ગતવર્ષે કોરોના મહામારીના કારણે દેશભરમાં મંદિરો સહિત પ્રયટક સ્થળો પર પ્રતિબંધ હતો અને લાંબા સમય ગાળા દરમિયાન ચાલે લોકડાઉનના કારણે લોકો ઘરમાં રહેવા મજબૂર બન્યા હતા. જોકે ગતવર્ષે પણ કોરોનાની ગાઈડલાઈન પાલન સાથે સોમનાથ મંદિરમાં લોકોને પ્રવેશ આપવામાં આવતો હતો. પરંતુ લોકો જ કોરોનાને કારણે ઘરમાં રહી સુરક્ષિત રહેવા ઇચ્છતા હોય તેમ ગતવર્ષે શ્રાવણ માસમાં માત્ર 1.80 લાખ ભાવિકો જ સોમનાથના દર્શને આવ્યા હતા અને સોમનાથ ટ્રસ્ટને માત્ર 2.5 કરોડની જ આવક થઈ હતી. જોકે ચાલુ વર્ષે કોરોનાનો થોડો ભય ઓછો થતા આવક અને યાત્રિકો બન્નેમાં વધારો થયો છે. જોકે આવકની સામે ચાલુ વર્ષે શ્રાવણ માસમાં સોમનાથ ટ્રસ્ટને યાત્રી સુવિધાઓમાં 5 કરોડનો ખર્ચ પણ થયો છે.
- Advertisement -



