‘તારી જિંદગી ખરાબ કરી નાખવાની છે, હજુ તને સજા કરાવવાની છે’ કહી ધમકી આપતા
દીકરીને પણ મળવા દેતા નહીં : વડવાજડી રહેતી પત્ની સહિત ચાર સામે ફરિયાદ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના કાલાવડ રોડ પર ઇસ્કોન મંદિર પાછળ હાઉસીંગ સોસાયટી એપાર્ટમેન્ટમાં રહેતાં મહેશ કરસનભાઇ વિંઝુડા ઉ.28 નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે છેલ્લા દોઢ વર્ષથી વડવાજડી ગામે રિસામણે ગયેલી પત્ની હેતલ, બે સાળા કમલેશ, વિમલ અને સસરા કરસનભાઇ બાટાના ત્રાસથી કંટાળી આ પગલું ભર્યું હોય તેવી સ્યુસાઈડ નોટ મળી આવતા મૃતકના ભાઈની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
- Advertisement -
રાજકોટમાં આપઘાત કરનાર મહેશભાઇ વિંઝુડાના નાના ભાઇ પિયુષભાઇ વિંઝુડા ઉ.24ની ફરિયાદ પરથી લોધીકાના વાજડી (વડ) ગામે રહેતી મહેશભાઇની પત્ની હેતલબેન મહેશભાઇ વિંઝુડા, સસરા કરસનભાઇ બાટા, સાળા કમલેશ કરસનભાઇ બાટા અને વિમલ કરસનભાઇ બાટા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 108, 54 મુજબ ત્રાસ ગુજારી મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું પ્રાઇવેટ નોકરી કરુ છુ અને મારા મોટા ભાઇ મહેશભાઇ સાથે રહુ છું મહેશભાઇના લગ્ન પાંચ વર્ષ પહેલા વડવાજડી ગામના કરસનભાઇ બાટાની દિકરી હેતલ સાથે થયા હતાં. તેને સંતાનમાં 3 વર્ષની દીકરી છે. હાલ મારા ભાભી હેતલબેન તેના માવતરે છે લગ્ન બાદ મારા ભાભી મારા ભાઇ સાથે નાની-નાની વાતે ઝઘડો કરતાં હતાં. છેલ્લા બે વર્ષથી અમે ઇસ્કોન મંદિર પાછળ રહીએ છીએ. દોઢેક વર્ષ પહેલા મારા ભાઇનો ફોન ખરાબ થઇ જતાં મારા ભાભી પાસે પડેલો ફોન માંગતા તેણે ફોન ન આપી ઝઘડો કર્યો હતો અને મારા બાને ઝાપટો મારી દીધી હતી. એ પછી ભાભી રિસામણે તેના માવતરે જતાં રહ્યા હતાં ત્યારબાદ ભાભીએ મારા ભાઇ મહેશભાઇ ઉપર ભરણપોષણનો કેસ કર્યો હતો. જેની રકમ મારા ભાઇ નિયમિત ભરપાઇ કરતાં હતાં. મારા ભાભી મારા ભાઇને દીકરીને પણ મળવા દેતા ન હતા તેમજ ભાઇ તેના પત્નીઅને દીકરીને લેવા વડવાજડી જતાં તેમના સાળા કમલેશ, વિમલ તથા સસરા કરસનભાઇએ તેમજ મારા ભાભી મળી ચારેયએ મારા ભાઇને માર માર્યો હતો અને ક્યારેય પણ અહિ આવવું નહિ તેમ કહી ધમકી આપી હતી. આ કારણે મારા ભાઇ મહેશભાઇ ખૂબ જ ડરી ગયા હતાં.
મારા ભાઇને તેના સાળા, સસરા નાની નાની વાતે હેરાન કરી ઝઘડો કરતાં હતાં અને શાંતિથી જીવવા દેતાં ન હતા. મારો ભાઇ મેટોડા કામે જાય તો ત્યાં પણ તેને હેરાન કરવા પહોંચી જતાં હતાં. સસરા, સાળા અતિશય ત્રાસ આપતાં હોવાની વાત મારા ભાઇએ મને કરી હતી. ત્રાસને કારણે તેણે ત્યાંની કારખાનાની નોકરી મુકી દીધી હતી અને ડ્રાઇવીંગ કરવાનું ચાલુ કર્યુ હતું વધુમાં જણાવ્યું હતું કે, મારા ભાઇએ એવી પણ વાત કરી હતી કે, તેના પત્ની હેતલબેનના લગ્ન અગાઉ થાન ખાતે થયા હતાં. તેના પ્રથમ પતિએ પણ ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો હતો. મારા ભાઇ છેલ્લા કેટલાક દિવસથી ખુબ ટેન્શનમાં રહેતાં હતાં. તેને દીકરી ખૂબ જ વ્હાલી હતી પણ મારા ભાભી તેને મળવા દેતાં ન હતા. આ કારણે પણ તે સતત દુ:ખી રહેતાં હતાં. તે મને અવાર-નવાર કહેતાં કે, મારી પત્ની, સાળા, સસરા મને ભેગા મળી જીવવા દેશે નહિ. પણ હું તેને બધુ સારુ થઇ જશે તેમ કહી સમજાવતો હતો અને તે કામે લાગી જતાં હતાં તારી જિંદગી ખરાબ કરી નાખવાની છે, હજુ તો તને સજા કરાવવાની છે, તને જીવવા જેવો રહેવા દેવો નથી તેમ કહી ધમકી આપી હતી. આ વાત મારા ભાઇએ મને કરી હતી.
કોર્ટ મુદ્દત હતી તે દિવસે જ ભર્યું અંતિમ પગલું
ગઇકાલે મારા ભાઇને કોર્ટમાં મુદ્દત હતી. સવારે હું મારા કામે જતો રહ્યો હતો. મારો ભાઇ ઘરે એકલો હતો. સાંજે 6.45 વાગ્યે હું ઘરે આવ્યો ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. મેં દરવાજો ખખડાવવા છતાં નહિ ખોલાતાં પાટા મારતાં નકુચો તૂટી ગયો હતો. અંદર જોતાં મારા ભાઇ મહેશભાઇએ પંખામાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું જણાતાં મેં રાડારાડી કરતાં પડોશીઓ ભેગા થઇ ગયા હતાં. કોઇએ જાણ કરતાં 108 આવી હતી તેના ડોક્ટરે મારા ભાઇને મૃત જાહેર કર્યા હતાં.
સ્યુસાઇડ નોટમાં સાસરિયાંઓનો ત્રાસનો ઉલ્લેખ, પત્ની ખરાબ રસ્તે ચડી ગઈ છે
આપઘાત પૂર્વે મહેશભાઇએ સ્યુસાઇડ નોટ લખી હતી, જે રૂમમાં વોશીંગ મશીન પરથી મળી હતી. જેમાં લખ્યું હતું કે, હું મારી પત્ની હેતલ, સસરા કરસનભાઇ, સાળા કમલેશ અને વિમલના ત્રાસથી આત્મહત્યા કરુ છું, આ બધા જાનથી મારી નાખવાની ધમકી આપે છે, મારી દીકરીને પણ મળવા દેતા નથી. મને મરવા મજબૂર કર્યો છે. મારી પત્ની ખરાબ રસ્તે ચડી ગઇ છે, મને ખોટી રીતે ફસાવી હેરાન કરે છે. તે સહિતની વિગતો લખી હતી. હાલ યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.