“સંબંધ તો આકાશ” ઉક્તિને ચરિતાર્થ કરતો રાજકોટના સૌથી નાનો લાભાર્થી નિખિલ સવસાડીયા
માત્ર એક મહિનામાં મા-બાપ-દાદા-દાદીનું છત્ર ગુમાવ્યું-ઉછેર માટે મળેલ સરકારી સહાય બદલ નિખિલના કાકાએ સજળ નેત્રે કરેલો મુખ્યમંત્રીનો ઋણસ્વીકાર.
ખાસ લેખ-સોનલ જોષીપુરા, રાજકોટ
- Advertisement -
‘‘મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના’’ના રાજકોટ જિલ્લાના સૌથી નાના લાભાર્થીનું નામ છે-નિખિલ રમેશભાઇ સવસાડીયા, જેણે ‘‘સંબંધ તો આકાશ’’ ઉક્તિને સાચા અર્થમાં ચરિતાર્થ થતી જોઇ છે.
કોરોના શબ્દની સૌથી વધુ ભયાનકતા બે વર્ષના નિખિલે જોઇ છે, પણ એનું અબુધપણું જ એનું સહાયક બન્યું છે. કેમકે આટલી નાની ઉંમરમાં અનાથ થઇ જવાની પીડા જો નિખિલને સમજાતી હોય તો એ બાકીની જીંદગી જીવી કેમ શકત? કોરોના મહામારીને લીધે અનાથ બનેલા નિખિલ જેવા રાજયના અન્ય બાળકોનો સાથ રાજય સરકારે સંપૂર્ણ સંવેદનશીલતાથી આપ્યો છે, અને તેમને ‘‘મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના’’ થકી માસિક રૂ. ૪૦૦૦ની સહાય ચૂકવી છે.
બે વર્ષના નિખલની કહાણી ટૂકમાં જોઇએ તો, ગત ૧૬ એપ્રિલ-૨૧ના રોજ પિતા રમેશભાઇને અને ૨૪ એપ્રિલ-૨૧ના રોજ માતા નીતાબેનને ગુમાવનાર આ ટેણીયાની કમનસીબી એટલી બધી કે એપ્રિલના અંતમાં તો તેના દાદા-દાદી પણ કોરોનાને લીધે સ્વર્ગ સિધાવ્યા. નિખિલને ૧૧ વર્ષની બહેન ભાવિકા અને ૮ વર્ષની બીજી બહેન મિત્તલ પણ છે. સંયુકત પરિવારમાં રહેતા નિખિલના કાકા દિનેશભાઇ અને જયશ્રીબેન પર પોતાના બે બાળકો ઉપરાંત, નાના ભાઇના ત્રણ નોધારા સંતાનોના પાલન-પોષણની જવાબદારી આચિંતી આવી પડી. આ દંપતિ છૂટક મજૂરીકામ અને ઇમીટેશનનું કામ કરીને તેમનું ગુજરાન ચલાવે છે. સાત વ્યક્તિના પરિવારનું ગુજરાન ચલાવવામાં મુશ્કેલી તો ખૂબ પડતી હતી, પરંતુ ઇશ્વરદત્ત જવાબદારી સમજીને દિનેશભાઇ ગાડું ગબડાવ્યે જતા હતા.
- Advertisement -
એવામાં જ તેમને ‘‘મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના’’ની ખબર પડી. અને તેમણે નાના ભાઇનાં ત્રણેય સંતાનો માટે આ યોજનાનો લાભ લેવા અંગે જરૂરી કાર્યવાહી કરી. જિલ્લા સમાજસુરક્ષા અધિકારી મેહુલ ગોસ્વામી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મીત્સુબેન વ્યાસ દ્વારા તેમને આ અંગે જરૂરી માર્ગદર્શન પૂરૂં પાડવામાં આવ્યું. અને ગઇ કાલે ૭ જુલાઇએ એટલે કે અંદાજે દોઢ માસના ટૂંકા ગાળામાં જ રાજયસરકાર દ્વારા નિખિલ, મિત્તલ અને ભાવિકાના બેંક ખાતામાં રૂ. ૧૨ હજાર જમા થઇ ગયા!
આ અંગે દિનેશભાઇ બાબુભાઇ સવસાડીયાએ સજળ નેત્રે મુખ્યમંત્રીનો ઋણસ્વીકાર કરતાં જણાવ્યું હતું કે, કોરોનાને લીધે અમારો સંયુકત પરિવાર ૧૧ માંથી ઘટીને ૪ નો થઇ ગયો. પ ઘરમાં કમાવાવાળા માત્ર હુ અને મારા વાઇફ જ રહયા. અચોક્કસ આવકમાં સાત જણની આજીવિકા ચલાવવી ખૂબ અઘરી હતી, પરંતુ ‘‘મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના’’ને લીધે મારા નાના ભાઇના ત્રણ સંતાનોના અમારા પરિવારને દર મહીને ૧૨ હજાર રૂ. મળશે, એ વિચાર માત્રથી મને ખૂબ મોટી રાહત થઇ છે. આ યોજનાથી અમારા જેવા મધ્યમવર્ગીય પરિવારને ખૂબ રાહત રહેશે.
અમદાવાદ જિલ્લામાં-૪ર, ભાવનગર-૪ર, આણંદ-૩૯, સાબરકાંઠા-૩૬, ખેડા-૩૬, વડોદરા-૩ર, કચ્છ-૩૧, નવસારીના-૩૦, પંચમહાલ-૩૦, સુરત-ર૯, જૂનાગઢ-ર૮, અરવલ્લી-ર૬, વલસાડ-ર૬, જામનગર-ર૪, પાટણ-રર, દાહોદના-રર, મહેસાણા-રર, બનાસકાંઠા-ર૧, અમરેલી-૧૯, ભરૂચ-૧૯, તાપીના-૧૭, ગીર સોમનાથ-૧૬, સુરેન્દ્રનગરના-૧૬, દેવભૂમિદ્વારકાના-૧૩, બોટાદ-૧૩, નર્મદાના-૧ર, મોરબી-૧ર, ડાંગના-૧૧, પોરબંદર-૧૧, મહિસાગર-૯, ગાંધીનગર-૬, છોટાઉદેપૂર-૬ના અને મળી કુલ ૩૩ જિલ્લાના ૭૧૮ નિરાધાર બાળકોને સમગ્રતયા રૂ. ૨૮ લાખ ૭૨ હજારની સહાય મુખ્યમંત્રીએ અર્પણ કરી હતી, જયારે માત્ર રાજકોટમાં ૫૮ બાળકોને રૂ. ૨ લાખ ૩૨ હજારની સહાય મુખ્યમંત્રીશ્રી દ્વારા અપાઇ હતી. આમ, સમગ્ર ગુજરાતમાં ‘‘મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના’’નો લાભ મેળવનારા સૌથી વધુ બાળકો રાજકોટ જિલ્લાના છે.


