કાર્તિક મહેતા
માણસ નાચે કેમ છે તે પ્રશ્ર્ન આમેય વણઉકલ્યો છે, કોઈને પાકી ખબર નથી કે માણસ આખરે નાચે છે શું કામ? એક સામાન્ય માણસ એમ જવાબ આપી શકે કે નાચવાથી મજા આવે છે એટલે માણસ નાચે છે, વાત વૈજ્ઞાનિક રીતે પણ સાચી છે કે નાચતી વખતે શરીરમાં આનંદ દાયક હોર્મોન્સ પેદા થાય છે એટલે મજા આવે છે
- Advertisement -
યુરોપમાં એક સમયે માનવામાં આવતું કે, ટેરેન્ટુલા નામનો આઠ પગો કરોળિયો જેને કરડે એને નાચ-વા ઉપડે. જો એને યોગ્ય મ્યુઝિક તાલ આપવામાં આવે તો એ માણસ નાચતો-નાચતો મૃત્યુ પામે. આવી માન્યતા સાવ પોકળ નહોતી. કેમકે આવા અસંખ્ય બનાવ યુરોપમાં નોંધાયા હતા જ્યાં લોકો ખાસ કરીને મહિલાઓ સતત ધૂણે, નાચવા લાગે અને નાચતા-નાચતા મૃત્યુ પામે અથવા બેભાન થઈ જાય.
આ રોગની એક જ દવા માનવામાં આવતી, એ હતી મ્યૂઝિક. યસ… જો આ નાચવા ધુણવા લાગેલા વ્યક્તિને જો પાઇપ (મોરલી), ડ્રમ (નગારું) અને ખંજરી વડે ઉત્પન્ન થતું ધમાકેદાર ગીત સંગીત સંભળાવવામાં આવે તો તે નાચવા લાગતો અને ધીમે-ધીમે ઠીક થઈ જતો/જતી. આવા ધમાકેદાર સંગીતને ટેરેન્ટેલા કહેવાતું. જેને આ કરોળિયો કરડ્યો હોય એને આ નાચવાનો હુમલો દરેક વર્ષે આવતો દરેક વર્ષે એને આવી “મ્યુઝિકલ ડાન્સિંગ” ટ્રીટમેન્ટ આપવી પડતી.
આવી ડાન્સિંગ ઘટનાઓ યુરોપમાં બહુ જાણીતી હતી. આથી હોમિયોપથીમાં અતિ ચંચળ પ્રકૃતિના માણસને આ કરોળિયાના ઝેરમાંથી ખાસ પદ્ધતિ વડે બનાવવામાં આવતી દવા દેવામાં આવતી. હોમિયોપથી “ઝેરનું મારણ ઝેર” માને છે આથી જે ઝેર માણસને બેકાબૂ રીતે નાચવા પ્રેરિત કરે તે ઝેરને ખાસ પદ્ધતિથી દવા સ્વરૂપે અપાય તો તે માણસને શાંત પાડી શકે એવું હોમિયોપથી માને છે.
- Advertisement -
ભારત સહિત આખા જગતમાં એવા અનેક બનાવ નોંધાયેલા છે જ્યાં લોકો અચાનક ઘરની બહાર નીકળીને નાચવા લાગે. સાન-ભાન ભૂલીને નાચવા લાગે. ના એમને ભૂખ લાગે ના તરસ લાગે, ના એમને કોઈ થાક લાગે ના પીડા થાય. બસ તેઓ નાચ્યા કરે, અવિરત પણે નાચ્યા કરે. આવી ઘટનાઓ ડાન્સિંગ પ્લેગ અથવા ડાન્સિંગ ફીવર કહેવાય છે. નોંધવા લાયક છે કે, આ રીતે ડાન્સિંગ ફીવરનો ભોગ બનવાવાળા લોકોમાં મહિલાઓનું પ્રમાણ વધારે રહેતું.
ડાન્સિંગ પ્લેગ ઉપર અનેક રિસર્ચ પેપર લખાયા છે, પુષ્કળ સંશોધન થયા છે પણ જેમ ગણપતિ દાદાની મૂર્તિ કેમ દૂધ પીવા લાગી એનું કોઈ સ્પષ્ટ વૈજ્ઞાનિક કારણ નથી મળતું એમ ડાન્સિંગ પ્લેગ માટે પણ કોઈ ઠોસ કારણ નથી મળતું. માણસ નાચે કેમ છે તે પ્રશ્ર્ન આમેય વણઉકલ્યો છે. કોઈને પાકી ખબર નથી કે માણસ આખરે નાચે છે શું કામ? એક સામાન્ય માણસ એમ જવાબ આપી શકે કે નાચવાથી મજા આવે છે એટલે માણસ નાચે છે. વાત વૈજ્ઞાનિક રીતે પણ સાચી છે કે નાચતી વખતે શરીરમાં આનંદ દાયક હોર્મોન્સ પેદા થાય છે એટલે મજા આવે છે. પણ નાચવાનું કારણ આટલું ક્ષુલ્લક? કેમ પ્રાણીઓ નાચતા નથી?
યોગ શાસ્ત્રના જાણકારો અને અનુભવી સાધકો કહે છે કે કુંડલિની જાગૃત થાય ત્યારે માણસ ધુણવા લાગે છે, એકદમ ધ્રુજારી અનુભવે છે, કોઈ વાર તો માણસ ઉછાળા મારે છે!નવરાત્રી સમયે અનેક લોકોને માતાજી આવતા એ સમયે આવા પ્રકારના લક્ષણો જોવા મળતા. માણસ જ્યારે અત્યાધિક આવેગ અનુભવે, ખૂબ ડરી જાય, ખૂબ ક્રોધિત થાય કે ખૂબ કામ આવેગ અનુભવે ત્યારે પણ ધ્રુજવા લાગે છે.
આમ ધૃજવું, ધુણવું, નાચવું માણસનો દુ:ખ સામેનો આખરી પ્રતિકાર છે. નાચતી વખતે માણસ બધા દુ:ખ હાડમારી અને સમસ્યાઓ વિસરી જાય છે. આનંદના હોર્મોન્સ એના શરીરમાં વહેવા લાગતા હોવાથી તે આનંદનો અનુભવ કરીને સ્ટ્રેસ હળવો કરે છે. પણ નાચવા પાછળનું સાચું કારણ વિજ્ઞાન જાણી શક્યું નથી. હજી વિજ્ઞાન ઊંઘવા પાછળનું કારણ પણ નથી જાણતું તો નાચવા પાછળનું કારણ શોધતા એને બહુ સમય લાગશે. માણસ શું કામ નાચે છે તે પ્રશ્ર્નનો જવાબ ગૂઢ છે. રહસ્યમય છે. વિજ્ઞાનની પેલે પારનો છે. શાસ્ત્રીય નૃત્યની મુદ્રાઓ શરીરની ચેતાઓ અને લસિકા ગ્રંથિઓને એક્ટિવ રાખે છે. મુદ્રા તંત્ર શાસ્ત્રનો બહુ મહત્વનો ભાગ છે.
સમૂહમાં નાચવાનું પણ માણસને આદિકાળથી ગમે છે, છેક યુરોપથી લઈને જાપાન સુધી કુંડાળા વળીને સમૂહ નૃત્યો થાય છે, ઈરાન, અફઘાનિસ્તાન બન્ને દેશોમાં અટ્ટન નામનું એક ગરબા જેવું નૃત્ય થાય છે
સામાન્ય જીવનમાં આપણે કદી અમુક મુદ્રાઓ નથી કરતા તે મુદ્રાઓ આપણે નૃત્ય દરમિયાન કરીએ છીએ જેને કારણે સ્નાયુઓ, ચેતાઓ અને લસિકા ગ્રંથિઓ સજીવ બને છે. સ્નાયુઓ, લસિકા અને ચેતાઓ ત્રણેયનું પોતાનું આગવું અસ્તિત્વ છે, આગવું શાસ્ત્ર છે તે તો વિજ્ઞાન પણ સ્વીકારે છે. સમૂહમાં નાચવાનું પણ માણસને આદિકાળથી ગમે છે. છેક યુરોપથી લઈને જાપાન સુધી કુંડાળા વળીને સમૂહ નૃત્યો થાય છે. ઈરાન, અફઘાનિસ્તાન બેય દેશોમાં અટ્ટન નામનું એક ગરબા જેવું નૃત્ય થાય છે. જે યમરાજ નામનાં દેવને સમર્પિત હોય છે. આ એમના યમદેવ અને આપણા યમદેવ લગભગ સમાન છે. યમ દેવ એમને એટલા પૂજ્ય છે કે જમશેદ એવું નામ પારસીઓમાં બહુ સામાન્ય છે. યમ એટલે જમણું એવો અર્થ યાદ રાખજો.
આપણાં ગરબા માતાજીને સમર્પિત હોય છે. આ માતાજી કોણ છે? માતાજી એટલે શરીરના અને આ સૃષ્ટિના સર્જન ના મૂળમાં રહેલી પ્રાણ શક્તિ એવી સૂર્ય શક્તિ. માતા, સુર્ય અને પ્રાણ એક જ શક્તિના નામ છે. શરીરનો જમણો ભાગ સૂર્યનો કહેવાય છે. આ કારણે ગરબા નૃત્ય કુંડાળું વળીને કરવું ફરજિયાત છે. ઈરાન અને અફઘાનિસ્તાનનું અટ્ટન નૃત્ય પણ કુંડાળું વળીને કરવામાં આવે છે. જેનો અર્થ થાય છે કે સૂર્ય જેમ સૃષ્ટિમાં કેન્દ્ર સ્થાને છે અને તમામ ગ્રહ એને ફરતે પ્રદક્ષિણા કરે છે એમ આત્મા સ્વરૂપ સૂર્યની ફરતે તમામ ભાવો પ્રદક્ષિણા કરે છે. સૂર્ય જ તમામનો કારક છે. આ સિસ્ટમ હેલીયો સેન્ટ્રીક (સુર્ય કેન્દ્રમાં છે એવી સોલાર સિસ્ટમ) કહેવાય છે. સૂર્યને એટલે જ સોલ કહેવાય છે કેમ કે તે સર્વ શક્તિમાન આત્મા છે. (સોલ એટલે આત્મા, સોલાર પેનલ એટલે સોલ/સૂર્યથી ચાલતી પેનલ).
વધુ રસપ્રદ વાત એ છે કે નૃત્ય માટે આ અટ્ટમ શબ્દ અફઘાનિસ્તાન ઈરાનમાં વપરાય છે તે શબ્દ મલયાલમ છે. મોહિની અટ્ટમ એટલે મોહિની (વિષ્ણુ)નું નૃત્ય. આવા અનેક મલયાલમ અમે તમિલ શબ્દો છેક અફઘાનિસ્તાનની ભાષાઓમાં છે તે ભાષાશાસ્ત્રીઓ માટે કોયડો છે. આ શબ્દો પુરાવો છે કે કોઈ આર્ય દ્રવિડ જેવા ભાગલા આપણાં દેશમાં છે નહીં.
બલુચિસ્તાનમાં આપણા આહીરો અને મેર લોકો જેવા વસ્ત્રો પહેરીને ચાપ નામનું નૃત્ય પ્રાચીન કાળથી કરવામાં આવે છે, આહીરો-મેર સૌરાષ્ટ્ર આવ્યા ત્યારે આ નૃત્ય અહીંયા લઈ આવ્યા હશે જેને આપણે રાસ કહીએ છીએ. આજે પણ બલુચિસ્તાનમાં લોકો હીંચ તાલ ઉપર કુંડાળું વળીને નાચે છે જે સાંભળી દેખીને અદ્દલ આપણા રાસ જેવું લાગે છે. કેરલ અને તમિલનાડુમાં હાથમાં દાંડિયા લઈને મુસ્લિમો અને ખ્રિસ્તીઓ પણ નૃત્ય કરતા આવ્યા છે. તો કર્ણાટકમાં કૃષ્ણ અને રાધાનાં ગીતો ઉપર દાંડિયા નૃત્ય થાય છે.
નાચવાનું કારણ વૈજ્ઞાનિક નથી, વિજ્ઞાનની સમજણની પેલે પારનું છે. પણ એટલું નક્કી છે કે નાચવું જરૂરી છે ભલે કરોળિયો કરડે કે ના કરડે, નાચવા વાળા લોકો ખુશમિજાજ રહે છે જેમ અફઘાની લોકો, પંજાબી લોકો, ઇટાલિયન લોકો, કાઠિયાવાડીઓ ખુશખુશાલ રહે છે તેમ. કુંડાળું વાળીને નાચવાથી જગત આખાને પોષણ આપનાર સૂર્યદેવ રાજી થાય છે. સુર્ય રાજી એનો આત્મા રાજી અને આત્મા રાજી એની માથે પરમાત્મા રાજી. જય સૂર્યદેવ. જય માતાજી.