મરિન બલ્ક કાર્ગો મૂવર્સ, ગૌતમ ફ્રેઈટ અને ઋષિ શિપિંગનું લાયસન્સ રહસ્યમય સંજોગોમાં રદ્દ
ખાસ-ખબર સંવાદદાતા
દરિયામાં માત્ર અખૂટ પાણી નથી હોતું, તેમાંથી અખૂટ નાણાં પણ રળી આપે છે. ગુજરાતનાં નવલખી તથા મગદલ્લા બંદરોએ આચરવામાં આવેલા એક મસમોટાં કૌભાંડથી આ વાત પુરવાર થાય છે. સ્ટીવડોરિંગ (કાર્ગોનું લોડિંગ અને ઑફ્ફ લોડિંગ)ની પ્રક્રિયાનો કોન્ટ્રાક્ટ ધરાવતી શ્રીજી શિપિંગ માટે જ રિન્યૂ કરવામાં આવ્યો છે. બાકીની ત્રણ કંપની મરિન બલ્ક કાર્ગો મૂવર્સ, ગૌતમ ફ્રેઈટ અને ઋષિ શિપિંગનું લાયસન્સ કોઈ ભેદી કારણસર રિન્યુ ન થયું. આ પાછળનું મુખ્ય કારણ અશોક લાલ- જીતુ લાલની કંપની શ્રીજી શિપિંગને ફાયદો પહોંચાડવાનું હોવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. તેનું કારણ પણ છે: આજથી થોડાં સમય પહેલાં શ્રીજી શિપિંગે યુ.એસ.એલ. નામની વિદેશી કંપનીની તમામ મશીનરી ખરીદી લીધી છે. આ મશીનરીમાંથી પૂરતું વળતર મેળવવા આવો ખેલ નંખાયો હોવાની ચર્ચા છે.
ગુજરાત મેરિટાઈમ બોર્ડ ફરી એકવાર વિવાદમાં આવ્યું છે. અવારનવાર ભ્રષ્ટાચારનાં આરોપોથી બદનામ થઈ ગયેલા ગુજરાત મેરિટાઈમ બોર્ડનાં ઉપરી અધિકારીઓ અને એક નેતાએ આજથી છ મહિના અગાઉ નવલખી પોર્ટમાં જામનગરનાં અશોક લાલ – જીતુલાલની કંપની શ્રીજી શિપિંગ એજન્સી પાસેથી કરોડો રૂપિયા લઈ આચરેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ થયો છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા આચરાયેલા આ ભ્રષ્ટાચારનાં પાપે વાર્ષિક આશરે એક કરોડ ટન કોલસાનું હેન્ડલિંગ કરતું પોર્ટ નવલખી અત્યંત વિકટ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યું છે તદુપરાંત નવલખી પોર્ટ પર ગેરકાયદે પ્રવૃતિઓમાં પણ વધારો થયો છે.
- Advertisement -
ગુજરાત મેરિટાઈમ બોર્ડમાં થયેલા કરોડો રૂપિયાનાં કૌભાંડની વિગત મુજબ આજથી છ મહિના અગાઉ નવલખી પોર્ટમાં યુ.એસ.એલ. તથા શ્રીજી શિપિંગ કંપની મુખ્ય બે સ્ટિવિડોર એજન્ટ વ્યવસ્થિત રીતે કામગીરી કરી રહ્યા હતા પરંતુ અચાનક જ યુ.એસ.એલ. તેમની તમામ મશીનરી જેવા કે બાર્જ, ફ્લોટિંગ ક્રેન, એક્સકવેટર વગેરેનું વેંચાણ શ્રીજી શિપિંગને કરી આપે છે અને યુ.એસ.એલ. તેનો તમામ કોલ હેન્ડલિંગ બિઝનેસ પણ શ્રીજી શિપિંગને વેંચી દે છે. ત્યારબાદ યુ.એસ.એલ. તમામ સરકારી ખાતાઓને લેખિત જાણ કરી આપે છે કે, હવે અમે આ શિપિંગ બિઝનેસમાંથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ જઈએ છીએ જેની મંજૂરી એન.એસ.ઈ.થી તેના પત્રો તારીખ 29-06-2021 દ્વારા મેળવી લીધેલી છે.
રાજકારણીઓ, અધિકારીઓ અને ગુજરાત મેરિટાઈમ બોર્ડની ભૂંડી ભૂમિકા
આટલું જ નહીં યુ.એસ.એલ.માં કામ કરતા અસંખ્ય કામદારોને છટણી પત્ર પકડાવી છૂટા કરી નાખે છે, જે લેબર તથા પી.એફ.નાં કાયદાની વિરુદ્ધ છે અને આ છટણી પત્રમાં પણ એવો ઉલ્લેખ કર્યો છે કે, અમો પોર્ટની તમામ પ્રકારની કામગીરીમાંથી નિવૃત્ત થઈએ છીએ અને આ પ્રકારની કોઈ કામગીરી કરવાના નથી. આમ યુ.એસ.એલ કંપની અસંખ્ય કામદારોને અને તેમના કોન્ટ્રાક્ટરને એગ્રીમેન્ટની કન્ડિશનનાં સમયની નોટિસ આપ્યા વગર રાતોરાત છૂટા કરી મૂકે છે. જી.એમ.બી.ને આ સમગ્ર માહિતી લેખિત તથા મૌખિક આપવામાં આવેલી છે. આમ છતાં પણ નવલખી પોર્ટ ખાતે કામ કરતી કંપનીઓને સ્ટિવિંડોરિંગ લાઈસન્સ 01-02-2022થી રિન્યૂ ન કરી અને 4-2-2022 એ લેખિત જાણ કરવામાં આવેલી હતી. આ તમામ ગબગોટાળા પાછળનું કારણ કરોડો રૂપિયા લઈ અશોક લાલ – જીતુ લાલની કંપની શ્રીજી શિપિંગને હરિફાઈમુક્ત બંદર કરી આપવાનું છે. યુ.એસ.એલ. કામ બંધ કરી દેવાની જાણકારી પુરાવા સાથે જી.એમ.બી. પાસે હોવા છતાં પણ તેમનો સ્ટિવિડોરેઈન્ગ લાઈસન્સ રિન્યૂ કરી આપવામાં આવેલું છે અને જેનો બેનામી ઉપયોગ અન્ય કંપની ખુલ્લેઆમ કરી રહી છે. આ સમગ્ર કૌભાંડ પાછળ ગુજરાતનાં સૌથી સિનિયર સનદી અધિકારી, એક રાજકીય નેતા તથા જી.એમ.બી.નાં સર્વોચ્ચ અધિકારીની મિલીભગત છે. અન્ય શિપિંગ કંપનીઓ જાણે છે આ પાછળ ક્યાં નેતા-અધિકારીઓ છે તેથી આ અંગેના વધુ પુરાવાઓ એકત્ર કરવામાં આવી રહ્યા છે. નવલખી ખાતે અન્ય સ્ટિવિંડોરિંગ લાઈસન્સ રિન્યૂ ના કરવાના, યુ.એસ.એલ.ની જેટી તથા લાઈસન્સ આંખ આડા કાન કરીને શ્રીજી શિપિંગ કંપનીને ગેરકાયદે ઉપયોગ કરવા દેવાના તેમજ બંદરમાં આવેલ પ્લોટોની ફાળવણી શ્રીજી શિપિંગ કંપનીને કરી આપવા માટે માતબર રકમની લેણદેણ થઈ છે. કોઈપણ આગોતરી જાણ કર્યા વગર ત્રણ સ્ટિવિંડોરિંગ લાઈસન્સ રિન્યૂ ન કરવાથી તેઓને થયેલા નુકસાન અને આ પોર્ટમાં માત્ર શ્રીજી શિપિંગ કંપનીને મોનોપોલાઈસ કરી દેવાથી વાર્ષિક એકાદ કરોડ ટન હેન્ડલ કરી બદલામાં ભ્રષ્ટાચારરૂપે આપેલા રૂપિયાનું વળતર કેમ જલ્દી મેળવી લેવું તેની વિગતો હવે પછી પ્રકાશમાં લાવવામાં આવશે.
- Advertisement -
ગુજરાત મેરિટાઈમ બોર્ડનો ભ્રષ્ટાચાર RTIમાં ઉઘાડો પડશે
શ્રીજી શિપિંગ એજન્સી પાસેથી કરોડો રૂપિયા લઈને ગુજરાત મેરીટાઈમ બોર્ડનાં અધિકારીઓએ રાજકારણીઓ સાથે મળીને કરેલાં ભ્રષ્ટાચારને ઉઘાડો પાડવા માટે આરટીઆઈ કરવામાં આવી છે. આ આરટીઆઈઓમાં મોરબી અને જામનગર જિલ્લાની હદમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તગત અને દેખરેખ હેઠળનાં પોર્ટ પર આવેલાં પ્લોટો તથા જેટીઓ તથા લાયસન્સો અંગેની વિગતવાર માહિતી, દસ્તાવેજ વગેરે માંગવામાં આવ્યા છે. આ માહિતી જાહેર થતાં ગુજરાત મેરીટાઈમ બોર્ડનો ભ્રષ્ટાચાર ઉઘાડો પડશે.
લાયસન્સ શરતોનો ભંગ થયો, જવાબદાર સામે કડક પગલાં જરુરી
એક સમયે કાયમી ધમધમતા રહેતા મોરબીનાં નવલખી બંદર પર કોલસાની દલાલી સાથે શિપિંગ એજન્સીઓને લાભ ખટાવવાનાં ભ્રષ્ટાચારની કાલીમા છવાઈ ગઈ છે. ગુજરાત મેરિટાઈમ બોર્ડનાં અધિકારીઓ અને રાજનેતાઓની કૃપાદ્રષ્ટિ હેઠળ નિયમો ફક્ત કાગળ ઉપર રાખી શ્રીજી શિપિંગ એજન્સી સાથે મળી બેફામ ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. આજ સુધી માત્ર કોલસાની દલાલીમાં કાળા હાથ કરતા અધિકારીઓ અને નેતાઓ હવે બેવેંત આગળ વધી શ્રીજી શિપિંગ એજન્સીને ગેરકાયદે ફાયદો પહોચાડવા મેદાનમાં ઉતર્યા છે, શ્રીજી શિપિંગ એજન્સીને કોન્ટ્રાક્ટ આપવાના અને અન્ય એજન્સીઓનું લાયસન્સ રદ્દ કરવાના બદલામાં કરોડો રૂપિયા લઈ ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. શ્રીજી શિપિંગ એજન્સીને નવલખી અને મગદલ્લા બંદર ખાતે સ્ટીવડોરીંગ કોન્ટ્રાક્ટ આપવા માટે ગુજરાત મેરિટાઈમ બોર્ડ દ્વારા અન્ય ત્રણ કંપનીઓનાં લાયસન્સ રદ્દ કરી દેવામાં આવ્યા છે. એક જ કંપનીને લાભ આપવા માટે થયેલી આ ગેરકાયદે કાર્યવાહીનાં હિસાબો કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનલર કેગ દ્વારા કરવામાં આવે અને આ મદદગારીમાં કરવામાં આવેલા સંડોવાયેલા સામે પગલાં ભરવામાં આવે એ જરૂરી છે. નવલખીમાં યુ.એલ.સી ની દરિયાઈ સંપત્તિ બાર્જ, ટગ વગેરે શ્રીજી શિપિંગને તબદિલ કરવામાં આવી છે. જેના કારણે પરોક્ષ રીતે સ્ટીવડોરીંગ લાયસન્સ આ કંપની દ્વારા સંચાલિત કરવામાં આવે છે. એક તરફ શ્રીજી શિપિંગને લાભ ખટાવવા માટે ત્રણ કંપનીનું લાયસન્સ રદ્દ કરવામાં આવ્યું છે. બીજી તરફ શ્રીજી શિપિંગ દ્વારા બંદર પર લાયસન્સની શરતોનું પાલન થતું નથી. આ સમગ્ર મામલે જો પ્રામાણિક અધિકારીઓ અને કેન્દ્ર સરકારના મંત્રીઓ રસ લઈ તટસ્થ તપાસ કરાવે તો બહુ મોટો ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે.