સંસ્કૃતિ-પરંપરાને જાળવતી પ્રાચીન ગરબીના જોકર અને બંદરના મનોરંજન સાથે ભવ્ય આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં ઘણી પ્રાચીન ગરબીઓ થાય છે, પરંતુ સૌથી વધુ પ્રચલિત રામનાથપરામાં યોજાતી આશરે 126 વર્ષથી વધુ પુરાણી ગરૂડ ગરબી છે.રાજકોટના છેવાડો ગણાતા રામનાથપરા વિસ્તારમાં માતાજી અંબા માંનો ગઢ છે. પહેલા ગઢ પર સિપાહીઓ રાજકોટની રખેવારી કરવા બેસતા ત્યા માં અંબાની સ્થાપના કરવામાં આવેલી હતી. ત્યારથી ગરબી રમાડવામાં આવે છે. અગાઉના સમયમાં ફાનસ લઈને ગરબી રમાડવામાં આવતી હતી.
વર્ષ 1947માં સુંદરભાઈ નામના એક કારીગરે લાકડાનું એક ગરૂડ બનાવ્યું હતું, જે ત્યારથી લઈ આજ સુધી છે. પહેલા ફક્ત ભગવાનના પાત્રો બનેલા પાત્રોને ગરૂડમાંથી નીચે ઉતારવામાં આવતા હતા. ત્યારબાદ ગરબીની બાળાઓને અને હવે દર્શને આવેલા બાળકોને ઉતારવામાં આવે છે.
રામનાથપરામાં જય અંબે ગરબી મંડળ(ગરૂડ ગરબી) દ્વારા સમગ્ર ગરબીનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ કાલથી શરૂ થતા નવલો નોરતાની તૈયારીના ભાગરૂપે વિશેષ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેમજ માતાજીના ગઢને અને ગરૂડને પણ વાઘાથી શણગારવામાં આવ્યો છે. સાથે આખા રોડ પર લાઇટિંગ ડેકોરેશન અને ભગવા ધજા-પતાકાથી ડેકોરેશન કરવામાં આવશે. ગરૂડ ગરબીમાં ગરબીની 37 બાળાઓ સૌપ્રથમ સ્વાગતમાં માં-અંબા જોગણી સ્વરૂપ ગરૂડમાંથી ઉતરશે અને રાસ-ગરબાની શરૂઆત કરશે. આ ગરબીમાં રાસ હુડો રાસ, નડિયાદી ફુદેડી રાસ, ત્રિશૂલ રાસ,મશાલ રાસ, સ્ટેચુય રાસ, ઘુમટા રાસ અને સિંધી રાસ ખુબ પ્રચલિત છે. આ વર્ષે સર્વપ્રથમ વખત શ્રી બહુચરાજી રાસ અને શ્રી રાંદલ માતાજીનો રાસ કરવામાં આવશે.
તેમજ માતાજીના ગરબાના પ્રખ્યાત ગાયકોમાં રતિભાઈ ગમારા તેમજ કિશોરગીરી ગોસ્વામી પ્રાચીન ગરબા ગાયને વાતાવરણને ધાર્મિકમય બનાવે છે અને તબલા વાદકોમાં અશોકભાઈ ઢોલી, સુર અને તાલની કલા પાથરી માતાજીના ગરબા સંભળાવી પ્રેક્ષકોને મંત્ર મુગ્ધ કરે છે. જાણે સાક્ષાત નવ જોગણીયો ચોકમાં રાસ લેતી હોય તેવુ વાતાવરણ ભક્તિમય બની જાય છે. તેમજ અમારા જોકર તેમજ બંદરો લોકો વચ્ચે છવાયેલા રહીને ભૂલકાઓથી લઈને વડીલો દરેકને પોતાનુ મનોરંજન પુરું પાડે છે, તેમજ હનુમાનજી, મહાદેવ જેવા જીવંત પાત્રો જોવા મળે છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા જય અંબે ગરબી મંડળ(ગરૂડ ગરબી)ના કાર્યકર્તાઓ જહેમત ઉઠાવી રહ્યા છે.તો આવી પ્રાચીન ગરબીના રાસ નિહારવા તેમજ ગઢવારી માં અંબાના દર્શન કરવાને આપના બાળકોને ગરૂડની સવારી કરાવવા તેમજ પધારવા જય અંબે ગરબીમંડળ હાર્દિક નિમંત્રણ પાઠવે છે.