ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.5
આ કેસની ટૂંકમાં હકીકત એવી છે કે આ કામના ફરિયાદી સૂર્યદીપ ફાઈનાન્સના પ્રોપરાઈટર દરજ્જે દિલીપભાઈ બાબભાઈ ખાચરએ પોતે સૂર્યદીપ ફાઈનાન્સના નામે નાણા ધીરધારનો વ્યવસાય કરતા હોય અને ગુજરાત મનીલેન્ડ એક્ટ 2011 અન્વયે સાવકાર ધારાનો લાયસન્સ ધરાવતા હોય જેથી આ કામના આરોપી રાજુભાઈ હમીરભાઈ સાંગડીયાને પોતાના ધંધા માટે રૂા. 3,00,000 લોનની જરૂરિયાત ઉભી થતાં અમોની ફાઈનાન્સ કંપનીનો સંપર્ક કરેલ જેથી ફાઈનાન્સના નીતિ નિયમો મુજબ આરોપીને ગત તા. 3-1-2022ના રોજ રૂા. 3,00,000ની અંગત લોન આપેલી હતી અને આરોપીએ ફાઈનાન્સની તરફેણમાં લોન એગ્રીમેન્ટ તથા પ્રોમીસરી નોટ કરી આપેલી હતી ત્યારબાદ આરોપી લોનની રકમ નિયમિત ભરપાઈ કરતાં ન હોય અને વ્યાજની રકમ પણ ચડી ગયેલી હોય જેથી આરોપીએ ફાઈનાન્સની તરફેણમાં ગત તા. 24-3-2022ના રોજ પોતાના ખાતાવાળી બેંકનો ચેક લોનની રકમ ભરપાઈ કરી આપવા માટે આપેલો હતો, જે ચેક તા. 25-3-2022ના રોજ જમા કરાવતા અપૂરતા ભંડોળના કારણે રિટર્ન થયેલો હતો જેથી ફરિયાદીએ પોતાની કાયદેસરની લેણી રકમ પરત મેળવવા માટે નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 અન્વયે આરોપી રાજુભાઈ હમીરભાઈ સાંગડીયાને પોતાના એડવોકેટ મારફતે નોટીસ ફટકારેલ હતી, તેમ છતાં આરોપીએ લોનની રકમ ભરપાઈ નહીં કરતાં આ કામના ફરિયાદી દિલીપભાઈ ખાચરએ સૂર્યદીપ ફાઈનાન્સના પ્રોપરાઈટર દરજ્જે નામદાર કોર્ટમાં આરોપી વિરુદ્ધ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવેલી, જે કેસ ચાલી જતાં નીચેની કોર્ટે પુરાવાનું મૂલ્યાંકન કરી આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવેલો હતો. જે હુકમથી નારાજ થઈ આ કામના મૂળ ફરિયાદી સૂર્યદીપ ફાયનાન્સના પ્રોપરાઈટર દિલીપભાઈ બાબભાઈ ખાચરે નીચેની કોર્ટના હુકમને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવેલો અને લીવ ટુ અપીલ ફાઈલ કરવામાં આવેલી, જે ચાલવા ઉપર આવતાં બંને પક્ષકારોની દલીલ સાંભળી નીચેની કોર્ટમાં રજૂ થયેલા પુરાવાનું મૂલ્યાંકન કરી નીચેની કોર્ટનો ચૂકાદો કાયદાના દ્રષ્ટિકોણથી યોગ્ય હોય જે બહાલ રાખી ફરિયાદીની લીવ ટુ અપીલ ડીસમીસ કરતો હુકમ ફરમાવેલો હતો.
આ કામમાં આરોપી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, યોગેશ એ. જાદવ તથા મદદનીશમાં અભય ચાવડા, વિશાલ રોજાસરા, વિક્રમ કિહલા તેમજ ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ મેહુલ એસ. પાડલીયા રોકાયેલા હતા.