ખિજડીયા બર્ડ અને મરિન સેન્ચ્યુરીમાં મોડી રાત્રે ઓપરેશન, 25 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલા 8 ધાર્મિક દબાણ દૂર કરાયા
ખાસ-ખબર ન્યૂઝ જામનગર
- Advertisement -
સંવેદનશીલ દરિયાકાંઠો ધરાવતા જામનગર જિલ્લામાં મંગળવારે મોડી રાત્રે વનવિભાગ અને પોલીસના સંયુક્ત ઓપરેશન દ્વારા 8 ગેરકાયદેસર ધાર્મિક દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ દબાણો ખીજડીયા બર્ડ સેન્ચ્યુરી અને મરીન સેન્ચ્યુરીના પર્યાવરણ અને બાયો ડાઈવર્સિટી માટે જોખમરૂપ હતા. સંવેદનશીલ દરિયા કાંઠો ધરાવતા જામનગર જિલ્લામાં 8 ધાર્મિક દબાણો દૂર કરાયા છે. મંગળવારે મોડી રાત્રે વનવિભાગની ટીમ અને જામનગર પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું.
SP પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે, જામનગરનો દરિયાઇ કાંઠો ઘણો સંવેદનશીલ છે. અહીં બર્ડ સેન્ચ્યુરી પણ આવેલી છે. જામનગરના દરિયાકાંઠે ઘણા ધાર્મિક દબાણો કરેલા હતા. એ ધાર્મિક દબાણો હટાવાયા છે. વનવિભાગની ટીમે આ દબાણો દૂર કર્યા હતા. આ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ ન થાય તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ફાળવાયો હતો. એ ધાર્મિક દબાણો લેન્ડિંગ પોઇન્ટ જેવી ઘણી સંવેદનશીલ જગ્યાએ હતા. ભૂતકાળમાં જામનગરમાં ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓએ આવા ધાર્મિક સ્થળોએ આશરો લીધો હતો. એટલા માટે વનવિભાગ સાથે મળીને આ દબાણ હટાવાયા છે. જામનગરના દરિયા કાંઠે પીરોટન ટાપુ સહિતના ટાપુઓ પરથી ગેરકાયદે દબાણો હટાવાયા હતા. જે દબાણો બાકી રહી ગયા હતા તે આજે હટાવાયા છે. આ વખતે 8 ધાર્મિક દબાણો દૂર કરાયા છે અને 15 હજારથી 25 હજાર સ્ક્વેર ફૂટ આસપાસની જગ્યા ખુલ્લી કરવામાં આવી છે. આ જગ્યા સેન્ચ્યુરી-ની જગ્યા છે, દરિયાકાંઠાની જગ્યા છે અને દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વની જગ્યા છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ આ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું. પંચકોશી પોલીસ સ્ટેશન અને બીડી મરીન પોલીસ સ્ટેશનની હદમાં આવેલા લેન્ડિંગ પોઇન્ટ નજીકના વિસ્તારોમાં આ દબાણો હતા. આ ઓપરેશન દરમિયાન કુલ 15,000 સ્ક્વેર ફૂટ જમીન અને 9,000 સ્ક્વેર ફૂટ બાંધકામ ક્ષેત્રમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા.
આ દબાણો છેલ્લા 10 વર્ષથી કરવામાં આવ્યા હતા અને મરીન સેન્ચ્યુરી તથા ખીજડીયા બર્ડ સેન્ચ્યુરીની બાયો ડાઈવર્સિટી અને મેનગ્રુવને નુકસાન પહોંચાડતા હતા. આ ઉપરાંત, આ દબાણો ભારતીય દરિયાઈ સુરક્ષાને પણ ખતરો ઊભો કરતા હતા. જામનગરના પીરોટન ટાપુ સહિતના ટાપુઓ પરથી પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ જગ્યા દરિયાકાંઠાની સંવેદનશીલ જગ્યા છે અને દેશની સુરક્ષા માટે ખૂબ મહત્વની છે.
- Advertisement -
આ ઓપરેશન દરમિયાન એસપી પ્રેમસુખ ડેલુ, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, પંચકોશી પોલીસ સ્ટેશન, બીડી મરીન પોલીસ સ્ટેશન અને SOG PI બી.એન. ચૌધરીની ટીમે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.આ સમગ્ર કામગીરી મોડી રાત્રે પૂર્ણ કરવામાં આવી હતી, જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી.
આ ઓપરેશનથી સરકાર અને વનવિભાગની પર્યાવરણ રક્ષણ અને દરિયાકાંઠાની સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. મરીન સેન્ચ્યુરી અને
બર્ડ સેન્ચ્યુરીના પર્યાવરણને સુરક્ષિત રાખવા માટે આ પ્રકારની કાર્યવાહી આવનારા સમયમાં પણ ચાલુ રહેશે.