એરપોર્ટ આઇકોનિક રોડ પર ’મા ભારતી’ના જયઘોષ સાથે છલકાયો અમદાવાદીઓનો રાષ્ટ્રપ્રેમ
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ
અમદાવાદમાં એરપોર્ટ આઇકોનિક રોડ પર યોજાયેલા ભવ્ય રોડ શોમાં ’મા ભારતી’ના જયઘોષ સાથે અમદાવાદીઓએ ’ઓપરેશન સિંદૂર’ની સફળતા બદલ ભારતીય સૈન્ય અને ગુજરાતના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. ગુજરાતના બે દિવસીય પ્રવાસે પધારેલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા અમદાવાદ ખાતે યોજાયેલા રોડ શોમાં ભારતીય સેનાની શૌર્યપૂર્ણ કામગીરી અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી દર્શાવતા વિવિધ ટેબ્લો, રાષ્ટ્રપ્રેમ વ્યક્ત કરતા હોર્ડિંગ્સ, દેશભક્તિ ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમોએ વાતાવરણને ઊર્જાસભર બનાવ્યું હતું.
- Advertisement -
તિરંગાની થીમ પર કરવામાં આવેલી શાનદાર રોશનીથી એરપોર્ટ આઇકોનિક રોડ ઝળહળી ઊઠયો હતો.રોડ શો દરમિયાન વડાપ્રધાનની એક ઝલક જોવા માટે શહેરીજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. રોડ શોના રૂટ પર બાળકો સહિત શહેરીજનોએ હાથમાં તિરંગો લહેરાવીને તથા પુષ્પવર્ષા કરીને વડાપ્રધાનશ્રીનું સ્વાગત – સન્માન કર્યું હતું. સિંદૂર સન્માન યાત્રામાં અમદાવાદીઓએ તિરંગા સાથે અતૂટ રાષ્ટ્રપ્રેમ અને દેશદાઝની ભાવના દર્શાવી હતી.રોડ શોમાં ભારતીય સેનાના શૌર્યને બિરદાવતા પ્લે કાર્ડ અને બેનરોના લીધે ચારે તરફ દેશભક્તિ અને રાષ્ટ્રપ્રથમનું અનેરું દૃશ્ય સર્જાયું હતું. વિવિધ ધર્મ, સમાજ અને સંસ્થાઓના લોકો વિવિધ વેશભૂષા તથા ચિત્રો અને બેનરો સાથે આ રોડ શોમાં સહભાગી થયા હતા.
સુખચેનથી જીવો, રોટી ખાઓ, નહીં તો મારી ગોળી છે જ: મોદીએ કચ્છથી પાકિસ્તાનીઓને ચેતવ્યા
પાકિસ્તાન ટેરરિઝમને જ ટુરિઝમ માને છે: મોદી
’ઓપરેશન સિંદૂર’ બાદ પ્રથમવાર આજ( 26 મે)થી બે દિવસીય પ્રવાસે આવી પહોંચ્યા છે. આજે પ્રથમ દિવસે પીએમ મોદી વડોદરા, દાહોદ, ભુજ અને અમદાવાદની મુલાકાત લીધી. ચાર શહેરોમાં રોડ શો, જાહેર સભા અને વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યા. ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરમાં કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના દીકરાના લગ્નમાં પહોંચ્યા હતા. જ્યાં નવદંપતીને આશીર્વાદ આપ્યા હતા.
- Advertisement -
દાહોદમાં જાહેરસભા સંબોધીને પીએમ મોદી સીધા જ ભુજ પહોંચ્યા હતા. ભુજમાં એરપોર્ટથી જાહેરસભાના સ્થળ સુધી રોડ શો યોજ્યો હતો. ભુજમાં પીએમએ પોતાના સંબોધનની શરૂઆતમાં ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણ વર્મા અને આશાપુરા માતા્જીને યાદ કર્યા અને કચ્છી ભાષામાં લોકોને આવકાર્યા હતા. 2001ના ભૂકંપ બાદ બેઠા થયેલા કચ્છીમાડુઓની ખુમારીને યાદ કરી હતી. મોદીએ કહ્યું કે, દુનિયાને એમ હતું કે, કચ્છ હવે બેઠું નહીં થઈ શકે પણ મને મારા કચ્છીભાઈ પર પૂરો વિશ્વાસ હતો કે, કચ્છીમાડુ ભૂકંપને પણ કંપાવીને ઉભો થઈ જશે. જે કરી પણ બતાવ્યું. 1971ના યુદ્ધમાં પાકિસ્તાનના હુમલા બાદ કચ્છની વીરાંગનાઓએ રાતોરાત મહેનત કરી એરફોર્સ માટે રનવે તૈયાર કરી આપ્યો હતો. આ વીરાંગનાઓ ભુજમાં સભા સ્થળ પર મોદીના ઓવારણા લીધા હતા અને એક સિંદૂરના ઝાડનો છોડ મોદીને ભેટમાં આપ્યો હતો. જે વડાપ્રધાને કહ્યું કે, આજે મારું સૌભાગ્ય છે કે, 71ના યુદ્ધના વીરાંગનાઓએ મને આશીર્વાદ અને સિંદૂરના્ વૃક્ષનો રોપ આપ્યો છે જે પીએમ હાઉસમાં લાગશે. આ સિંદૂરનો રોપ છે. જે વટવૃક્ષ બનીને રહેશે.
પાકિસ્તાનની સરહદને અડીને જ આવેલા કચ્છની ધરતી પર સભાને સંબોધિત કરી રહેલા પીએમ મોદીએ પાકિસ્તાન પર પ્રહારો કર્યા હતા. આતંકવાદ મુદ્દે કહ્યું- પાકિસ્તાન ટેરરિઝમને જ ટુરિઝમ માને છે જે દુનિયા માટે મોટો ખતરો છે. વડાપ્રધાને સ્પષ્ટ કહ્યું કે, અમારી નીતિ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની છે. ઓપરેશન સિંદૂરે આ નીતિને વધુ સ્પષ્ટ કરી દીધી છે. જે પણ ભારતીયોનું ખૂન વહાવવાની કોશિશ કરશે તેને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. ભારત પર આંખ ઉઠાવવા વાળા કોઈપણ કિંમતે છોડવામાં નહીં આવે. ઓપરેશન સિંદૂર વિષે કહ્યું- ભારતના ટાર્ગેટ પર આતંકવાદીઓના હેડક્વાર્ટર હતા. સેંકડો કિલોમીટર અંદર જઈને સીધો હુમલો કરીને જવાનો પરતઆવી ગયા. આ દર્શાવે છે કે, આપણી સેના કેટલી સક્ષમ અને અનુશાસિત છે. અમે દુનિયાને દેખાડ્યું કે, અમે આતંકવાદના અડ્ડાને અહીં બેઠા બેઠા મિટ્ટીમાં મિલાવી શકીએ છીએ.