કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
ઓગણીસમી સદીમાં અનેક પ્રયોગો થકી વિજ્ઞાનીઓએ શોધ્યું કે રોગો કોઇ ઝેરી હવાથી નહીં પણ સાવ ટચૂકડા જીવોથી થાય છે
- Advertisement -
ઋતુ બદલો થાય અર્થાત્ સિઝનલ ચેન્જ થાય એટલે નાનો મોટો રોગચાળો જોર પકડે છે.
અત્યારે સખત ગરમીમાંથી ચોમાસા તરફ ગમન થઈ રહ્યું છે એટલે ઠેર ઠેર શરદી ઉધરસ તાવના કેસિસ જોવા મળે છે.
“રોગના વાયરા” છે એવો શબ્દ આપણી ભાષામાં વાયરલ શબ્દનું દેશી કરણ છે. વાયરલનું લોકભાષામાં વાયરા કરી નાખ્યું છે…
પણ જૂના સમયમાં લોકો માનતા કે રોગો ખરેખર વાયરા એટલે કે હવાથી થાય છે. સીઝન ચેન્જ થાય એટલે હવા બદલે, હવાનું તાપમાન બદલે એટલે કથિત રીતે “ઝેરી હવા” લોકોમાં રોગ ફેલાવે એવું માનવામાં આવતું.
પરંતુ, ઓગણીસમી સદીમાં અનેક પ્રયોગો થકી વિજ્ઞાનીઓએ શોધ્યું કે રોગો કોઈ ઝેરી હવાથી નહીં પણ સાવ ટચૂકડા જીવોથી થાય છે.. એ જીવ એટલા સૂક્ષ્મ છે કે દેખાતા પણ નથી.
પશુઓ અને વનસ્પતિઓમાં આવેલ રોગોથી ગ્રસ્ત અંગોને માઈક્રોસ્કોપ નીચે તપાસતા વિજ્ઞાનીઓએ જાણયુ કે રોગગ્રસ્ત અંગમાં અમુક પ્રકારના જીવ વધારે હોય છે જે રોગનું કારણ છે.
આવો એક વિજ્ઞાની હતો લૂઈ પાસ્તુર.
ફ્રાંસનો લૂઈ પાસતુર હતો તો એક રસાયણ શાસ્ત્રી પણ એના ભાગ્યમાં રસાયણશાસ્ત્ર ને બદલે બીજા જ ક્ષેત્રમાં કીર્તિ કલદાર લખેલા હતા.
થયું એમ કે બિયર કે દૂધમાં આવતો આથો ઘણી વાર બગડી જતો જેને કારણે વ્યાપારીઓને ખૂબ નુકસાન જતું. પાસ્તુરે શોધી કાઢ્યું કે આથો ખરાબ થવા પાછળ બીજું કશું નહિ પણ અમુક સૂક્ષ્મ જીવો જવાબદાર છે. જો બિયરને થોડો ગરમ કરીને તરત ઠંડો પાડી દેવાય તો એ નુકસાનકારક સૂક્ષ્મ જીવો નાશ પામી શકે એમ હતું.
આથી એણે બિયરને થોડો ગરમ કરીને તરત ઠંડો પાડવાના પ્રયોગ આદર્યા. અને બિયરનો આથો બગડતો અટકાવ્યો.
પાસ્તુરે આવી રીતે જ દૂધને પણ અમુક તાપમાન સુધી ગરમ કરીને તરત ઠંડુ પાડવાની વિધિ વિકસાવી જેને કારણે દૂધનો સંગ્રહ શક્ય બન્યો, દૂધનો બગાડ અટક્યો.
આ ક્રિયાને પાસ્તુરના નામ પરથી કહેવાઈ: પાસ્તુરાઈઝેશન.
પાસ્તુર દ્રઢ રીતે માનતા કે રોગો સૂક્ષ્મ જીવોની અનિયંત્રિત વૃદ્ધિને કારણે થાય છે કોઈ ખરાબ હવા ને કારણે નહિ.
આ વાતને એણે અનેક પ્રયોગ કરીને સાબિત કરી.
આ જ ક્રમમાં પાસ્તુરે મરઘા ઉપર પ્રયોગ કર્યા. એમણે મરઘાને રોગોના જીવાણુ વાળું દ્રાવણ ઈન્જેકટ કર્યું અને સાબિત કરવા પ્રયાસ કર્યો કે આ મરઘા દ્રાવણમાં રોગકારક સૂક્ષ્મ જીવો હતા એને કારણે જ મરતા હતા.
પણ યોગાનુયોગ એમના સહાયકે મરઘાને થોડું જૂનું દ્રાવણ આપી દીધું.
આ દ્રાવણથી મરઘા બીમાર પડ્યા પણ મર્યા નહિ.
આ જોઈને પાસ્તુરને બહું નવાઈ લાગી. કેમકે જૂનું દ્રાવણ હતું એમાં નબળા બેક્ટેરિયા હતા. હવે ફરી એણે તાજુ દ્રાવણ બનાવીને એ જ મરઘાઓને આપ્યું.
થયું એવું કે આ મરઘા મર્યા જ નહિ!!
પાસ્તુરને છીંડું શોધતા લાધી પોળ જેવો ઘાટ થયો. એણે પછી આવા અનેક પ્રયોગ કર્યા.
છેવટે એણે શું કર્યું કે હડકવા માટે પ્રાણીઓ ઉપર પ્રયોગ શરૂ કર્યા.
એમણે સસલાઓમાં રેબીઝ એટલે કે હડકવાનો વાયરસ ઇન્જેક્ટ કરીને એ સસલાઓની કરોડ રજ્જુને અમુક દિવસો સુધી સૂકી હવામાં સૂકવી રાખી.
પછી આ કરોડરજ્જુના અંદર રહેલા વાયરસને મેળવવા માટે એણે એની અંદરના સ્નાયુને જંતુમુક્ત દ્રાવણમાં સારી રીતે મિશ્ર કર્યા.
આ મિશ્રણને જરા સ્વચ્છ કરીને એ હડકવા ગ્રસ્ત પ્રાણીઓને આપવામાં આવતા, જેના પ્રયોગ સફળ રહ્યા હતા.
હજી આ પ્રયોગ સફળ થયા ના થયા ત્યાં તો એક નવ વર્ષનો બાળક હડકાયા કૂતરાના બાઇટથી ઘવાયેલી અવસ્થામાં પાસ્તુર પાસે લાવવમાં આવ્યો.
પાસ્તુર પાસે કટોકટીની ક્ષ્ણ હતી કેમકે આ માણસના જીવનનો સવાલ હતો.
એના સહાયક ડોકટરે પસ્તુરને હિમ્મત બંધાવી અને આ ઈજાગ્રસ્ત મરણોનનમુખ છોકરાને પેલું સસલા વાળું દ્રાવણ આપવા સમજાવ્યા.
એ જોસેફ નામનાં નવ વર્ષના છોકરાને લગભગ ચૌદ ઇન્જેક્શન આપવામાં આવ્યા. (એનું પાસ્તુરે બનાવેલ સ્કેડ્યુલ ફ્રેન્ચ મ્યુઝિયમમાં આજે પણ છે )
જોસેફ હડકવા મુક્ત થયોને હમણાં છઠ્ઠી જુલાઈએ એકસો એકતાલિસ વર્ષ થયા !!
આ સફળતાએ પાસ્તુર ને એના સમકાલીન લોકોથી ખૂબ ઊંચે મૂકી દીધો..
પાસ્તુરને પાસ્તુર ઇન્સ્ટિટ્યૂટ ખોલી આપવામાં આવી. ભારતમાં પણ હડકવા ગ્રસ્ત લોકો માટે હિમાચલ પ્રદેશમાં પસ્તુર ઇન્સ્ટિટ્યૂટ છેક ઇસ 1900માં ખોલવામાં આવ્યું હતું.
આજે તો પાસ્તુરની પદ્ધતિથી વેક્સિન નથી બનતી પણ સિદ્ધાંત એ જ છે.
છતાં પાસ્તુર એક પ્રશ્નનો જવાબ કદી આપી શક્યા નહિ : જો રોગ જીવાણુઓ થી થાય તો જીવાણુ અમુક સમયે જ કેમ એક્ટિવ થાય છે??
આખી આધુનિક ચિકિત્સા પદ્ધતિ પાસ્તુર ની કીધેલી વાત ઉપર રચાયેલી છે અને ઊભી છે.
છતાં ઘણા પ્રશ્નો અનુત્તર છે.
એ પ્રશ્નોના ઉત્તર મેળવવા એ જ વિજ્ઞાન છે.




