25 જુલાઈથી 4 ઓગસ્ટ દશામાનું વ્રત ઢોંગી ભૂઈમાંથી સાવધાન રહેવા જાથાની અપીલ
ધૂણીને છેતરપિંડી કરતી ભૂઈમા ઉપર જાથા કાનુની કાર્યવાહી કરશે : ચેરમેન જયંત પંડયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
આપણા દેશમાં છેલ્લા કેટલાંક વર્ષોથી શ્રાવણ માસની એકમથી દસમ સુધી તથા આ વર્ષે 25 જુલાઈથી 4 ઓગસ્ટ સુધી આરાધ્ય દેવી દશામાના વ્રતનો પ્રારંભ થશે તેમજ માતાજીના પૂજન, અર્ચન મહિમા અનેક રીતે ઉજવણી પ્રદેશ પ્રમાણે કરવામાં આવે છે. દશામાંના વ્રતનું ગૌરવ, ધાર્મિક અનુસરણ પ્રમાણે વિધિ-વિધાન થાય, ઉજવણી શ્રદ્ધા પ્રમાણે થાય તેનો કદી પણ વિરોધ હોય શકે નહીં. સૌને આદર, વંદન માતાજી તરફ હોય તે સ્વાભાવિક છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી દશામાંના વ્રત દરમ્યાન અમુક લેભાગુઓ, ભુવા-ભારાડી, ભૂઈમા, તકસાધુઓ, ચમત્કારિકો શ્રદ્ધાના માહોલમાં યુક્તિ, પ્રયુક્તિ, ચમત્કારો કરી છેતરપિંડી કરવામાં આવે છે તેનો વર્ષોનો અનુભવ હોય ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી સખ્ત શબ્દોમાં વખોડી વિરોધ કરી ધૂણતી ઢોંગી ભૂઈમાંથી સાવધાન રહેવા અપીલ કરવામાં આવી છે. જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયા જણાવે છે કે શુક્રવાર 25 જુલાઇથી દશામાંના વ્રતનો પ્રારંભ થાય છે. દેશમાં શ્રદ્ધાપૂર્વક ધાર્મિક ઉત્સવ ઉજવવો સૌ નાગરિકોને અબાધિત અધિકાર છે. વ્રતના સ્થાપન-પુર્ણાહતિએ શ્રદ્ધાળુઓએ આરોગ્યની જાળવણી રાખવી સૌના હિતમાં છે. કહેવાતા ચમત્કારો – પરચાઓ વિજ્ઞાનને કારણે ગાયબ થઈ ગયા છે.
સાદગીથી પોતાના ઘરમાં જ ઉજવણી થાય તે જરૂરી છે. વર્ષોની લોકજાગૃતિના કારણે દશામાંની ભૂઈમાના પરચા ઓસરતા થઈને હવે નહિંવત જોવા મળે છે. મેટ્રો શહેરમાં અમુક વિસ્તારમાં આજે પણ ધાર્મિક ઉન્માદ જોવા મળે છે તેમાં જાથા વિવેકથી કામગીરી કરે છે. 4 ઓગસ્ટે જાગરણના દિવસે મૂર્તિના વિસર્જન સ્થળે પૂજન-અર્ચન કરેલી દશામાંની મૂર્તિની અવદશા દયનીય જોવા મળે છે તેમાં ફેરફાર કરવો અતિ જરૂરી છે. પીવાના પાણીમાં કદી પણ મૂર્તિનું વિસર્જન કરવું નહિ. દશામાના વ્રતના અભિયાનના જાથાના 23મા વર્ષે જાગૃતિ લાવવા જનસમાજ સમક્ષ હકિકત મુકે છે તેમાં 23વર્ષથી વ્રત દરમ્યાન 2730 મહિલા ધૂણતી નજરે પડી હતી તેમાંથી છેતરપિંડી કરતી 903 ભૂઈમાનો પર્દાફાશ કરી ચોંકાવનારી હકિકત બહાર આવી હતી. આ વ્રતમાં ચાલાક ભૂઈમાનો છેતરપિંડીનો ધંધો થઈ ગયો છે. તેથી જાથા વિરોધ કરે છે.દશામાના વ્રત દરમ્યાન ઢોંગી, અમુક ભૂઈમા-ભુવા, લેભાગુઓ, તકસાધુઓ હાથ-પગ, મોંમાથી કંકુ કાઢ વું-નીકળવું, કંકુના પગલા, મૂર્તિ-સાંઢણીનું દૂધ પાણી પીવું, જમીનમાંથી એકાએક મૂર્તિ નીકળવી, ફળ, શાકભાજીમાં દેવ-દેવીના દર્શન થવા તેવા અવનવા ગતકડાના ચમત્કારોનું સર્જન કરી લોકોને ભરમાવવામાં કે ભીડ એકઠી કરવાના નુશ્કા જોવા મળશે. ખોટા ચમત્કારોથી પ્રભાવિત ને થવા કે અફવામાં દોરાવું નહિ તેવી જાથા અપીલ કરે છે.
વ્રત દરમ્યાન બનાવટી, અતાર્કિક, ચમત્કારિક યુટયુબ ઉપર થતી ચમત્કારિક કથાઓ અને વાર્તાઓ, પત્રિકાઓ, પુસ્તિકાઓ, ફિલ્મો હેતુપૂર્વક બહાર પાડી દર્શાવીને ભ્રમીત કરીને પ્રચાર અને વેચાણ કરવામાં આવે છે. વાસ્તવમાં દશામાના નામે છેતરપિંડી જ છે. શ્રદ્ધાના માહોલમાં છેતરપિંડીનું કારસ્તાન છે. દેશભરમાં ભ્રામક ચમત્કારોનું સર્જન કરી લૂંટ કરવામાં આવે છે. જાથાએ નજરે જોયું છે કે ગામના કે સ્થાનિક રહેવાસીઓ જાગૃતિ રાખી પોલીસ કે સરકારી તંત્રની મદદથી અટકાવી સત્ય હકિકત નાગરિક ધર્મની રૂએ મુકી શકે છે. દશામાનો વ્રત ઉજવવો, ધાર્મિક લાગણી રાખવી સૌનો હક્ક છે. માતાજી હંમેશા વંદનીય અને પૂજનીય હોય પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી પ્રગતિ ચમત્કારના નામે અને યુક્તિ-પ્રયુક્તિના કારણે કરી છે તેનો વિરોધ છે. જાથાએ ધૂણતી અનેક ભૂઈમા, ઢોંગી મહિલાઓને પૂછવાથી કે તપાસવાથી એકપણ સાચી નીકળી નથી તમામ ખોટી સાબિત થઈ છે. છેલ્લા વર્ષોમાં દશામાના વ્રત દરમ્યાન ભૂઈમાનો પતિ જ જાથાને રજૂઆત કરી પર્દાફાશનો આગ્રહ રાખે છે. અમુક પતિ તો પોતાને ધૂણીને ધબ્બો મારી માર મારે છે તેના ત્રાસની હકિકતથી જાથાને વાકેફ કરે છે. વ્રત દરમ્યાન ભૂઈમા પોતાની શેરી, ઘર આસપાસ રહીશોને બેહદ ત્રાસ આપી ઢોલ-નગારા, ધૂપ-ધુમાડા, ઘોંઘાટ, ધુણવું, અબીલ-ગુલાલ ઉડાડવો, માનસિક ત્રાસ આપી હેરાન કરતા હોવાની હકિકત જાથાને આપવામાં આવે છે જેથી લોકોએ સ્વયંભુ વિરોધ કરી પરિસ્થિતિ પ્રમાણે કાયદાનું અનુસરણ કરવું જોઈએ. રજૂઆત બાત સાચી હોય તો પોલીસ તંત્ર વાસ્તવમાં નાગરિકને મદદરૂપ થાય છે. રાજયમાં દશામાના વ્રત દરમ્યાન ધૂણીને ઢોંગ કરતી ભ્રામક પ્રચાર કરતી ભૂઈમાઓ વિશે માહિતી આપવા મો. 98252 16689 પર સંપર્ક કરવા કાર્યાલય મંત્રી અંકલેશ ગોહિલએ જણાવાયું છે.



