ગ્રામસભામાં લોકોને મતદાન કરવા અનુરોધ
ખાસ-ખબર સંવાદદાતા
જિલ્લા કલેક્ટર ડી.ડી.જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં મતદાન જાગૃતિ અને મહિલા મતદાતાઓમાં મહિલા અને પુરુષના કુલ મતદાનમાં 10% કે તેથી વધુ તફાવત હોય તેવા ગામોમા મહિલા મતદાર જાગૃતી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે વેરાવળ તાલુકાના મોરાજ ગામ ખાતે મહિલા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.
મોરાજ ગામમાં ગ્રામસભા યોજાઈ હતી. જેમાં વેરાવળ ગ્રામ્ય નાયબ મામલતદાર વિરાજ કરમટા દ્વારા મહિલાઓને મતદાન અંગે જાગૃત કરવામાં આવી હતી. ઈવીએમ-વીવીપેટ વિશે વિસ્તૃતમાં માહિતી આપવામાં આવી હતી અને ડેમોન્સ્ટ્રેશન યોજાયું હતું.
તદુપરાંત આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2024માં તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરે તેવો સંદેશો આપવામાં આવ્યો હતો અને ગામલોકોને મતદાન કરવા અનુરોધ કરાયો હતો. આ તકે તલાટી મંત્રી અસલમ સુમરા, બીએલઓ સુરેન્દ્રસિંહ મોરી, મોરાજ ગામના સરપંચ જાનુબેન રાઠોડ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.



