બે જજના બહિષ્કાર બાદ પણ ઉકેલ ન આવતા વકીલોમાં રોષ ફાટી નીકળ્યો : હાઇકોર્ટ સુધી પડઘા પડશે
ડિસ્ટ્રીક્ટ કોર્ટ, ફેમિલી કોર્ટ એટલું જ નહીં બાળ અદાલતની કાર્યવાહીમાં પણ એક પણ વકીલ નહીં જોડાય
- Advertisement -
ખાસ ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટમાં વકીલો અને ન્યાયતંત્ર વચ્ચે ચાલી રહેલા વિવાદે વધુ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. બે જજના બહિષ્કારનો નિર્ણય લીધા બાદ પણ પ્રશ્નોનું કોઈ નિરાકરણ ન આવતા રાજકોટ બાર એસોસિએશનના વકીલોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વકીલોએ પોતાના સ્વાભિમાનને ઠેસ પહોંચી હોવાનું જણાવી આગામી 29 જૂન, સોમવારના રોજ તમામ કોર્ટમાં એક દિવસીય હડતાલનું એલાન કર્યું છે.
રાજકોટ બાર એસોસિએશનની કારોબારી સમિતિની બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં સર્વાનુમતે ઠરાવ પસાર કરી નક્કી કરવામાં આવ્યું કે 29 જૂને ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ફેમિલી કોર્ટ તેમજ બાળ અદાલત સહિતની તમામ અદાલતોની કાર્યવાહીમાંથી શહેરના તમામ વકીલો અલીપ્ત રહેશે. પરિણામે તે દિવસે કોઈપણ કોર્ટમાં વકીલો હાજર નહીં રહે.
- Advertisement -
બાર એસોસિએશને યાદ અપાવ્યું હતું કે 18 જૂન, 2026ના રોજ યોજાયેલી જનરલ બોર્ડની બેઠકમાં બે કોર્ટના બહિષ્કારનો સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત સંબંધિત બે કોર્ટમાં ચાલતા પ્રોડક્શન તથા અન્ય કેસોનો ચાર્જ અન્ય કોર્ટને સોંપવા માટે રાજકોટના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ જજ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તેમજ યુનિટ જજને પણ લેખિત જાણ કરવામાં આવી હતી.
પરંતુ બાર એસોસિએશનના જણાવ્યા મુજબ આજદિન સુધી વકીલોના પ્રશ્નોનું કોઈ નિરાકરણ આવ્યું નથી અને સંબંધિત બંને કોર્ટનો ચાર્જ પણ અન્ય કોર્ટને સોંપવામાં આવ્યો નથી. આથી વકીલોમાં અસંતોષ વધુ વધી ગયો છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાજર સભ્યો તથા વીડિયો કોન્ફરન્સિંગ મારફતે યોજાયેલી બેઠકમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરી સર્વાનુમતે એક દિવસીય હડતાલનો નિર્ણય લેવામાં આવ્યો.
રાજકોટ બાર એસોસિએશને તમામ વકીલોને 29 જૂનના રોજ કોર્ટની કાર્યવાહીથી સંપૂર્ણપણે દૂર રહેવા અનુરોધ કર્યો છે. સાથે જ તમામ ન્યાયાધીશોને પણ વિનંતી કરવામાં આવી છે કે વકીલોની ગેરહાજરીમાં કોઈપણ કેસમાં એવો આદેશ ન કરવામાં આવે કે જેના કારણે પક્ષકારોને નુકસાન થાય. તમામ કેસોમાં યથાવત્ સ્થિતિ જાળવી રાખવા અને કોઈપણ પ્રકારના એકતરફી હુકમો ન આપવા માટે પણ ઠરાવમાં અનુરોધ કરવામાં આવ્યો છે.
વકીલોના આ એક દિવસીય બહિષ્કારને કારણે સોમવારે રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોર્ટ, ફેમિલી કોર્ટ અને બાળ અદાલતોમાં નિયમિત ન્યાયિક કામગીરી પર અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હવે વકીલોની રજૂઆતો અંગે ઉચ્ચ ન્યાયતંત્ર અને સંબંધિત સત્તાધીશો શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે.




