રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર
નેપાળ, મિજોરમ અને આસામની સાત રૂપલલનાઓને માલવીયાનગર પોલીસે મુક્ત કરાવી
- Advertisement -
રાજકોટમાં સ્પાના ઓઠાં નીચે ધમધમતા કુટણખાનાઓ ઉપર થોડા સમય પહેલા પોલીસે ઘોંસ બોલાવી અનેક કેસો કર્યા હતા. આમ છતાં તેની કોઈ અસર થઈ ન હોય તેમ હજુ પણ સ્પાના ઓઠા નીચે કુટણખાના ધમધમી રહ્યા છે દરમિયાન શહેરના 150 ફૂટ રીંગ રોડ પર બાલાજી હોલ સામે વ્રજ કોમ્પલેક્ષના ત્રીજા માળે ધ મોક્ષ સ્પામાં ધમધમતા કુટણખાના પર માલવીયાનગર પોલીસે દરોડો પાડી નેપાળ, મિજોરમ અને આસામની સાત રૂપલલનાઓને મુક્ત કરાવી છે જયારે પોલીસ પહોંચે તે પૂર્વે જ નાસી છૂટેલા સંચાલક અને મેનેજરની શોડખોલ હાથ ધરી છે આ ધ મોક્ષ સ્પામાં ગ્રાહક પાસેથી 5 હજાર જેવી તગડી રકમ વસૂલાતી હોવાનું જાણવા મળ્યું છે. રાજકોટમાં સ્પા પાર્લરની ઓથમાં ચાલતા કુટણખાના ઉપર કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે માલવીયાનગર પોલીસ મથકના પીઆઈ જે એમ કૈલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી. મારૂની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી ચોક્કસ બાતમી આધારે ડમી ગ્રાહક મોકલી ખરાઈ કર્યા બાદ દરોડો પાડયો હતો ડમી ગ્રાહક પાસેથી એન્ટ્રી ફીના 1 હજાર વસૂલવામાં આવ્યા હતા. ત્યાર બાદ બીજી સર્વિસ માટે 4 હજાર લેવાયા હતા. જેમાંથી 1 હજાર રૂપલલનાને આપી બાકીના પૈસાસ સંચાલક પોતાની પાસે રાખી લેતો હતો પોલીસની પ્રાથમિક તપાસમાં આ સ્પાના સંચાલક તરીકે છોટુનગરમાં રહેતા જીગર દીલીપ સચદેવ અને મેનેજર તરીકે અરૂણ લોકેન્દ્ર બસ્કો હોવાનું સામે આવ્યું છે જે હાજર નહીં મળી આવતા બંને આરોપીઓ સામે ઇમમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધાવાયો છે માલવીયાનગર પોલીસે દરોડો પાડી નેપાળ, મિજોરમ અને આસામની સાત રૂપલલનાઓને મુક્ત કરાવી છે
આ સ્થળે સ્પા અને કુટણખાનું ખરેખર કેટલા સમયથી ચાલતું હતું તે અંગે હવે તપાસ કરાશે.
રાજકોટમાં પ્રેમલગ્ન કરનાર ત્યકતાએ પૂર્વ પતિએ ‘હવે વસમું પડશે’ કહી ગાળો ભાંડી
રાજકોટના ગાંધીગ્રામ વિસ્તારમાં પરિણીતાએ બે વાર તલાક લીધા બાદ ત્રીજી વખત અન્યત્ર લગ્ન કરી લેતાં પૂર્વ પતિએ મહિલાના પરિવારજનો પાસે પહોંચી હોબાળો મચાવી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ બનાવમાં મોચીનગરમાં રહેતા ફરીદાબેન હનિફભાઈ ચૌહાણ ઉ.49એ પરસાણાનગરમાં રહેતા અલ્તાફ બસીર ખીયાણી સામે ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ ફરીદાબેનની મોટી દીકરી અફસાના ઉ.28ના પ્રથમ નિકાહ વર્ષ 2015માં થયા હતા જેનાથી તેણીને સંતાનમાં એક 10 વર્ષનો પુત્ર અને 4 વર્ષની પુત્રી છે. દંપતી વચ્ચેની અનબનને કારણે વર્ષ 2023માં છૂટાછેડા થઈ ગયા બાદ તેણીએ વર્ષ 2025માં અલ્તાફ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે બાદ 7 મહિના બાદ તેની સાથે પણ છૂટાછેડા લીધા બાદ તેણીએ સમાજના રીતરિવાજ મુજબ જુલાઈ 2026માં ત્રીજા લગ્ન કરી લીધા હતા જે વાતનો ખાર રાખી રવિવારે રાત્રે પૂર્વ જમાઈ અલ્તાફ તેમના ઘરે આવ્યો હતો અને ફરીદાબેનના પતિને “મારે તમારી સાથે વાત કરવી છે’ તેમ કહ્યું હતું. પરિવારજનોએ વાત કરવાની ના પાડી ઘરનો દરવાજો બંધ કરતાં આરોપી ઉશ્કેરાઈ ગયો હતો ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ “તમારી દીકરી અફસાનાએ મારી સાથે છૂટાછેડા લઈને બીજા લગ્ન કેમ કર્યા?’ કહી ફરીદાબેન અને તેમના પરિવારજનો સાથે ઝઘડો કર્યો હતો. ઉપરાંત અપશબ્દો બોલી ધમકી આપતાં પરિવાર ભયભીત થઈ ગયો હતો. બનાવ બાદ બીજા દિવસે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવામાં આવી હતી આરોપી અગાઉ પણ તેની પૂર્વ પત્નીને ધમકીઓ આપતો હતો. જો કે, મહિલાએ ત્રીજીવાર નિકાહ કર્યા હોવાની જાણ થતાં તે વિફર્યો હતો અને પૂર્વ પત્નીના પરિવારજનો પાસે પણ પહોંચી ગયો હતો અને ત્યાં પણ બેફામ ગાળા-ગાળી કરી જોઈ લેવાની ધમકી આપી હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
- Advertisement -
જર્મની રહેતી વિધવા ફેસબુક ફ્રેન્ડે લગ્નની લાલચ આપી જસદણના યુવક પાસેથી 6.31 લાખ પડાવ્યા
જર્મન રહેતી વિધવા ફેસબુક ફ્રેન્ડના પ્રેમમાં પડેલા જસદણના યુવકને 6.31 લાખ ગુમાવવા પડ્યા છે જસદણનો યુવાન જર્મનની મહિલાએ હું તમારો સાથ ક્યારેય નહિ છોડું કહી લગ્ન કરવાનું જણાવ્યું હતું આ મહિલાએ મોક્લાવેલ ગિફ્ટ દિલ્લી એરપોર્ટ પરથી છોડાવવા અલગ અલગ ચાર્જ પેટે યુવાન પાસેથી નાણાં ખંખેરી લીધા હતા બાદમાં યુવાને તપાસ કરતા તેની સાથે ફ્રોડ થયાનો ભાંડો ફૂટતા રેન્જ સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જસદણના મોચીગોર પ્લોટમાં રહેતા દીલીપભાઇ ગોબરભાઈ ડોબરીયાએ મેરી એમ સેમ્યુલ નામની ફેસબુક આઇડીનો ઉપયોગ કરતી મહિલા અને એક અજાણ્યા શખ્સ સામે રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના ચાર વર્ષ પહેલા લગ્ન થયાં હતા અને બે વર્ષ પૂર્વે છુટાછેડા થઈ ગયેલ છે. તે ફેસબૂક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. ગઈ તા.22/05/2026ના રાત્રે તેમને મેરી એમ સેમ્યુલ નામનાં ફેસબૂક અકાઉન્ટમાથી મેસેજ આવેલ હતો. જેમાં ફેસબુક આઇડી ધારક પોતે લોસ એંજલ્સ કેલિફોર્નીયા જર્મની દેશ ખાતે રહે છે તેમ જણાવતાં તેમને વ્હોટ્સએપ નંબર આપેલ હતો બાદમાં ગઈ તા.23/05/2026ના રાત્રે વ્હોટસએપ નંબર +44 7421116343 માથી મેસેજ કર્યો હતો. પોતે રીયલ એસ્ટેટ કંપનીમાં સીઈઓ તરીકે કામ કરે છે તેણીના પતિનુ કોરોના કાળમાં અવસાન થયેલ છે અને તેને સંતાનમા પ્રિન્સેસ નામે એક દિકરી હોવાનું જણાવેલ હતું. જેથી યુવકે પણ અપરિણીત હોવાનું જણાવતા તેણીએ લગ્ન કરવા અંગે પૂછી ક્યારેય સાથ નહી છોડે તેવુ જણાવેલ હતું બાદ તા.25/05/2026ના રોજ તેની દીકરીનો જન્મદીવસ હોય અને સરપ્રાઈઝ ગીફ્ટ દેવા માંગતા હોય જેથી તેણીએ યુવક પાસેથી પાક્કુ એડ્રેસ માંગતા યુવકે આધારકાર્ડનો ફોટો વોટસએપથી મોકલ્યો હતો તેણીને યુવકે ના કહેલ હોય અને આપણી મિત્રતા જ કાફી છે તેમ જણાવવા છતા પણ તેણી ગિફ્ટ આપવા માંગતી હતી. તા. 27/05/2026ના રોજ સવારે દિલ્હી એરપોર્ટથી એક અજાણી મહિલાનો ફોન આવેલ કે, જર્મનીથી તમારા નામનું એક પાર્સલ આવેલ છે, જે લેવા માટે તમારે 18500 ભરવા પડશે. જે પૈસા મે ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા થોડીવાર બાદ ફરીવાર તે નંબરમાંથી ફરી ફોન આવેલ કે, તમારા પાર્સલમાં 30,000 યુરો ડોલર આવેલ છે. જેને ઈંડીયન કરંસીમા ફેરવવા માટે 52,000 ચાર્જ તથા સોનાનો ચેન, લેપટોપ, ઘડીયાળ, આઈફોન મોબાઈલ જે છોડાવવા પેટે તમારે પૈસા ભરવા પડશે. જેથી યુવકે અલગ અલગ ચાર્જ પેટે કુલ 6,31,900 ભર્યા હતા. બાદમાં તેમને કોઈ પાર્સલ મળ્યું ન હતું ત્યાર બાદ સામાવાળાએ વધારે પૈસાની માંગણી કરતા યુવકને શંકા જતા તે પાર્સલની ઓફીસે જઈ પુછપરછ કરતા પાર્સલ ઓફીસ વાળાએ જણાવેલ કે, આ નામની કોઈ કુરીયર સર્વીસ છે નહી, તમારી સાથે ફ્રોડ થયેલ છે. જે મામલે યુવાને સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર પર અરજી કર્યા બાદ રાજકોટ રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.
કારખાનામાં બાળક પાસે મજૂરી કરાવતા બે ભાગીદારો સામે ગુનો
રાજકોટમાં બાળમજૂરી નાબુદી ઝુંબેશ અંતર્ગત શ્રમ અધિકારી અંકિત ચંદારાણા તથા એન્ટી ટ્રાફિક હ્યુમન યુનિટના હેડ કોન્સટેબલ જીગ્નેશ મારૂ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે એમ.આર.ઈન્ડસ્ટ્રીઝ શિવમ ઈન્ડસ્ટ્રીયલ એરિયા સર્વે નં ૨૯ પ્લોટ નં ૧૮ ફાલ્કન પંપની પાછળ ફાઈબર પાસે આવેલ કારખાનામાં ડાર્વિન સંતોકી, રાજન સંતોકીએ બાળકને મજૂરીએ રાખ્યો હોવાની માહિતી આધારે દરોડો પાડી બાળકને મુકત કરાવી બાળ સંરક્ષણ ગૃહમાં મોકલી બન્ને ભાગીદારો સામે તાલુકા પોલીસે શ્રમ અધિકારીની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં બાળકને ૧૫ દિવસથી કામે રાખ્યો હોવાનું જાણવા મળ્યું છે.
લોઠડામાં પાણી ભરેલા ખાડામાં છબછબિયાં કરતા બાળક અને બાળકીનું ડૂબી જવાથી મોત
રાજકોટના લોઠડા ગામમાં વરસાદી પાણી ભરેલા ખાડાંમાં ડૂબી જતાં બે બાળકોના મોત નીપજતાં તેમના પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે આજી ડેમ પાલીસે અકસ્માતે મોતની નોંધ કરી તપાસ હાથ ધરી છે. ચોમાસામાં છાશવારે નદી, નાળા, તળાવ વગેરેમાં ડૂબી જવાથી આ પ્રકારની દુર્ઘટનાઓ બને છે. લોઠડા ગામે રહેતા મૂળ એમપીના ચંદ્રરોશન ગૌતમનો પુત્ર હિતેષ ઉ.5 અને ઓમકાર નિશાદની પુત્રી મનિષા ઉ.5 ગઈકાલે ઘર પાસે રમતા હતા ત્યારે નજીકમાં વરસાદી પાણી ભરેલા ખાડાં પાસે બીજા ત્રણ બાળકો રમતા હોય તે બાળકોને જોઈને બંને ત્યાં ગયા હતા. નજીકમાં જ પાણી ભરેલો ઊંડો ખાડો હતો. જેમાં બંને છબછબીયા કરવા જતાં ડૂબી ગયા હતા. પાડોશમાં રહેતી એક બાળકીએ આ દ્રશ્ય જોતાં બંનેના પરિવારજનોને જઈ જાણ કરતાં તમામ સ્થળ પર દોડી આવ્યા હતા તેમણે બંનેને ખાડાંમાંથી બહાર કાઢી તત્કાળ 108માં સિવીલ હોસ્પિટલે ખસેડયા હતા. જયાં ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યા હતા બનાવની જાણ થતાં આજી ડેમ પોલીસનો સ્ટાફ સ્થળ પર અને હોસ્પિટલ દોડી આવ્યો હતો ફૂલ જેવા બે બાળકોના મૃત્યુને પગલે બંનેના પરિવારમાં શોક વ્યાપી ગયો છે પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી હતી. બંને બાળકો બીજા જે બાળકોને જોઈ પાણી ભરેલા ખાડાં નજીક ગયા હતા તે બાળકો ત્યાંથી નીકળી ગયા બાદ આ દૂર્ઘટના બની હતી.
રાજકોટમાં જુગાર રમતા ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહીત 30 ઝડપાયા
રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે ગાંધીગ્રામ પોલીસે ગુલાબનગર, અક્ષરનગર અને જામનગર રોડ ઉપર દરોડો પાડી જુગાર રમતા ભાજપના મહિલા કોર્પોરેટરના પતિ સહીત 23ની ધરપકડ કરી 70 હજારની રોકડ કબ્જે કરી છે તેમજ તાલુકા પોલીસે જુગાર રમતા સાત શખ્સોને ઝડપી લઇ 15 હજારની રોકડ કબ્જે કરી છે. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ એચ. પી. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી.ઝાલા અને પ્રશાંતભાઈ ગજેરા સહિતની ટીમે બાતમી આધારે અક્ષરનગરમાં દરોડો પાડી જુગાર રમતા નિકુંજભાઈ સંતોષભાઈ સોલંકી, કમલેશગીરી અરવિંદગિરી ગોસાઈ, વિમલભાઈ મહેન્દ્રભાઈ જોષી, હરેન્દ્રસિંહ કરણસિંહ જાડેજા અને અમિતભાઇ પ્રેમરાજભાઈ ચૌધરીની ધરપકડ કરી રોકડા 45 હજાર કબ્જે કર્યા છે જુગાર રમતા પકડાયેલા અમિત ચૌધરી ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટર સેજલબેન ચૌધરીના પતિ હોવાનું જાણવા મળ્યું છે આ ઉપરાંત પીએસઆઈ એસ. વી. ગોહિલની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના શબ્બીરખાન મલેક સહિતને મળેલી બાતમી આધારે ગુલાબનગરમાં રહેણાંક મકાનમાં દરોડો પાડી જુગાર રમતા જસુબેન ધીરુભાઈ બહોકીયા, મુકેશ ભુપતભાઇ મજેઠીયા, દિલીપ ગોરધનભાઈ છનિયારા મેહુલ કિશોરભાઈ હિરાણી, કુલદીપ દામજીભાઇ મશરૂ, પ્રદ્યુમનસિંહ નરવરસિંહ ઝાલા, સપનાબેન પરબતભાઇ ભરવાડ, તમન્ના સમીરભાઈ ચૌહાણ અને પાયલબેન ધર્મેન્દ્રભાઈ જાંબુડિયાની ધરપકડ કરી રોકડા 15,300 કબ્જે કર્યા છે જયારે રવિભાઈ ગઢવી સહિતની ટીમે બાતમી આધારે જામનગર રોડ ઉપર દરોડો પાડી જુગાર રમતા જ્યોતિબેન પ્રવીણભાઈ રૂગનાથ, નીલમબેન શૈલેષભાઇ અગ્રાવત, મુસ્કાનબેન ઇમરાનભાઈ ચાનીયા, રમાબેન કાથડભાઈ મકવાણા, પ્રશાંત રાજકુમારભાઈ જિનવાણી, વિશાલ રમેશભાઈ પંડ્યા, શૈલેષ ધીરુભાઈ બારીયા, નિલેશ ઘોઘાભાઈ મકવાણા અને શૈલેષ ભુપતભાઇ અગ્રાવતની ધરપકડ કરી રોકડા 10,530 કબ્જે કર્યા છે આ ઉપરાંત તાલુકા પોલીસ મથકના પીઆઇ મેઘાણીની રાહબરીઆં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એ બી ચૌધરી, રાજેશભાઈ ગઢવી સહિતની ટીમે બાતમી આધારે કાલાવડ રોડ ઉપર આવેલ જાનકી કોમ્પ્લેક્ષમાં દરોડો પાડી ફ્લેટમાં જુગાર રમતા હર્ષિલ કિશોરભાઈ શાહ, પાર્થ અશોકભાઈ હિંડોચા, સંકુલ નવીનભાઈ સિમેજીયા, પ્રતીક રમેશભાઈ ચાવડા, મિહિર કમલેશભાઈ સોલંકી, મિત ભરતભાઈ દક્ષિણી અને રાજ ટલેહરામભાઈ ગિડલાણીની ધરપકડ કરી રોકડા 15,050 કબ્જે કર્યા છે.
અવધ હાઉસિંગ ક્વાર્ટરમાં પ્રમુખ, દંપતિ સહીત ચાર શખ્સોનો પરિવાર પર હુમલો
રાજકોટના કાલાવડ રોડ ઉપર અવધના ઢાળ પાસે આરએમસી અવધ હાઉસિંગ ક્વાર્ટરમાં રહેતા જગદીશભાઈ જમનાદાસ થડેશ્વર ઉ.54એ આ જ હાઉસિંગમાં રહેતા ભીખાભાઇ સોલંકી, રુક્ષ્મણીબેન, રુક્ષ્મણીબેનના પતિ અને રૂક્ષ્મણીબેનના દીકરા સામે યુનિવર્સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે ઘરે હતા ત્યારે મારી દિકરી સ્નેહાના ટુંક સમયમા મેરેજ હોવાથી મારો દિકરો સુરજ મને કહેવા લાગેલ કે સ્નેહાના મેરેજ હોવાથી આપણે આ ફ્લેટમા રહેવુ નથી, મને ફલેટમા રહેવુ ગમતુ નથી જેથી આપણે બીજે રહેવા જતા રહીએ જેથી મે કહેલ કે આપણે ઘરનો ફલેટ હોય, જેથી બીજે ક્યાંય રહેવા જવુ નથી. તેમ વાતચીત ચાલતી હતી અને ફલેટનો દરવાજો ખુલ્લો હતો ત્યારે અમારી બી વીંગના પ્રમુખ ભીખાભાઈ સોલંકી ઘરના દરવાજા પાસે આવેલા અને ત્યા ઉભા રહીને મને કહેવા લાગેલા કે શુ રાડો પાડીને વાતો કરો છો? તેમ કહીને અમારો વિડીયો ઉતારવા લાગ્યા હતા જેથી મારા દીકરા સુરજે વિડીયો ઊતારવાની ના પાડતા ભીખાભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયેલા અને મારા દિકરા સાથે બોલાચાલી ઝગડો કરવા લાગેલા અને ગાળો આપવા લાગ્યા હતા આ ઝગડો ચાલતો હતો ત્યારે રૂક્ષ્મણીબેન, તેનો દીકરો તથા તેના પતિ આવેલા અને અમોને કહેવા લાગેલા કે, તમે અહીંથી બીજે રહેવા જતા રહો, તમારા દિકરા સુરજને અહી રહેવા દેવો નથી, તેમ કરીને અમારી સાથે બોલાચાલી કરવા લાગેલા અને જેથી મે તથા મારા દિકરા સુરજે કહેલ કે અમારો ઘરનો ફ્લેટ છે અમે બીજે ક્યાંય રહેવા જવાના નથી. તેમ કહેતા આ બધા સાથે મળીને સુરજને ઢીકા પાટુનો માર મારવા લાગેલા હતા આ દરમ્યાન હુ તથા મારી પત્નિ કલાવતીબેન તથા મારી દિકરી સ્નેહા સુરજને છોડાવવા જતા ભીખાભાઈએ પ્લાસ્ટીકનો પાઈપનો મને એક ઘા માથાના પાછળના ભાગે મારી દીધો હતો તથા મારી પત્ની અને દિકરીને રૂક્ષ્મણીબેને ઢીકા પાટુનો માર માર્યો હતો ભીખાભાઈ સોલંકીએ મારા દિકરાને કહેલ કે તુ અહીંથી બીજે રહેવા જતો રહેજે નહીતર તને જાનથી મારી નાખીશ તેમ ધમકી આપી હતી અને આ દરમ્યાન લોકોના ટોળા એકઠા થતા મારી દિકરી સ્નેહાએ 112મા પોલીસને ફોન કરતા આ લોકો ત્યાથી જતા રહ્યા હતા બાદમા 108 મારફત મને અને મારા પત્નીને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતા અને બાદમાં ચારેય સામે ફરિયાદ નોંધાવી હતી.
જંગલેશ્વરમાં કુખ્યાત આશીફ ગંધારાના ભાઈ યાસીનનો યુવક પર છરીથી હુમલો
રાજકોટના જંગલેશ્વરની અંકુર સોસાયટીમાં રહેતા અને મજૂરી કરતા જુશબભાઈ દાઉદભાઈ કુરેશી ઉ.47એ તવક્કલ ચોકમાં રહેતા યાસીન ઉર્ફે ટમલો સમા સામે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત બપોરે હું મારી રીક્ષા લઈ જંગ્લેશ્વર પ્રણામી ચોકમાં આવેલ પાણીના પરબે પાણી ભરવા ગયો હતો ત્યારે આશીફ ગંધારાનો ભાઈ યાસીન ઉર્ફે ટમલો સમા તથા સાહીલબાપુ તથા બીજા બે અજાણ્યા માણસો ત્યા બેઠા હતા અને હું પાણી ભરીને પરબવાળી જગ્યાની સાફ સફાઈ કરતો હતો ત્યારે આ યાસીને મને રાડ પાડીને બોલાવ્યો હતો પરંતુ હું ઉતાવળમા હોય જેથી મે જવાબ આપેલ નહી, અને હું પરબની સાફ સફાઈ કરવા લાગ્યો હતો તે દરમિયાન અચાનક આ યાસીન ચાલીને મારી પાસે આવેલ અને મને કહેવા લાગેલ કે બેરા હું કયારનો બોલાવુ છું તો સાંભળતો કેમ નથી તેમ કહી ઉશ્કેરાઈ જઈ નેફામાથી છરી જેવુ હથીયાર કાઢી મને મોઢાના જમણી બાજુ ગાલના ભાગે મારી દીધેલ અને મને લોહી નીકળવા લાગતા મે દેકારો કરતા યાસીન ત્યાથી ભાગી ગયો હતો અને મે 112માં ફોન કરતા પોલીસની ગાડી આવતા મે મારા દીકરા તાજમહમદને ફોન કરી બોલાવતા મારો દીકરો આવી જતા મને એક્ટીવામા બેસાડી સિવિલ હોસ્પીટલ ખાતે સારવારમા લઈ ગયો હતો અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
રાજકોટના યુવક ઉપર ખોરાણા ગામે પિતા-પુત્રનો છરીથી હુમલો
રાજકોટના નાના મવા આરએમસી ક્વાટર પાસે રહેતા અને રીક્ષા ડ્રાયવિંગ કરતા વિજયભાઈ મનસુખભાઈ ભોજાણી ઉ.24એ ખોરાણા ગામના પારસ રાજેશભાઈ વાઘેલા અને રાજેશ ચનાભાઈ વાઘેલા સામે કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 2 તારીખે મારા સાળાનું એક્ટીવા તેના ઘરે ખોરાણા ગામ દેવા ૫ત્ની સાથે ગયો હતો બીજા દિવસે સવારે હું અને મારો સાળો કેવલભાઈ અમો બંને ચા પાણી પીને ખોરાણા ગામના ફાટક પાસે બેઠા હતા ત્યારે મારા સાળાને પૈસાની લેતી દેતી બાબતે ખોરાણાના પારસ વાઘેલા સાથે બોલાચાલી થઈ હતી તે જ માણસ ત્યાં આવ્યો હતો અને મેં તેને પૂછેલ કે મારા સાળા સાથે કેમ બોલાચાલી કરી ગાળો આપેશ તેમ કહેતા પારસ એકદમ ઉશ્કેરાઈને તેની પાસે રહેલ છરી વડે મને પેટના ભાગે છરકો મારતા તે જ સમયે તેના પિતા રાજેશભાઈ ચનાભાઈ વાઘેલાએ મને પાછળના ભાગેથી પકડી રાખેલ ત્યારે પારસએ મને ખંભાના ભાગે તથા ડાબી બાજુ ગાલના ભાગે એક એક વાર છરી મારી દીધી હતી અને મને લોહી નીકળવા લાગતા મારો સાળો કેવલ મને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યો હતો અને બાદમાં ફરિયાદ નોંધાવી હતી.
જેતપુરમાં ભાદર કાંઠે હાલતી ખનીજ ચોરી પર એસઓજીનો દરોડો
જેતપુર પંથકમાં ભાદર કાંઠે બેરોકટોક ચાલતી ખનીજ ચોરી પર રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી એસ્કેવેટર- ટ્રેકટર અને 200 ટન સાદી રેતી સહિત 34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ગેરકાયદે રીતે રેતી-ખનીજનું ખનન તથા વહન કરતા શખસો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા આપેલી સૂચના અન્વયે રાજકોટ ગ્રામ્ય એસઓજી પીઆઈ એફ.એ. પારગીની રાહબરીમાં પીએસઆઇ પી.બી. મિશ્રા, પીએસઆઇ જી.જે. ઝાલા તથા ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે નૈમીશભાઈ મહેતા અને પિયુષભાઈ અઘેરાને બાતમી મળી હતી કે, જેતપુર તાલુકાના ગજપીરની દરગાહ પાસે ભાદર નદીના પટમાં આવેલી જગ્યામાંથી સાદી રેતીનું ગેરકાયદે ખનન તથા વહનની પ્રવૃત્તિ ચાલુ છે આ બાતમી આધારે પોલીસે દરોડો પાડી 30 લાખની કિંમતનું એસ્કેવેટર મશીન, ટ્રેક્ટર અને 200 ટન સાદી રેતી સહિત 34 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તમામ વાહનો એમવીએકટ 207 મુજબ ડીટેઇન કરી ભૂસ્તર શાસ્ત્રી ખાણ ખનીજ વિભાગ રાજકોટને વધુ કમ્પાઉન્ડ રિપોર્ટ આપી ખાણ ખનીજ વિભાગ સંબંધિત દંડ માટે આગળની કાર્યવાહી કરી હતી.
બોટાદથી કારમાં 2.22 લાખનો દારૂ-બિયર ડિલિવરી દેવા આવેલો શખ્સ ઝડપાયો
રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે પીસીબીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે રાત્રે ગોંડલ ચોકડી પાસે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી કાર પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી 2,22,048 રૂપિયાનો દારૂ-બિયરનો જથ્થો મળી આવતા બોટાદના શખ્સને સકંજામાં લઇ પૂછતાછ કરતા પોતે રાજકોટ ખોડિયારનગરના શખ્સને ડિલિવરી દેવા આવ્યો હોવાની કબૂલાત આપતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી 7,22,048 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી રાજકોટના શખ્સની શોધખોળ હાથ ધરી છે. રાજકોટમાં દારૂની હેરાફેરી ઉપર વોચ રાખવા પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે પીસીબી પીઆઇ એમ આર ગોંડલીયાની રાહબરીમાં પીએસઆઈ આર કે જાડેજા, પીએસઆઈ પી બી ત્રાજીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના એએસઆઈ મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાણા અને ઘનશ્યામસિંહ ચૌહાણને મળેલી બાતમી આધારે ગોંડલ ચોકડી પાસે રાત્રે વોચ ગોઠવી હતી ત્યારે બાતમીવાળી કાર પસાર થતા અટકાવી જડતી લેતા તેમાંથી દારૂના 528 ચપલા અને બીયરના 168 ટીન મળી આવતા પોલીસે કાર ચાલકનું નામઠામ પૂછતાં પોતે બોટાદનો ભગત ભગવાનભાઇ કમેજળીયા હોવાનું અને આ દારૂ-બિયર રાજકોટના ખોડિયારનગરમાં રહેતા સુખદેવસિંહ કનુભા પરમારને આપવાનો હોવાની કબૂલાત આપતા પોલીસે આજી ડેમ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી 7,22,048 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી રાજકોટના રીસીવરની શોધખોળ હાથ ધરી છે.
રાજકોટમાં ફરજ બજાવતા 32 પોલીસકર્મીઓની આંતરિક બદલી
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાએ આજે 4 ઓગસ્ટે એક સાથે વધુ 32 પોલીસ કર્મચારીઓની આંતરિક બદલી કરી છે. એક જ સ્થળે 3 વર્ષ કે તેથી વધુ સમય સુધી ફરજ બજાવતા હોય તેવા મોટા ભાગના તમામ પોલીસ કર્મીઓની બદલી કરવા માટે નિર્ણય કર્યા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા યાદી તૈયાર કરી આંતરિક બદલી કરવામાં આવી છે. જેમાં પ્રથમ યાદી જાહેર કરી 49 કર્મીઓની પોલીસ હેડ ક્વાર્ટર ખાતે બદલીઓ કરવામાં આવી હતી અને તેમાં મોટાભાગે મહિલા પોલીસ કર્મચારીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પછી વધુ એક બદલીનો લીથો તૈયાર કરી 88 પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, આજરોજ બદલી પામેલા તમામ પોલીસ કર્મીઓને તાત્કાલિક અસરથી છુટા કરી બદલીના સ્થળે હાજર થવા માટે ફરમાન કરવામાં આવ્યું છે.




