529 વિદ્યાર્થીઓએ શાંત વાતાવરણમાં પ્રવેશ પરીક્ષા આપી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ,તા.02
- Advertisement -
પુજીત રૂપાણી ટ્રસ્ટ અંતર્ગત ચાલતા જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટમાં પસંદગી પામવાની ચાર મુખ્ય વિષયોની લેખિત પરીક્ષા કરણપરામાં આવેલ ચાણક્ય વિદ્યામંદિર ખાતે લેવામાં આવેલ. આ પરીક્ષામાં પૂરી તૈયારી કરીને આવેલા 529 વિદ્યાર્થીઓએ શાંત વાતાવરણમાં ગણિત-વિજ્ઞાન-અંગ્રેજી-સામાજિકવિજ્ઞાન જેવા વિષયોની પરીક્ષા આપી હતી. જ્ઞાનપ્રબોધિની શૈક્ષણિક પ્રોજેક્ટમાં પસંદગી થવા ધો.7 માં સરકારી કે ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે ધો.7 માં પ્રથમ સેમેસ્ટરમાં 85% કે તેથી વધુ માર્કસ મેળવ્યા હોય તેવા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાને લાયક બને છે.
મેરીટ મુજબ પસંદ થનાર વિદ્યાર્થીઓને ધો.8 માં શહેરની શ્રેષ્ઠ શાળાઓમાં ટ્રસ્ટ દ્વારા પ્રવેશ અપાવવામાં આવે છે અને ધો.12 સુધીના તમામ શૈક્ષણિક ખર્ચ પુજીત ટ્રસ્ટ ઉઠાવી લ્યે છે.
તાજેતરમાં યોજાયેલી આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા મેયર નયનાબેન પેઢડીયા, પૂર્વ મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ધનસુખભાઈ ભંડેરી, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીતિનભાઈ ભારદ્વાજ, ધારાસભ્ય ડો.દર્શિતાબેન શાહ, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદર, જાણીતા શિક્ષણવિદ નેહલભાઈ શુક્લ અને ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસટી મતી અંજલિબેન રૂપાણીએ શિસ્તબદ્ધ આયોજન માટે અભિનંદન પાઠવ્યા હતા.