રાજકોટમાં ‘ક્રિસ્ટલ નેકસસ’ વિવાદ ગરમાયો
RMCના આદેશ છતાં કાર્યવાહી નહીં, ૠઉઈછ અને સરકારી ગેઝેટના ભંગના આક્ષેપો
- Advertisement -
ગરીબોના મકાનો તોડતા તંત્ર પર મોટા માથાઓને બચાવવાનો ગંભીર આરોપ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.26
રાજકોટ મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ સામે ફરી એકવાર ભ્રષ્ટાચાર, મનમાની અને બેવડી નીતિના ગંભીર આક્ષેપો ઊભા થયા છે. માધાપર ચોકડી પાસે આવેલી ‘ક્રિસ્ટલ નેકસસ’ નામની કોમર્શિયલ બિલ્ડીંગને લઈને શહેરમાં રાજકીય અને કાનૂની વિવાદ તેજ બન્યો છે. કોંગ્રેસ આગેવાનો દ્વારા આ બિલ્ડીંગને ગેરકાયદેસર ગણાવી ઝ.ઙ. વિભાગ અને સંબંધિત અધિકારીઓ સામે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આક્ષેપો મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ઝ.ઙ. વિભાગ દ્વારા સામાન્ય અને ગરીબ લોકોના મકાનો સામે તાત્કાલિક ડિમોલિશનની કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે મોટા વગદાર લોકોના ગેરકાયદેસર બાંધકામોને બચાવવા માટે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ‘ક્રિસ્ટલ નેકસસ’ બિલ્ડીંગ મામલે સરકારી ગેઝેટ, ૠઉઈછ નિયમો અને કમિશનરના આદેશો હોવા છતાં કાર્યવાહી ન થતી હોવાના ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. માહિતી મુજબ આ બિલ્ડીંગનો પ્લાન તા. 20 સપ્ટેમ્બર 2022ના રોજ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ આજદિન સુધી તે મંજૂર કે નામંજૂર કરવામાં આવ્યો નથી. જ્યારે નિયમો અનુસાર નક્કી સમયમર્યાદામાં નિર્ણય લેવો ફરજિયાત હોવા છતાં, ઝ.ઙ. વિભાગ દ્વારા જાણે ઇરાદાપૂર્વક વિલંબ કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો થયા છે. કોંગ્રેસ આગેવાનોનો દાવો છે કે બિલ્ડીંગને બચાવવા માટે કાયદાની જોગવાઈઓને અનુકૂળ રીતે વાળવામાં આવી રહી છે. ઈમ્પેક્ટ કાયદા હેઠળ માત્ર 30 ઓક્ટોબર 2022 પહેલાંના બાંધકામોને જ રજૂ કરી શકાય છે, છતાં અહીં બાદના બાંધકામોને પણ કાયદેસર ઠેરવવાના પ્રયાસો થઈ રહ્યા હોવાનું જણાવાયું છે. વધુમાં, રજૂ કરાયેલા દસ્તાવેજોમાં ફક્ત બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળનું કમ્પ્લીશન દર્શાવાયું હોવાનું અને બાકીના માળોની સ્થિતિ અંગે સવાલો ઊભા કરવામાં આવ્યા છે.
આક્ષેપોમાં બિલ્ડીંગની ટેક્નિકલ સલામતીને લઈને પણ ગંભીર મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે. ૠઉઈછ મુજબ ફરજિયાત 2.80 મીટરની બીમ-કોલમ હાઈટના બદલે માત્ર 2.50 મીટરની હાઈટ હોવાનો દાવો કરવામાં આવ્યો છે. જેના કારણે બિલ્ડીંગની સ્ટ્રક્ચરલ સેફ્ટી અને ભૂકંપ જેવી પરિસ્થિતિમાં જોખમ અંગે પ્રશ્નો ઉભા થયા છે. તેમજ સ્ટેટ હાઈવે એનઓસી વગર પ્લાન રજૂ કરાયો હોવાનો, પાર્કિંગ અને માર્જિનની પૂરતી વ્યવસ્થા ન હોવાનો અને એફએસઆઇ નિયમોમાં પણ ભંગ થયો હોવાના આક્ષેપો થયા છે. બિલ્ડીંગનો પ્લાન ૠછઞઉઅ અને મહાનગરપાલિકા બંને જગ્યાએ એકસાથે પ્રક્રિયામાં હોવા અંગે પણ કાયદાકીય પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. મહત્વની વાત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર દ્વારા તા. 14 મે 2025ના રોજ બિલ્ડીંગને સીલ કરવાની કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હોવા છતાં, આજદિન સુધી કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. કોંગ્રેસ આગેવાનોનો આરોપ છે કે ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીઓ વિવિધ બહાનાંઓ ઉભા કરીને કાર્યવાહી અટકાવી રહ્યા છે અને મોટા માથાઓને બચાવવા માટે સત્તાનો દુરુપયોગ કરી રહ્યા છે. આ સમગ્ર મામલે ટીઆરપી ગેમ ઝોન જેવી દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આગેવાનોનું કહેવું છે કે આવી ગોઝારી ઘટનામાંથી પણ તંત્રએ કોઈ બોધપાઠ લીધો નથી. ફાયર એનઓસી અને અન્ય સુરક્ષા નિયમોની અવગણના કરીને જોખમી બાંધકામોને બચાવવાની પ્રવૃત્તિ યથાવત્ હોવાનું કહેવાઈ રહ્યું છે.
રાજકોટ શહેર કોંગ્રેસના ઉપપ્રમુખ અને સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનના પ્રવક્તા સંજયભાઈ લાખાણી તેમજ મહામંત્રી અને પ્રવક્તા કૃષ્ણદતભાઈ રાવલ દ્વારા આ સમગ્ર મામલે કાયદાકીય લડત શરૂ કરવામાં આવી છે. બંને આગેવાનોએ ટાઉન પ્લાનીંગ વિભાગના અધિકારીઓ સામે કોર્ટમાં અરજી દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે આ લડત માત્ર એક બિલ્ડીંગ પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વહીવટી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચાર અને બેવડી નીતિ સામેનો સંઘર્ષ છે. સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી અને મોટા માથાઓ માટે નરમ વલણ રાખતી વ્યવસ્થાની સામે કડક કાનૂની પગલાં લેવામાં આવે તેવી માંગ સાથે આ લડત ચાલુ રહેશે. સમગ્ર મામલે શહેરમાં રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા શરૂ થઈ છે. હવે કોર્ટ અને તંત્ર આ ગંભીર આક્ષેપો પર શું વલણ અપનાવે છે, તેના પર સૌની નજર મંડાઈ છે.



