રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ
રોગચાળો અટકાવવા આરોગ્ય, પર્યાવરણ અને એનિમલ વિભાગને કડક સૂચનાઓ
- Advertisement -
ડોર-ટુ-ડોર સર્વે, ફોગિંગ, સેન્ડ ફ્લાય નિયંત્રણ અને બાળકોના આરોગ્ય પર વિશેષ ભાર
ચોમાસાની ઋતુમાં રોગચાળાના વધતા જોખમ અને ચાંદીપુરા વાયરસના સંભવિત સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા સતર્ક બની છે. મનપાના માનનીય મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને તથા નાયબ મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં તા. 23 જુલાઈ, 2026ના રોજ આરોગ્ય વિભાગ, પર્યાવરણ વિભાગ અને એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ વિભાગના અધિકારીઓ સાથે ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં શહેરમાં રોગચાળો ફેલાતો અટકાવવા માટે વિવિધ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. બેઠક દરમિયાન આરોગ્ય વિભાગને શહેરના તમામ વિસ્તારોમાં ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી વધુ સઘન બનાવવા નિર્દેશ આપવામાં આવ્યો હતો. ખાસ કરીને 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં તીવ્ર તાવ, ઉલટી, ઝાડા, સુસ્તી અથવા આંચકી જેવા લક્ષણો જણાય તો તેમને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ભાર મૂકવામાં આવ્યો હતો.
મચ્છર અને માખીજન્ય રોગોના નિયંત્રણ માટે ફોગિંગ તથા એન્ટી-લાર્વલ દવાનો છંટકાવ વધુ ઝડપી અને વ્યાપક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ચોમાસામાં મેલેરિયા, ડેન્ગ્યુ સહિતના રોગોનું જોખમ વધતું હોવાથી અસરગ્રસ્ત વિસ્તારોમાં ખાસ દેખરેખ રાખવાની સૂચનાઓ પણ આપવામાં આવી હતી. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની વહેલી તકે ઓળખ કરી શકાય અને જરૂરિયાત મુજબ દર્દીઓને તાત્કાલિક આઇસોલેશન તથા સારવાર મળી રહે તે માટે સિવિલ હોસ્પિટલ સાથે સતત સંકલન જાળવવા પણ અધિકારીઓને જણાવાયું હતું. આ ઉપરાંત, શહેરના ગમાણ અને તબેલા વિસ્તારોમાં ગંદકી દૂર કરવા તેમજ જીવજંતુઓના ઉપદ્રવને નિયંત્રિત કરવા એનિમલ ન્યૂસન્સ કંટ્રોલ વિભાગને વિશેષ ઝુંબેશ હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી.
- Advertisement -
ચાંદીપુરા વાયરસ ફેલાવવામાં મહત્વની ભૂમિકા ભજવતી સેન્ડ ફ્લાયના નિયંત્રણ માટે કાચા મકાનો, દીવાલોની તિરાડો, છિદ્રો અને ગંદકીવાળી જગ્યાઓ પર દવાનો સઘન ડસ્ટિંગ કરવાની કામગીરી તેજ કરવાની પણ સૂચના આપવામાં આવી હતી. સાથે જ નાગરિકોને પોતાના ઘરની અંદર અને બહારની દીવાલોમાં રહેલા તિરાડો તથા છિદ્રોને પુરાવી દેવાની સલાહ આપવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાએ નાગરિકોને અપીલ કરતાં જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરસથી ગભરાવાની જરૂર નથી, પરંતુ સતર્ક રહેવું અત્યંત જરૂરી છે. આ વાયરસ મુખ્યત્વે 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વધુ અસર કરતો હોવાથી જો બાળકમાં અચાનક તીવ્ર તાવ, ઝાડા-ઉલટી, ચક્કર, સુસ્તી અથવા આંચકી જેવા લક્ષણો જોવા મળે તો વિલંબ કર્યા વગર નજીકના બાળરોગ નિષ્ણાત અથવા સરકારી હોસ્પિટલમાં સારવાર લેવી જોઈએ. મનપાએ વધુમાં નાગરિકોને ઘરની આસપાસ સ્વચ્છતા જાળવવા, પાણી ભરાઈ ન રહે તેની કાળજી રાખવા, મચ્છર અને માખીના ઉપદ્રવને રોકવા તથા કોઈપણ પ્રકારના તાવમાં સ્વયં દવા લેવાનું ટાળીને તબીબી સલાહ લેવાની અપીલ કરી છે. ચોમાસાની ઋતુ દરમિયાન સાવચેતી અને સમયસરની સારવાર જ રોગચાળાથી બચવાનો સૌથી અસરકારક ઉપાય હોવાનું મનપાએ જણાવ્યું છે.




