સ્પર્ધકોને ઈનામો તથા સર્ટિફિકેટ એનાયત કરવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.15
- Advertisement -
આગામી તા. 21ના રોજ શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવની ભવ્યાતિભવ્ય ઉજવણી રાજકોટમાં થવા જઈ રહી છે ત્યારે રાજકોટનો સમસ્ત જૈન સમાજ જૈનમ્ના સથવારે મહોત્સવ ઉજવવા જઈ રહ્યો છે. મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આગામી તા. 18 ને ગુરૂવારના રોજ બપોરે 4-00થી 6-00 રાજકોટના શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ખાતે એક ઓપન રાજકોટ રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જૈન-જૈનેત્તરો દરેક ભાગ લઈ શકે તેવી આ રંગોળી સ્પર્ધામાં ભગવાન મહાવીરના જીવનચરિત્રને લગતાં પ્રસંગોને આવરીને રંગોળીઓ બનાવવામાં આવશે. અલગ-અલગ ઉંમરના લોકોના ગ્રુપ પાડીને સ્પર્ધા યોજવામાં આવશે. સ્પર્ધકોને આ સ્પર્ધામાં ભાગ લેવા બદલ સર્ટિફીકેટ એનાયત કરવામાં આવશે તેમજ પ્રથમ, દ્વિતીય અને તૃતિય એમ ત્રણ ક્રમના વિજેતાઓને ઈનામ આપવામાં આવશે. તો આ તકે રાજકોટના રંગોળી સ્પર્ધામાં ભાગ લેવા ઈચ્છુક સ્પર્ધકોને વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
તા. 19 ને શુક્રવારના રોજ એક ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ રાજચંદ્ર જ્ઞાનમંદિર ખાતે બપોરે 4-00થી 7-00 દરમિયાન આયોજિત આ સ્પર્ધામાં ઉંમર મુજબ અલગ-અલગ ત્રણ ગ્રુપો પાડીને આ સ્પર્ધા યોજાવાની છે. બાળકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ વિગેરે સમાજના તમામ વર્ગો કે જેઓ ચિત્ર બનાવવામાં રૂચિ ધરાવતા હોય તેમને આ સ્પર્ધામાં જોડાવા ટીમ જૈનમ્ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણકના દિવસે એટલે કે તા. 21 ને રવિવારના રોજ ફેડરલ બેંક બિલ્ડિંગ, ભૂપેન્દ્ર રોડ ખાતે સવારે 7-30 કલાકે બાળકોની વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. દર વખતે ખૂબ બહોળી સંખ્યામાં ઉમટી પડતાં બાળ સ્પર્ધકોમાં ખૂબ જાણીતી અને પ્રિય આ વેશભૂષા સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં રજિસ્ટ્રેશન મળી રહ્યું છે. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ બાળકોને ગિફ્ટથી નવાજવામાં આવશે. ઉપરોક્ત તમામ ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, વેશભૂષા સ્પર્ધાના વિજેતા સ્પર્ધકોને તા. 21 ને રવિવારના રોજ શ્રી સ્થાનકવાસી જૈન સંઘ, મોટા ઉપાશ્રય ખાતે આયોજિત ધર્મસભામાં ઈનામો આપવામાં આવશે. તા. 20 ને શનિવારના રોજ રાત્રે 8-00 કલાકે સ્વામિનારાયણ મંદિર, ભૂપેન્દ્ર રોડ ખાતે એનિમેટેડ મૂવી શો યોજાશે તેમ ‘ખાસ-ખબર’ કાર્યાલયની મુલાકાતે આવેલા જુગલભાઈ દોશી, ચંદ્રેશભાઈ મહેતા, ઋષભભાઈ શેઠ, કુશલભાઈ કોઠારી, મિહિરભાઈ શેઠ, કેવલભાઈ મોદી, ચંદ્રેશભાઈ મહેતા, પારસભાઈ શેઠએ જણાવ્યું હતું.