ગુજરાતનો ખેડૂત ખેતરમાં ડોલર અને પાઉન્ડ કમાતો થાય તેવું કૃષિ કલ્યાણનું રોલ મોડેલ બનાવવું છે.
કચ્છમાં પાણી માટે પહેલા હિજરત થતી અમે પીવાનું પાણી આપ્યા પછી ખેતરમાં નર્મદાના પાણી પહોંચાડ્યા.
સૌની યોજનાથી સૌરાષ્ટ્ર-કચ્છમાં સોનાનો સુરજ ઉગશે: કચ્છ જિલ્લામાં કૃષિ વેટનરી કોલેજ બનાવાશે.
ખેડૂતોની આવક બમણી કરવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સપનાને સાકાર કરવા ગુજરાત આગળ વધી રહ્યું છે.
ગુજરાતમાં ૧૦૦ એફ.પી.ઓ બનશે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કચ્છની ધરતી પર કિસાનોનું સન્માન:
કિસાન સન્માન દિવસ નિમિત્તે કૃષિ કલ્યાણની રાજ્યવ્યાપી સેવાઓનો પ્રારંભ
- Advertisement -
કિસાન સહાય યોજના અંતર્ગત રાજ્યના વધુ ૧૪૦૦થી વધુ ગામમાં
ખેડૂતોને દિવસે વીજળી આપવાની કામગીરીનો પ્રારંભ
કચ્છમાં મુખ્યમંત્રીશ્રીના હસ્તે કિસાનોનું સન્માન અને કૃષિ કલ્યાણકારી યોજનાઓના
લાભો અને કૃષિ સાધન સહાયનું વિતરણ
કૃષિ પરિવહન યોજના અંતર્ગત ૧૪ કૃષિલક્ષી વાહનોને ફલેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતાં મુખ્યમંત્રી
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ-ભુજમાં કિસાન સન્માન દિવસના રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ગુજરાતના કૃષિકારોનું સન્માન કરતા સ્પષ્ટ જણાવ્યું કે અમારી સરકારે ખેડૂતોના કલ્યાણ માટે રાત-દિવસ કામ કર્યું છે. ૨૫ વર્ષ પહેલા અગાઉની સરકારોએ ખેડૂતને અધોગતિ તરફ ધકેલી દીધો હતો.
ખેડૂતનું કલ્યાણ અને હિત થાય અને ખેડૂતો સમૃદ્ધ બને તે માટે રાજ્ય સરકારે અથાગ પરિશ્રમ કર્યો છે તેમ જણાવીને ખેડૂતના નામે માત્ર વાતો કરનારા ખેડૂત વિરોધીઓને સ્પષ્ટ જણાવ્યું હતું કે તેઓ કાન ખોલીને સાંભળી લે કે જગતનો તાત અન્નદાતા સુખી અને સમૃદ્ધ થાય તે માટે અમે કટિબદ્ધ છીએ.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં જ્યોતિગ્રામ યોજના શરૂ કરીને ગામડાં અને ખેતીને બેઠી કરવા પાયો નાખ્યો અને અમારી સરકારે વડાપ્રધાને ચીંધેલા કૃષિ વિકાસના માર્ગે કૃષિ કલ્યાણના અનેક નિર્ણયો લઈને ખેડૂતની પ્રગતિ થાય તે દિશામાં નક્કર કામ કર્યું છે.
- Advertisement -

પાંચ વર્ષમાં રાજ્ય સરકારે કૃષિ કલ્યાણના કરેલા કાર્યો અને યોજનાઓની વિસ્તૃત માહિતી આપી મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોને ખેતીમાં રાત્રે ઉજાગરા ન કરવા પડે તે માટે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરાવીને ખેડૂતના હિતમાં એક ઐતિહાસિક પગલું લેવાયું છે. રાજ્યમાં આજથી વધુ ૧૪૦૦ ગામોમાં દિવસે વીજળી પહોંચી રહી છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે ગુજરાતના ખેડૂતમાં તાકાત રહેલી છે. તેને પાણી બિયારણ અને વીજળી મળે તો સોનુ પકાવવા જેવી ખેડૂતમાં ક્ષમતા છે તેમ ખેડૂતોને પ્રોત્સાહિત કરતા જણાવ્યું કે અગાઉ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પાણી માટે હિજરત કરવી પડતી હતી ત્યારે ખેતીમાં નર્મદાનું સિંચાઈનું પાણી અપાશે એવી કોઈને કલ્પના ન હતી. અમે છેક કચ્છના સૂકા વિસ્તારોમાં પાણી પહોંચાડીને કચ્છ અને સૌરાષ્ટ્રને પાણીદાર બનાવ્યું છે. કચ્છમાં સોનાનો સૂરજ ઊગવાનો છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે કચ્છમાં પશુપાલન અને ખેતીને ઉત્તેજન આપવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ આ તકે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કચ્છમાં કૃષિ યુનિવર્સિટીની કોલેજ અને વેટરનરી કોલેજ બનાવવામાં આવશે. કચ્છના પશુપાલનને ઉત્તેજન આપીને પશુપાલકની પણ આપણે પ્રગતિ કરવી છે.
મુખ્યમંત્રીએ ગુજરાતના ખેડૂતોની વિશાળ ક્ષમતા અને આગવી કોઠાસૂઝને સન્માનિત પ્રોત્સાહિત કરતાં જણાવ્યું હતું કે ગુજરાતના ખેડૂત ખેતરમાં ડોલર અને પાઉન્ડ પકવતો થાય અને કૃષિ પેદાશો દેશમાં અને વિદેશમાં તેની માંગ વધે વિકાસ થાય તેવું રોલ મોડલ ગુજરાતમાં પ્રસ્થાપિત કરવું છે.

છેલ્લા પાંચ વર્ષમાં સાડા પાંચ લાખ ખેતીવાડી ક્ષેત્રે કનેક્શન આપવામાં આવ્યા છે. ૧૯ હજાર કરોડના ખર્ચે ખેડૂતોની ખેત પેદાશો ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી છે. પહેલા ખેડૂત દેવાદાર હતો. ઊંચા વ્યાજે લોન લેવી પડતી હતી. સરકારે ઝીરો ટકા વ્યાજે લોન આપીને સાત પગલાં ખેડૂત કલ્યાણના સહિત અનેક યોજના લાવીને ખેડૂતને વિકાસની મુખ્યધારામાં જોડવા સેવાયજ્ઞ કર્યો છે.
કૃષિ કલ્યાણ માટે રૂપિયા 9 હજાર કરોડના કૃષિલક્ષી પેકેજ આપવામાં આવ્યા છે એમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ મૂલ્યવર્ધિત ખેતી અને પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે રાજ્ય સરકારની કૃષિલક્ષી યોજનાઓનો ખેડૂતોને લાભ લેવાનું જણાવીને ગુજરાતનો ખેડૂત વિશ્વની બજારમાં ઊભો રહે અને ક્યાંય પાછો ના પડે તે માટે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં પ૧ એફ.પી.ઓ બનાવવાની યોજના ગુજરાતમાં આગળ વધી રહી છે, અત્યાર સુધીમાં ૫૧ એફ.પી.ઓ બની ગયા છે અને ૧૦૦ એફ.પી.ઓ બનાવવાનું સરકારનું આયોજન છે તેમ જણાવ્યું હતું.

આ પ્રસંગે કૃષિ મંત્રી આર.સી.ફળદુ એ જણાવ્યું હતું કે રાજય સરકારે સતત પાંચ વર્ષ સુધી જનસેવા અને ખેડૂતોના કલ્યાણ માટે કામ કર્યું છે. ખેડૂતોના પાકને નુકસાન ન થાય તે માટે કાંટાળી વાડની યોજના અમલમાં મૂકીને ખેડૂતોની ચિંતા દૂર કરી છે. વીજ વિતરણ વ્યવસ્થામાં ખેડૂતો માટે પાંચ વર્ષમાં ૨૯ હજાર કરોડથી વધુ સબસિડી આપવામાં આવી છે. ખાતરમાં ૧૯ હજાર કરોડથી વધુ અને યાંત્રીકરણ ટ્રેક્ટર માટે ૬૨૫ કરોડની સહાય આપવામાં આવી છે.
મુખ્યમંત્રીશ્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સમગ્ર રાજ્યના ૧૨૦ સ્થળોએ કૃષિ સન્માન દિવસના કાર્યક્રમોમાં ૪૩ કરોડથી વધુ રકમના કૃષિ લક્ષી લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ૧૪૦૦થી વધુ ગામોમાં કિસાન સૂર્યોદય યોજનાનો કચ્છ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. કચ્છના ભુજમાં વરસાણી હાઇસ્કૂલના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં સરદાર પટેલ એવોર્ડ વિજેતા ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું .સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત વિવિધ યોજનાઓના લાભાર્થી ખેડૂતોને સહાય અને કૃષિ ઓજારોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કૃષિ પરિવહન યોજના અંતર્ગત કૃષિકારોના ૧૪ વાહનો લીલીઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. મુખ્યમંત્રીએ હસ્તે જૈવિક પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોની સાફલ્યગાથા રજૂ કરતાં પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું. બીજ નિગમના ખેડૂતો માટેના સાત ગોડાઉનોનું મુખ્યમંત્રી હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

કૃષિ અને ઉર્જા વિભાગ આયોજીત આ કાર્યક્રમમાં અગ્ર સચિવ શ્રીમતી મમતા વર્માએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, નીમાબેન આચાર્ય, જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા, ભાજપ પ્રમુખ કેશુભાઇ પટેલ, નગરપાલિકાના પ્રમુખ ઘનશ્યામભાઈ ઠક્કર. મુખ્ય સચિવ અનિલ મુકીમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, કૃષિ વિભાગના સચિવ મનીષ ભારદ્વાજ, રાજીવ ગુપ્તા, પીજીવીસીએલના ધીમંતકુમાર વ્યાસ અને ખેતીવાડી નિયામક બી. એમ .મોદી, વરિષ્ઠ અધિકારીઓ ઉપરાંત કલેકટર પ્રવિણા ડી.કે., ડીડીઓ સહિતના અધિકારીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા

૦૫ ઓગસ્ટ-ર૦ર૧ સમાચાર સંખ્યા ૮૫૭
પાંચ વર્ષ આપણી સરકારના:-
પાંચ વર્ષ સૌના સાથના, સૌના વિકાસના : કિસાન સન્માન દિવસ
દેત્રોજ તાલુકામાં કિસાનોના સન્માનમાં “કિસાન સૂર્યોદય યોજના”નો
પ્રારંભ કરાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ
કિસાન સૂર્યોદય યોજના” ખેડૂતો ને “દિવસે વીજળી” અને રાત્રે
નીરાતની નીંદર આપશે :- નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ
:-નાયબ મુખ્યમંત્રી:-
સંવેદનશીલ ગુજરાત સરકારે “જગતના તાત” પ્રત્યે હંમેશા સંવેદનશીલતા દર્શાવી છે: ખેડૂત હિતલક્ષી અનેકવિધ સહાય હાથ ધરી છે
અગાઉની સરકાર માં પાયમાલ બનતો ખેડૂત અત્યારની સરકારમાં સુખી સંપન્ન થયો છે
વિવિધ સરકારી સહાયથી ગુજરાતના ખેડૂતનો સર્વાંગી વિકાસ થયો છે
દેત્રોજ તાલુકા એ ખૂબ જ ટૂંકા ગાળામાં વિકાસની હરણફાળ ભરી છે
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે અમદાવાદના દેત્રોજ સ્થિત “કિસાન સમ્માન દિવસ” કાર્યક્રમમા કહ્યું હતું કે, રાજ્યભરમાં કિસાન સુર્યોદય યોજનાના અસરકારક અમલીકરણ થી ખેડૂતને “નિરાંતની નીંદર” મળશે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં આ યોજનાના અસરકારક અમલીકરણ બાદ આજે દેત્રોજ તાલુકાના ૩૦ જેટલા ગામોના ખેડૂતોને આ યોજના થકી ખેતી અને સિંચાઈ માટે દિવસે પણ વીજળી ઉપલબ્ધ થનાર છે જે એક ઐતિહાસિક ક્ષણ છે. આ યોજના દેત્રોજ તાલુકાને જ નહીં રાજ્યના તમામ ખેડૂતો,જગત ના તાતની સુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે વ્યક્ત કર્યો હતો.

ગુજરાતના ખેડૂતોનો દાયકાઓથીજે પ્રશ્ન સતાવતો હતો તેની ચિંતા ગુજરાતની સંવેદનશીલ સરકારે કરી છે તેમ જણાવી નાયબ મુખ્ય મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ખેડૂતોની સુખાકારી માટે જનહિત લક્ષી નિર્ણય કરી તેમને દિવસે પણ વિજળી પ્રાપ્ત થાય તે માટેની “કિસાન સૂર્યોદય યોજના” કાર્યરત કરીને રાજ્ય સરકારે ખેડૂતોના હિત માટે પોતાની કટિબદ્ધતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અગાઉની સરકારના સમયમાં ખેડૂતોને રાત્રી દરમિયાન ઉજાગરા કરીને ખેતી કરવા જવું પડતું હતું.જે જોખમ ભરેલું હતું. જેની ચિંતા રાજ્ય સરકારે કરીને રાજ્યમાં “કિસાન સૂર્યોદય યોજના” અમલી બનાવી છે.
તેમણે ઉમેર્યુ કે,આઠ થી નવ હજાર કરોડના ખર્ચ મંજુર કરીને જી.ઈ.બી.ના સહયોગથી ખેડૂતોને દિવસ દરમિયાન પણ ખેતી માટે વીજળી મળી રહે તેવું તબક્કાવાર આયોજન રાજ્ય સરકારે હાથ ધર્યું છે. જેના ભાગરૂપે અમદાવાદમાં પણ તબક્કાવાર કિસાન સૂર્યોદય યોજનાની અમલવારી શરૂ થવા જઈ રહી છે. રાત્રી ઉપરાંત દિવસ દરમિયાન પણ ખેતી માટે હાઇવોલ્ટેજ સહિત વીજળી ઉપલબ્ધ થાય તે માટે ફીડર બદલવાની આવશ્યકતા રહે છે જેના ઉપલક્ષ્યે આ યોજનાની અમલવારી રાજ્યમાં તબક્કાવાર થઈ રહી છે.
નાયબ મુખ્યમંત્રીએ કહ્યુ કે, “કિસાન સૂર્યોદય યોજના”ના અમલીકરણ થી રાજ્યમાં ખેડૂતોને દિવસ દરમિયાન વીજળી ઉપલબ્ધ કરાવતું સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. જે ગુજરાત સરકારની સંવેદનશીલતાની પ્રતિતિ કરાવે છે. ખેડૂતોને વીજળી જ નહીં વિવિધ કૃષિ લક્ષી સહાય આપીને રાજ્ય સરકાર જગતના તાત ના પ્રશ્નોના હર હંમેશ નિરાકરણ લાવ્યા છે.

આજે ગુજરાતના ખેડૂતોનો સન્માન દિવસ છે ત્યારે તે જણાવવું જરૂરી છે કે , રાજ્યની સંવેદનશીલ સરકારે ગુજરાતના ખેડૂતોના હિતને હંમેશાથી પ્રાથમિકતા આપી છે. રાજ્ય સરકારે ખેડૂતો ગ્રામજનોની ચિંતા કરીને નર્મદા યોજના દ્વારા કચ્છ સુધી તેમજ ૩૫૦ કિ.મીની કેનાલ દ્વારા સુજલામ સુફલામ યોજના થકી ઉત્તર ગુજરાતના ગામે-ગામ પાણી પહોંચતું કર્યું છે.જેનાથી આજે ગુજરાત ૧૮ લાખ હેકટર જમીનમાં સિંચાઇ થઈ રહી છે જે રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજના કાર્યાન્વિત કરીને ગામેગામ પહોંચાડેલ પાણી ની સુવિધાને આભારી છે.
રાજ્યના ખેડૂતનો પાક નિષ્ફળ જતા તેના વળતર રૂપ સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે રાજ્યના ખેડૂતોના ઉત્પાદનને સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા સબસીડી અપાય છે. ખેત ઉત્પાદનોને ટેકાના ભાવ નક્કી કરીને ખેડૂતોને આર્થિક સ્તર પર લાવવાના પ્રયાસો કરવામાં આવ્યા છે.
ખેડૂત જગતનો તાત છે અગાઉની સરકારના સમયમાં ખેડૂતોએ ઘણા સંઘર્ષ કર્યા છે પોતાના હક માટે ઘણા આંદોલન કર્યા છે જેમાં ઘણા ખેડૂતો શહિદ પણ થયા છે તેમ જણાવી નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે,છેલ્લા ૨૫ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકારે ખેડૂતોના હિતલક્ષી અનેકવિધ નિર્ણય કરીને પગલાં ભરીને ખેડૂતનો સંઘર્ષ અટકાવ્યો છે.અગાઉની સરકારમાં પાયમાલ બનતા ખેડૂત આજે આર્થિક રીતે સજ્જ અને સુખી સંપન્ન જ નહીં પરંતુ આત્મનિર્ભર પણ બન્યા છે.

તેમણે ઉમેર્યુ કે, તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દૂરંદેશી વિચાર ના પરિણામ સ્વરૂપ તેમના કાર્યકાળમાં જ્યોર્તિગ્રામ યોજના દ્વારા રાજ્યના ગામે ગામ વીજળી પહોંચાડવાનું કાર્ય સફળતાપૂર્વક હાથ ધરાયું હતું જેના પરિણામ સ્વરૂપ આજે ગામમાં ૬૦ થી ૭૦ હોર્સ પાવર વીજકનેકશન ઉપલબ્ધ થયા છે જેનાથી ગામનો ખેડૂત સુખી અને સંપન્ન બન્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતોની વર્ષ ૨૦૨૨ સુધીમાં આવક બમણી કરવાનો નિર્ધાર કર્યો છે જે સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સમયસર પાણી વીજળી ખેતી માટે ઉપયોગી બિયારણ અને અદ્યતન સાધનો સહિત ની સહાય પૂરી પાડીને રાજય સરકાર તેમાં મદદરૂપ બની રહી છે. એટલું જ નહીં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના ઉત્પાદનો અને બજારમાં કિંમત મળે સારા ભાવ મળે ટેકાના ભાવ મળે તે પ્રમાણેનૂ આયોજન પણ કરવામાં આવ્યું છે.
જય જવાન જય કિસાન અને પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલબિહારી બાજપાઈજી એ આપેલા જય વિજ્ઞાનના સૂત્રને ખરા

અર્થમાં ગુજરાત સરકાર દ્વારા ચરિતાર્થ કરવામાં આવી રહ્યું છે.આ પ્રસંગે મંત્રીશ્રીએ કડી વિધાનસભાથી ધારાસભ્ય તરીકેના કાર્યકાળ સમયથી દેત્રોજ તાલુકાના તબક્કાવાર વિકાસના સાક્ષી રહ્યા હોવાનું જણાવ્યુ હતું.
તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ હેઠળની સરકારે આરંભેલી ગ્રામ્ય વિકાસની મુહિમને આજે વિજયભાઈ રૂપાણીના નેતૃત્વ હેઠળની સંવેદનશીલ સરકાર આગળ ધપાવી રહી છે એમ તેમણે કહ્યું હતું.
દેત્રોજ તાલુકાએ ખૂબ જ ટૂંકા સમયગાળામાં વિકાસશીલ તાલુકા થી વિકસિત તાલુકા તરીકેની હરણફાળ ભરી છે તેમ જણાવી આજે દેત્રોજ તાલુકાના ગામોમાં રસ્તા ,વીજળી, પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતો સાથે અત્યાધુનિક સુવિધાઓ પણ સજ્જ થઈ છે તેમ તેમણે ઉમેર્યું હતું.
“કિસાન સન્માન દિન”ના પવિત્ર અવસરે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે દેત્રોજ તાલુકાના સ્વ.કાંતિભાઈ રાવ, ભાઈલાલ કાકા અને જગદીશ ભાઈ જેવા સામાજિક અગ્રણીઓના યોગદાનને પણ યાદ કર્યા હતા.
“કિસાન સમ્માન દિવસ” કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી એ દેત્રોજ તાલુકાના ખેડૂતોને કૃષિલક્ષી સાધન સહાય,ટૂલ કીટ સહાય જેવી વિવિધ સહાય થી લાભાન્વિત કર્યા હતા.
નાયબ મુખ્યમંત્રી એ કિસાન પરિવહન હેઠળ ખેડૂતને મળેલ પરિવહન સહાયનું પણ ફ્લેગ ઓફ કર્યું હતું
દેત્રોજ તાલુકાના કિસાન સન્માન દિવસ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ પ્રમુખ હર્ષદગીરી ગોસાઇ, જિલ્લા પંચાયત ચેરમેન વિનોદભાઈ, જિલ્લા કલેકટર સંદીપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલીયા,યુ.જી.વી.સી.એલ. ના મુખ્ય ઈજનેર પી.વી. પંડ્યા, પૂર્વ ધારાસભ્ય સર્વ વજુભાઈ ડોડિયા અને તેજસ્વી બેન પટેલ, દેત્રોજ તાલુકા પ્રમુખશ્રી, મામલતદાર સહિત જિલ્લાના અગ્રણીઓ અને ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.



