આદ્યશક્તિની આરાધના, સુરોની સાધના, રાષ્ટ્રભક્તિના રંગના ત્રિવેણી સંગમ સાથે કાલથી પ્રારંભ થશે
સમાજ શ્રેષ્ઠીઓ, આગેવાનો, મહાનુભાવો, દાતાઓના હસ્તે ગ્રાન્ડ ઓપનીંગ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
નવરાત્રીને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે જૈનો માટે જૈનો દ્વારા સતત છઠ્ઠા વર્ષે યોજાવા જઇ રહેલ જૈનમ-કામદાર નવરાત્રી મહોત્સવ-2023 પોતાના પરંપરાગત સ્થળ ખાતે નવરાત્રીનું જાજરમાન આયોજન કરવા જઇ રહ્યું છે. તમામ કામગીરીને ફાઇનલ ટચ અપાઇ ચૂક્યો છે. જાણીતા આગેવાનોની હાજરીમાં આવતીકાલે તા. 15ના રોજ રાત્રે આ રાસોત્સવનો પ્રારંભ કરવામાં આવશે.
દર વર્ષ કરતા કંઇક નોખું-અનોખું આપવા જઇ રહેલ જૈનમ નવરાત્રીમાં રમવા માટે ખેલૈયાઓ થનગની રહ્યા છે. આ વર્ષે દરેક ખેલૈયાઓને સાથે દર્શકોને પણ જૈનમનું આ આયોજન ખુબ પસંદ પડશે અને બધા મન મૂકીને આ ઉત્સવને માણશે તેવી આયોજક ટીમની નેમ છે.
આ વર્ષે પણ આખા ગ્રાઉન્ડમાં કાર્પેટીંગ સાથે તમામ ખેલૈયાઓ મોકળાશ ભેર રમી શકે તેવી સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. ઉંમર વાઇઝ અલગ-અલગ ગ્રુપ પાડીને તમામ ખેલૈયાઓ પોતાની રમત દ્વારા, ડ્રેસીંગ દ્વારા અવનવા ઇનામો જીતી શકે તેવી તક આપવામાં આવશે. અદ્યતન એક લાખ વોટની ડિઝીટલ સાઉન્ડ સિસ્ટમ દ્વારા ખેલૈયાઓ ધરા ધ્રુજાવવા થનગની રહ્યા છે. નવરાત્રીના નવેય દિવસ અલગ-અલગ નિર્ણાયકો દ્વારા ખેલૈયાઓને રમત, હાવભાવ, ડ્રેસીંગ, કલરનું સંયોજન, ગ્રુપ વગેરે જેવા પાસાઓને ધ્યાનમાં રાખીને મુલ્યાંકન દ્વારા રોજેરોજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિજેતા ખેલાડીઓને ઇનામોથી નવાજવામાં આવશે. રોજ સમયસર આવનાર પહેલા મર્યાદીત સંખ્યામાં ફિમેલ ખેલૈયાઓને રોજેરોજ અલગ-અલગ મહેંદી, બિન્દી, નેઇલ આર્ટ વિગેરે બીના શાહ, રીના કામદાર, પ્રિયંકા શાહ, મૈત્રી મહેતા, રાજુલ શાહ, ઋત્વી શેઠના સહયોગથી નિ:શુલ્ક કરી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર પંકજભાઇ ભટ્ટ તથા તેમના મ્યુઝિક એરેન્જર સહિતના સાજીંદાઓની
ટીમ દ્વારા ખેલૈયાઓને ઘેલું લગાડવામાં આવશે.
આ વખતે ગાયકોની સંખ્યામાં પણ વધારો કરી અલગ-અલગ પ્રકારની પ્રતિભા ધરાવતા ગાયકો અમદાવાદના વિશાલ પંચાલ, પરાગી પારેખ, રાજકોટના પ્રદિપ ઠક્કર, નમ્રતા ગોસલીયા સહિતની ટીમ દ્વારા અવનવા હિન્દી, ગુજરાતી, સાહિત્યીક, રાષ્ટ્રભક્તિ સભર ગીતોનો ગુલદસ્તો દર્શકો સમક્ષ ખુલ્લો મુકાશે. અદ્યતન લાઇટીંગ ઇફેક્ટ દ્વારા માહોલને તહેવારમય બનાવવામાં આવશે. આ ઉપરાંત રોજેરોજ વંદે માતરમ સહિતના દેશ ભક્તિના ગીતો ઉપર ખેલૈયાઓને ઝુમાવી શક્તિની સાથે રાષ્ટ્રભક્તિનો પણ માહોલ બનાવવામાં આવે છે. સરકારની ગાઇડલાઇન અનુસાર હાલમાં જોવા મળી રહેલ નાની ઉંમરના લોકોમાં થતા હદય સંબંધિત બનાવ વખતે કે ખેલૈયાઓમાંથી કોઇને ચક્કર આવી જવા, મોચ આવી જવી, લાગવાથી ઇજા થવી જેવા બનાવ વખતે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે ખાસ સુવિધા ઉભી કરી આઇ.સી.યુ. મિની મોડડ્યુલ સ્વરૂપે એક મિની હોસ્પિટલ ઉભી કરવામાં આવી છે. તેમજ કોઇ પણ ઇમરજન્સી માટે એક એમ્બ્યુલન્સ સતત હાજર રહેશે.
છેલ્લા અનેક મહિનાઓથી જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસા સહિતના કમિટી મેમ્બરોની તનતોડ મહેનત અને તન-મન-ધનથી ઉઠાવેલી જહેમતના નીચોડ રૂપે જૈનમ ઝીરો ડીફેક્ટ નવરાત્રી મહોત્સવ આપવા જઇ રહ્યું છે. આ વખતે સીઝન પાસ મર્યાદીત સંખ્યામાં આપવાના હોય વહેલું બુકિંગ બંધ કરી દેવાતા અનેક લોકો સીઝન પાસથી વંચિત રહી ગયા હોય તેઓની લાગણીને માન આપીને જૈન ખેલૈયાઓ માટે ડેઇલી પાસ નવરાત્રી મહોત્સવમાં સ્થળ ખાતે આવેલ કાર્યાલયથી મળી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જૈન ઉપરાંત જૈનેતરો પણ આ રાસોત્સવને જોવા માટે આવી શકે છે. જે માટે વ્યુઅર ગેલેરી સીટીંગ એરેન્જમેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે. જેના પાસ પણ આ કાર્યાલય ખાતેથી મળી શકશે.
આવતીકાલે પ્રથમ નોરતે અગ્રણીઓ, મુંબઇ સ્થિત જૈન શ્રેષ્ઠી મનિષભાઇ કામાણી તથા તેમના ધર્મપત્ની સોનલબેન કામાણી, રોલેક્ષ રીંગના મનિષભાઇ મદેકા, રાસોત્સવના ટાઇટલ સ્પોન્સર દામીનીબેન કામદાર, જૈન શ્રેષ્ઠીઓ જીતુભાઇ બેનાણી, ચંદ્રકાન્તભાઇ શેઠ, જાણીતા બિલ્ડર નૈમિષભાઇ મહેતા, જનિષ અજમેરા, મોર્ડન ગ્રુપના મુકેશભાઇ દોશી, જે.એસ.જી. ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ મનિષભાઇ દોશી, જાણીતા ઉદ્યોગપતિ દર્શનભાઇ શાહ, વિરભાઇ ખારા, જાણીતા ધારાશાસ્ત્રી અનીલભાઇ દેસાઇ, જે.એમ.જે. ગ્રુપના મયુરસિંહ જાડેજા, ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન જૈમીનભાઇ ઠાકર, ગોંડલ નવાગઢ સ્થાનકવાસી જૈન સંઘના પ્રમુખ પ્રવિણભાઇ કોઠારી, મયુરભાઇ શાહના કરકમલો દ્વારા આ રાસોત્સવનો પ્રારંભ કરવામાં આવશે. આ તકે તમામ ઉદ્ઘાટકોનું અદકેરુ સ્વાગત અભિવાદન કરવામાં આવશે.