રાજ્યસભામાં ખડગે બોલ્યા – ED-CBI ક્યાં છે
રિજિજુએ કહ્યું – વિપક્ષના મગરના આંસુ
- Advertisement -
સંસદના ચોમાસુ સત્રના ૧૨મા દિવસે રામ મંદિરના દાન ચોરીના મામલે બંને ગૃહોમાં ભારે હોબાળો થયો. લોકસભાની કાર્યવાહી માત્ર ૩ મિનિટ ચાલ્યા બાદ બપોરે ૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી.
રાજ્યસભાની કાર્યવાહી લગભગ અડધા કલાકના હોબાળા બાદ ૧૨ વાગ્યા સુધી સ્થગિત કરી દેવામાં આવી. ત્યારબાદ ફરીથી કાર્યવાહી શરૂ થઈ. પરંતુ માત્ર ૨૦ મિનિટ બાદ, રાજ્યસભા પણ ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી. રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુ વચ્ચે દલીલ થઈ. ખડગેએ કહ્યું- રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની રચના કેન્દ્ર સરકારે કરી હતી. ટ્રસ્ટને ૭૦ એકરથી વધુ જમીન સોંપવામાં આવી. પીએમ પોતે રામ મંદિર સાથે જોડાયેલા દરેક કાર્યક્રમમાં સામેલ થયા. હવે ED, CBI અને અન્ય કેન્દ્રીય તપાસ એજન્સીઓ ક્યાં છે? સરકારે ગૃહમાં તેનો જવાબ આપવો જોઈએ.
આના પર સંસદીય કાર્ય મંત્રી કિરણ રિજિજુએ કહ્યું- કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી વર્ષો સુધી ભગવાન રામ અને રામ મંદિરનો વિરોધ કરતી રહી છે. રામ મંદિર બનવા પર કાળી પટ્ટી બાંધીને વિરોધ કર્યો હતો. આજે એ જ લોકો મગરના આંસુ પાડીને દેશને ગેરમાર્ગે દોરી શકશે નહીં. પહેલા ભગવાન રામનું અપમાન કરવા બદલ દેશની માફી માંગો, ત્યારબાદ સરકાર પાસેથી જવાબ માંગો. રાજ્યસભાની કાર્યવાહી બપોરે ૧૨ વાગ્યે ફરી શરૂ થઈ. આ દરમિયાન કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળોએ રામ મંદિરના દાન ચોરી અંગે સૂત્રોચ્ચાર કર્યા. લગભગ ૨૦ મિનિટ પછી ગૃહને ૨ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવ્યું.
- Advertisement -
સવારે પીએમ મોદી સંસદ પરિસરમાં આવેલા જી.એમ.સી. બાલયોગી ઓડિટોરિયમમાં NDA સંસદીય દળની સાપ્તાહિક બેઠક ‘મંગલ મિલન’માં પહોંચ્યા હતા. બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહ. ભાજપ અધ્યક્ષ નિતિન નવીન સહિત NDAના વરિષ્ઠ નેતાઓ અને સાંસદોએ ભાગ લીધો.
સંસદના ચોમાસુ સત્રનો આજે ૧૨મો દિવસ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે લોકસભામાં ‘ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ’ રજૂ કરશે. આ બિલમાં ટેક્સ સંબંધિત વિવિધ કાયદાઓમાં સુધારાનો પ્રસ્તાવ છે.




