-ડો.આંબેડકર જયંતીએ અમદાવાદમાં સમાજ શકિત સંગમ કાર્યક્રમમાં સંઘવડાનું 15 હજારથી વધુ સ્વયંસેવકોને સંબોધન
આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવતે પ્રથમ વખત હેટ સ્પીચ અંગે આડકતરી સલાહ આપતા બધા દેશવાસીઓ પ્રત્યે મનમાં સદભાવના રાખવા અને કટુભાષાનો પ્રયોગ ન કરવો સંઘના સ્વયંસેવકોને ખાસ શીખ આપી હતી તથા એ પણ જણાવ્યું કે વિશ્વમાં તમામ પ્રકારના શાસન અને વિચારધારાના પ્રયોગો થયા છે પરંતુ તેમાં દરેકમાં કંઇને કંઇ ક્ષતિ આવી છે તેથી તેમાં તમામ પ્રયોગોથી થાકેલી દુનિયા હવે ભારત નજર કરે છે. ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી 2024ની લોકસભા ચૂંટણી પૂર્વેના એક સૌથી મોટા આયોજનમાં રાષ્ટ્રીય સ્વયંસેવકના વડા મોહન ભાગવતની ઉપસ્થિતમાં ગઇકાલે આંબેડકર જયંતીએ સમાજ શકિત સંગમ કાર્યક્રમમાં હજારો સ્વયંસેવકોને સંબોધન કર્યુ હતું.
- Advertisement -
સંઘવડાએ જણાવ્યું કે જ્ઞાતિ, જાતિના ભેદભાવને દુર કરી દેશને આગળ લઇ જવા માટે સબળ અને શકિતશાળી સમાજની જરૂર છે તેમણે ફરી એક વખત ભારતીયોના ડીએનએ એકસમાન હોવાનું જણાવ્યું હતું અને ઉમેર્યુ કે ભારતમાં વિશ્વગુરૂ બનવાની શકિત ધરાવે છે. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં 15 હજારથી વધુ સ્વયંસેવકોના સંબોધન સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તથા મંત્રીમંડળના સભ્યો પણ હાજર હતા. ભાગવતે કહ્યું કે દેશ ફકત ભુગોળ નથી આપણે ભારતને પ્રાંત અને જાતિમાં બતાવીએ છીએ આ વિવિધતા એ આપણી સંસ્કૃતિ બની રહેવી જોઇએ તે આપણી ચિંતા બની ગઇ છે સૌપ્રથમ એ ભેદભાવને દુર કરવાની જરૂર છે. ભાગવતે એમ પણ કહ્યું કે દેશમાં પશ્ચીમ અને ઉતર સીમા પર સંકટ છે
આપણે નિશ્ચીતતાથી સુઇ શકીએ તેટલા સુરક્ષીત પણ નથી અને આપણા માટે સૈન્યના જવાનોએ જાગવું પડે છે. દેશની કીર્તિને લાંછન લગાડવાનું કામ કેટલી શકિતઓ કરી રહી છે તો બીજી તરફ દેશની જનતામાં દેશભકિતનો સંચાર થવા લાગ્યો છે. પરંતુ આપણે ઘણુ આગળ વધવાનું છે. ગરીબી હજુ હટી નથી. દુનિયામાં જે રીતે પરિસ્થિતિ બની રહી છે તેમાં સાનુકુળ થવું પડશે. સંઘ અને સમાજની વાત કરતા ડો.ભાગવતે કહ્યું કે કોઇ એક પાર્ટી કે કોઇ અવતાર કે કોઇ મહાપુરૂષ દેશથી મોટો હોઇ શકે નહીં. જો એવું હોત તો બસ્સો વર્ષમાં સમગ્ર વિશ્વમાં થયા તેના કરતા વધુ મહાપુરૂષો ભારતમાં સર્જાયા છે. પરંતુ પ્રજા તંત્રમાં પ્રજા રાજા હોય છે અને રાજાને રાજા બનાવવાની સતા પણ પ્રજાને હોય છે.
આઠ વર્ષ બાદ પ્રથમ વખત સંઘવડાનું ગુજરાતમાં જાહેર સંબોધન : મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ હાજર
ગઇકાલે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આરએસએસ સરસંઘચાલક મોહન ભાગવતનું સંબોધન એ ગુજરાતમાં આઠ વર્ષ પછી સંઘના વડાનું પ્રથમ જાહેર સંબોધન બની રહ્યું હતું અને સૌથી ઉલ્લેખનીય છે કે તેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ઉપરાંત તેમના મંત્રીમંડળના મોટા ભાગના સભ્યો અને ભાજપ સંગઠન તથા સરકાર સાથે જોડાયેલા લોકો પણ હાજર હતા.