કાયદો અને વ્યવસ્થા મજબૂત કરવાં માટે રાજકોટ પોલીસ કમિશનરનું 17 ઓગસ્ટથી 16 ઓક્ટોબર કુલ 60 દિવસ માટે જાહેરનામું
નંબર પ્લેટમાં ઘસારાને કારણે અસ્પષ્ટ કે કાદવ-કીચડથી ખરડાયેલી અથવા અક્ષર, રંગ કે બનાવટમાં ફેરફાર કરાયો હોય તેવા વાહનોને પણ ઈંધણ નહીં મળે
- Advertisement -
ટેમ્પરરી રજીસ્ટ્રેશન નંબર ધરાવતા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની સેવાઓ સાથે જોડાયેલા વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ
ઈ-ચલણથી બચવાની સાથે ગંભીર પ્રકારના ગુના આચરવા માટે પણ વાહન ચાલકો નંબર પ્લેટ જાણીજોઈને કાઢી નાખે છે, વાળી દે છે, ઢાંકી દે છે અથવા તેમાં છેડછાડ કરે છે
ખાસ ખબર ન્યૂઝ | રાજકોટ
- Advertisement -
રાજ્યમાં પ્રથમ વાર ગુનાખોરી પર અંકુશ લાવવા માટે રાજકોટમાં નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા દ્વારા જાહેર સુરક્ષા, ગુનાખોરી નિયંત્રણ અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું તા. 17/08/2026ના થી તા.16/10/2026ના સુધી (કુલ 60 દિવસ) માટે અમલમાં રહેશે. રાજકોટ શહેર પોલીસ કમિશનરેટના વિસ્તારમાં આવતા તમામ પેટ્રોલ પંપ, ડીઝલ ડિસ્પેન્સિંગ સ્ટેશન અને સીએનજી સ્ટેશનો પર હાઈ સિક્યોરિટી રજીસ્ટ્રેશન પ્લેટ (HSRP) અથવા કાયદેસરની સ્પષ્ટ દેખાતી નંબર પ્લેટ વગરના વાહનોને ઈંધણ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પોલીસના ધ્યાનમાં આવ્યું છે કે, સંખ્યાબંધ વાહન માલિકો અને ચાલકો પોતાના વાહનોની રજીસ્ટ્રેશન નંબર પ્લેટ જાણીજોઈને કાઢી નાખે છે, વાળી દે છે, ઢાંકી દે છે અથવા તેમાં છેડછાડ કરે છે. આવું કરવા પાછળનો મુખ્ય હેતુ સીસીટીવી આધારિત ઈ-ચલણ ટ્રાફિક એન્ફોર્સમેન્ટ સિસ્ટમથી બચવાનો છે. નંબર પ્લેટ વગરના આવા વાહનોના કારણે ટ્રાફિક નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થાય છે અને બેફામ ડ્રાઇવિંગને પ્રોત્સાહન મળે છે. વધુમાં, ઓળખ વગરના આ વાહનો જાહેર વ્યવસ્થા, સલામતી અને રાષ્ટ્રીય સુરક્ષા સામે ગંભીર જોખમ ઊભું કરે છે. આવા વાહનોનો ઉપયોગ હિટ એન્ડ રન અકસ્માતો, ચેઈન સ્નેચિંગ, લૂંટ અને ધાડ જેવી ગંભીર ગુનાહિત પ્રવૃત્તિઓમાં થવાની સંભાવના રહે છે. નંબર પ્લેટ ન હોવાને કારણે ગુનેગારોને શોધી કાઢવામાં કાયદો અમલીકરણ એજન્સીઓને ભારે મુશ્કેલી પડે છે.
ગેરવર્તન કરનારા ચાલકો અને નિયમનો ભંગ કરનાર પેટ્રોલ પંપ સંચાલક સામે કાર્યવાહી
જ્યારે નંબર પ્લેટ ન હોવાના કારણે પેટ્રોલ પંપના કર્મચારીઓ ઈંધણ આપવાનો ઈનકાર કરે, ત્યારે જો કોઈ વાહન ચાલક રકઝક કરે, ધાકધમકી આપે, બળનો ઉપયોગ કરે કે અવ્યવસ્થા ઊભી કરવાનો પ્રયાસ કરે તો પંપ સંચાલકોએ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને જાણ કરવાની રહેશે અથવા ત્વરિત મદદ માટે 112 (112) નંબર ડાયલ કરવાનો રહેશે. આ જાહેરનામાની જોગવાઈઓનો ભંગ કે અવજ્ઞા કરનાર વાહન માલિક, વાહન ચાલક કે પેટ્રોલ પંપના માલિક/સંચાલક/કર્મચારી વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની ફરિયાદ કરવામાં આવશે.
“નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં” માહિતી બોર્ડ પ્રદર્શિત કરવા આદેશ
તમામ પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશનના માલિકો અને મેનેજરોને સૂચના આપવામાં આવી છે કે તેઓએ પોતાના પ્રવેશદ્વાર અને ડિસ્પેન્સિંગ યુનિટની નજીક ઓછામાં ઓછા 4 ડ્ઢ 3 ફૂટના મોટા બોર્ડ પર ગુજરાતી અને હિન્દી/અંગ્રેજી ભાષામાં “પોલીસ કમિશનર” રાજકોટ શહેરના હુકમ અનુસાર નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં” લખાણ સ્પષ્ટપણે પ્રદર્શિત કરવાનું રહેશે.
પેટ્રોલ પંપ પર નંબર પ્લેટ તેમજ ચાલકનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય તે રીતે કેમેરા ગોઠવવાના રહેશે
શહેરની હદમાં કાર્યરત કોઈ પણ પેટ્રોલ પંપ કે સીએનજી સ્ટેશન દ્વારા દ્વિચક્રી, ત્રિચક્રી કે ફોર-વ્હીલર વાહનોને ત્યાં સુધી પેટ્રોલ, ડીઝલ કે સીએનજી પૂરું પાડવામાં નહીં આવે, જ્યાં સુધી વાહનની આગળ અને પાછળ બંને બાજુએ કાયદેસરની પ્લેટ લગાવેલી ન હોય તેવા કિસ્સામાં. તેમજ જે વાહનોની નંબર પ્લેટ કાઢી નાખેલી, વાળેલી, તૂટેલી, ઢાંકેલી કે ઘસારાને કારણે અસ્પષ્ટ હોય તેના પર પણ આ નિયમ લાગુ પડશે. આ ઉપરાંત કાદવ-કીચડથી ખરડાયેલી પ્લેટ અથવા જેમાં અક્ષર, રંગ કે બનાવટમાં ફેરફાર કરાયો હોય તેવા વાહનોને પણ ઈંધણ નહીં મળે. આ નિયમમાં ખાસ અસ્થાયી (ટેમ્પરરી) રજીસ્ટ્રેશન નંબર ધરાવતા વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને અન્ય કટોકટીની સેવાઓ સાથે જોડાયેલા વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. ગુજરાત પબ્લિક સેફ્ટી એક્ટ 2023ની જોગવાઈ મુજબ તમામ પેટ્રોલ પંપ અને સીએનજી સ્ટેશનના સંચાલકોએ સીસીટીવી પ્રણાલી સંપૂર્ણપણે કાર્યરત રાખવી પડશે. પંપના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર તમામ વાહનોની આગળ-પાછળની નંબર પ્લેટ તેમજ ચાલકનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય તે રીતે સીસીટીવી કેમેરા ગોઠવવાના રહેશે. આ સીસીટીવી ફૂટેજ ઓછામાં ઓછા 30 દિવસ સુધી સાચવી રાખવાના રહેશે અને પોલીસ દ્વારા માંગણી કર્યેથી તાત્કાલિક પૂરા પાડવાના રહેશે.




