એક વર્ષથી ગુમ રાજકોટની મહિલા વિરપુર, સોમનાથ, વેરાવળમાં રખડતું-ભટકતું જીવન વિતાવતી
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.19
ગત તા.14 ડિસેમ્બરના બપોરના સમયે 181 અભયમ મહિલા હેલ્પલાઇન દ્વારા અજાણી મહિલાને આશ્રય સહાય માટે સખી વન સ્ટોપ સેન્ટરમાં મૂકી ગયા હતાં. તેમની મનોદશા પણ સત્ય માહિતી આપી શકે તેવી પરિસ્થિતિમાં ન હતી. આથી તેમને થોડા સમય માટે આરામ માટે પૂર્ણ સમય અને આશ્રય આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમનુ મનોવૈજ્ઞાનિક કાઉન્સિલિંગ કરી તેમની પાસેથી તેમના પરિવારની તેમજ તેમના રહેઠાણની માહિતી મેળવતા આશ્રય હેઠળની મહિલા રાજકોટ જિલ્લાના વતની હોવાનું જણાવ્યું હતું. તેમના પરીવારમાં ભાઈનું નામ આપ્યું પરંતુ એડ્રેસ આપ્યું નહીં. આથી ત્યાંના તેમના સમાજનો સંપર્ક કરવામાં આવ્યો હતો. સંપર્ક થયા બાદ આ મહિલાની તમામ વિગતો આપવામાં આવી હતી અને તેમના પરિવારની શોધખોળ કરવા માટે મદદ મેળવવામાં આવી હતી. સમાજના આગેવાનો દ્વારા સમાજના સોશિયલ મીડિયા દ્વારા માહિતી પહોચાડવામાં આવી હતી સાથે જ સખી વન સ્ટોપ સેન્ટરનો સંપર્ક કરવા માટે જણાવ્યું હતું. આશ્રિત મહિલાના પરિવારનો ટેલીફોનિક સંપર્ક થતા મહિલાના પરિવારજનોને સાથે આશ્રિત મહિલા વિશે બધી ચર્ચા કરી પરિવારનાં સભ્યો સેન્ટર પર આવીને લઇ જશે તેવુ જણાવ્યું હતું.
- Advertisement -
મહિલાના પરિવારના સભ્યો ભાઇના કહેવા મુજબ મહિલા કોઈને પણ જાણ કર્યા વગર એક વર્ષ થી ઘરેથી ગુમ થયેલ હોય જેની શોધખોળ તેઓ તેમના પરિવાર સગા સંબંધીમાં તેમજ તેમના વિસ્તારના દરેક જગ્યાએ કરેલ પરંતુ મળી આવ્યાં ન હતાં. તેઓ દ્વારા પોલીસ સ્ટેશનમા ગુમની ફરિયાદ એક વર્ષ પહેલા રાજકોટ ગ્રામમાં કરવામાં આવી હતી. ફરી વાર તેઓ ઘરેથી નીકળી ગયા હતાં. આશ્રિત મહિલાના મતે તે વીરપુર જલારામ મંદિર પાસે રહેતા અને છેલ્લા ત્રણ મહિનાથી વેરાવળ સોમનાથમાં રખડતું ભટકતું જીવન જીવતાં હતાં. પરિવારના સભ્યો જ્યારે સખી વન સ્ટોપ સેન્ટરમાં આવ્યાં અને આશ્રિત મહિલાને જોઈને ખૂબ ખુશ થયા છેલ્લા એક વર્ષથી વિખૂટા પડેલ પરિવારના સભ્યનુ સ્નેહ મિલન થતા લાગણીસભર દ્રશ્ય સર્જાયા હતા અને પરિવાર સાથે મહિલાનું પુન:સ્થાપન કરવામાં આવ્યું હતું.



