યાજ્ઞિક રોડ જેવા ભરચક્ક વિસ્તારમાં રાત્રે રવિવારે ફૂટપાથ પર કબ્જો: શું હપ્તારાજ ચાલુ છે? રહેવાસીઓ પર ‘ત્રાસવાદી’ જેવું પાથરણાંવાળાનું વર્તન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મનપાની જગ્યા રોકાણ શાખાને શહેરની ફૂટપાથ પર ધંધો કરતાં અનેક રેંકડીધારકો, પાથરણાંવાળાઓ દેખાતા નથી. કોઈપણ શહેરના વિસ્તારોમાં ફૂટપાથ નવી બને ત્યારે ત્યાં આવા ફૂટપાથ પર ધંધો કરનારાઓનો ખડકલા થઈ રહ્યા છે. ફૂટપાથ બનાવવાનો ઉદ્દેશ એ છે કે તેમાં શહેરીજનો ચાલી શકે અને તેમની સુરક્ષા થાય છે. શહેરના ફૂટપાથ પર ધંધો કરનારાઓમાં મોટાભાગના ખાણી-પીણીના ધંધાર્થીઓ અને રોડ પર કબ્જો કરીને ચીજવસ્તુઓ વેચનારાઓ હોય છે ત્યારે છેલ્લાં ઘણાં વખતથી દબાણ હટાવ શાખા દ્વારા રેંકડી કબ્જે કરવાનું જાણે કે બંધ જ કરી દીધું હોય તેમ લાગે છે. શું જગ્યા રોકાણ શાખાના અધિકારીઓ, કર્મચારી ગણ દ્વારા હપ્તાનું સામ્રાજ્ય જમાવી દેવામાં આવ્યું છે?
- Advertisement -
શહેરના અમુક વિસ્તારો જેવા કે યાજ્ઞિક રોડ પર ઈમ્પિરિયલ, જાગનાથ સહિતની જગ્યા પર ‘રવિવાર’ની બજાર ચાલુ કરી દેવામાં આવી છે જેને લઈને ત્યાંના રહેવાસીઓ ત્રાસી ગયા છે અને દૂર હટાવવાનું કોઈ કહે તો એવું કહે છે કે અમે 500 રૂપિયાનો હપ્તો આપીએ છીએ. લત્તાવાસીઓ દ્વારા અવારનવાર આ બાબતે રજૂઆત કરવા છતાં પણ ટ્રાફિક શાખા કે જગ્યા રોકાણ શાખા દ્વારા કડક કાર્યવાહી કરવાને બદલે માત્ર ઔપચારિક રીતે આવીને આ કામ અમારૂં નથી તેવું કહીને જતાં રહે છે ત્યારે હવે આ બાબતે શું નક્કર પગલાં ભરીને ત્યાંના રહેવાસીઓને આ ‘ત્રાસવાદી’ જેવા ફૂટપાથ પર ધંધો કરનારાઓથી છૂટકારો મળશે? તે જોવાનું રહ્યું.
વિડીયો જોવા અહીં ક્લિક કરો…