ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાનું શરૂ
અમદાવાદના ઈસનપુરમાં ગેરકાયદે બાંધકામો તોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે. રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના તળાવોમાં ગેરકાયદેસર દબાણ કરીને વસવાટ કરતા લોકોને દૂર કરી તળાવનો કબજો લેવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં દક્ષિણ ઝોનમાં લાંભા વોર્ડમાં ઈસનપુર વિસ્તારમાં મોની હોટેલના ગલીમાં શાક માર્કેટ પાસે આવેલા આંબા તળાવમાં મેગા ડિમોલીશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તળાવમાં રહેલા આશરે 160થી વધારે ગેરકાયદેસર બાંધકામોને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પાડવાની શરૂઆત કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે નાગરિકો પાસે વસવાટ કરતા હોવા અંગેના પુરાવા હશે તેના આધારે ફોર્મ ભરાવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે.
- Advertisement -
નોટિસ આપી મકાન ખાલી કરવા સૂચના અપાઈ હતી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોના જણાવ્યા મુજબ શહેરમાં વિવિધ વિસ્તારોમાં તળાવોની જગ્યા આવેલી છે. જે જગ્યામાં ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે. જેથી દબાણો દૂર કરીને તળાવને ઊંડા કરવામાં આવનાર છે. પૂર્વ વિસ્તારમાં ઇસનપુર મોની હોટલની ગલી પાસે આંબા તળાવ આવેલું છે. જેમાં 160થી વધારે નાના મોટા કાચા પાકા મકાનો બની ગયા હતા અને લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની જગ્યાનો કબજો લેવા નોટિસ આપી મકાનો ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી હતી.
વૈકલ્પિક વ્યવસ્થા માટે મકાનો ફાળવવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કાચા પાકા ઝુંપડાના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે. મેડિકલ ટીમ અને ફાયરની ટીમ પણ સ્થળ ઉપર રાખવામાં આવી છે. જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા જોઈતી હોય તેઓને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નજીકના રેન બસેરામાં આશરો આપવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. વર્ષોથી વસવાટ કરતા નાગરિકો પોતાના પુરાવા આપશે તેમને કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના મકાનો ફાળવી આપવા માટે ફોર્મ ભરાવીને તેની પણ પ્રક્રિયા કરવામાં આવશે.




