RMCના આરોગ્ય વિભાગનો સપાટો: પહેલીવાર આટલો મોટો જથ્થો પકડાતાં ખળભળાટ
નફાખોર વેપારી 190 રૂપિયામાં પનીર ખરીદી ઊંચા ભાવે વેચતો હતો: વનસ્પતિ ઘીમાંથી પનીર બનાવાયું હોવાનું ખૂલ્યું
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના લોકો ખાવાના બહુ જ શોખીન! લોકોના મુખે ઘણી વખત સાંભળવા મળતું હોય છે અને વાત પણ સાચી છે પરંતુ અહીંના ફૂડના વેપારીઓ ગોલમાલ કરવામાં પણ માસ્ટર છે. વધુ નફો કમાવવાની લ્હાયમાં વાસી, અખાદ્ય ખોરાક શોખીનોને પધરાવી દે છે. લોકોમાં બહારનું ભોજન લેવાના વધી રહેલા ટ્રેન્ડને કારણે હોટેલ વ્યવસાયમાં દિન-પ્રતિદિન ઉછાળો આવી રહ્યો છે. બીજી બાજુ અમુક નફાખોર તત્ત્વો દ્વારા હલકી કક્ષાની ખાદ્ય સામગ્રી ધાબડીને લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં કરવામાં આવી રહ્યાનું પણ અત્યાર સુધીમાં અનેકવાર સામે આવી ચૂક્યું છે. ત્યારે ફરીવાર રાજકોટમાંથી 1600 કિલો જેટલો અખાદ્ય પનીરનો જથ્થો પકડાતાં સ્વાદશોખીનોમાં સનસનાટી મચી જવા પામી છે.
વનસ્પતિ ઘીમાંથી તૈયાર કરવામાં આવેલો પનીરનો આ જથ્થો ભાવનગરના મહુવામાં આવેલી રામકૃષ્ણ ડેરીમાંથી આવ્યો હોવાનું પ્રારંભીક તપાસમાં ખુલ્યું છે. ફૂડ શાખાએ બાતમીના આધારે શહેરના ઢેબર રોડ પર આવેલા ભાડલા પેટ્રોલપમ્પ નજીક આવેલી એક દુકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા પાડ્યા બાદ અહીંથી 1600 કિલો જેટલું અખાદ્ય પનીર મળી આવતાં અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ પછી જથ્થો મંગાવનાર વેપારીની પૂછપરછ કરવામાં આવતાં તેણે જણાવ્યું હતું કે તેણે આ જથ્થો ભાવનગર જિલ્લાના મહુવામાં આવેલા રામકૃષ્ણ ડેરીમાંથી ગતરાત્રે મંગાવ્યો હતો.
- Advertisement -
આ પનીર તેણે 190 રૂપિયે કિલોની કિંમતે મંગાવ્યા બાદ અહીંની આઠ જેટલી નામાંકિત ડેરીઓમાં ઉંચી કિંમતે વેચવાનો હતો. આ ઉપરાંત અન્ય સ્થળે પણ તેના દ્વારા આ પનીરની સપ્લાય કરવામાં આવવાની હતી. પનીરનો આ જથ્થો એક મોટા ટેમ્પોમાં ભરીને રાજકોટ આવ્યો હોવાનું ખુલ્યું છે. હાલ ફૂડ શાખાએ પનીરનો જથ્થો સીઝ કરીને બિલ સહિતના પૂરાવાની તપાસ શરૂ કરી છે.