હયાતીની ખરાઈ માટે હવે કચેરીએ ધક્કા નહીં ખાવા પડે
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેના નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનર્સની સુવિધામાં વધારો કરતો મહત્વપૂર્ણ નિર્ણય
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તેના નિવૃત્ત કર્મચારીઓ અને પેન્શનર્સની સુવિધામાં વધારો કરતો એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પેન્શન મેળવવાનું ચાલુ રાખવા માટે દર વર્ષે કરાવવી પડતી હયાતીની ખરાઈની પ્રક્રિયાને હવે સંપૂર્ણપણે ડિજિટલ અને પેપરલેસ બનાવી દેવામાં આવી છે. મનપા દ્વારા પ્રથમ વખત જીવન પ્રમાણ પોર્ટલ મારફતે ઓનલાઈન હયાતીની ખરાઈ કરવાની આધુનિક વ્યવસ્થા અમલમાં મૂકાઈ છે. આ નવી ડિજિટલ વ્યવસ્થાના અમલીકરણથી રાજકોટ મહાનગરપાલિકાના હજારો પેન્શનર્સને મોટી રાહત મળશે. હવે તેમણે હયાતીની ખરાઈ કરાવવા માટે મહાનગરપાલિકાની કચેરીએ રૂબરૂ ધક્કા ખાવાની કે લાંબી લાઈનોમાં ઊભા રહેવાની કોઈ જરૂર રહેશે નહીં. મનપાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પેન્શનર્સ પોતાના આધાર વિગતો, મોબાઇલ નંબર તથા બાયોમેટ્રિક ઓળખ (ફિંગરપ્રિન્ટ અથવા આઈરીસ સ્કેન) ના આધારે નીચે મુજબના માધ્યમોથી ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) જનરેટ કરાવી શકશે. પેન્શનર્સ દ્વારા ઓનલાઈન જનરેટ કરવામાં આવેલું આ ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સીધું ઓનલાઈન સિસ્ટમ મારફતે મેળવીને વેરિફાય કરી લેવામાં આવશે. આ નવી ટેકનોલોજી આધારિત વ્યવસ્થાથી પેન્શન ચૂકવણીની સમગ્ર પ્રક્રિયા વધુ ઝડપી, સરળ અને પારદર્શક બનશે, તેમજ વહીવટી વિલંબ અટકશે. રાજકોટ મહાનગરપાલિકા તંત્ર દ્વારા તમામ પેન્શનર્સને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ નવી ઓનલાઈન સુવિધાનો મહત્તમ લાભ લે અને સમયસર પોતાની હયાતીની ખરાઈ કરાવી લે, જેથી બેંક કે સરકારી કચેરીઓના અનાવશ્યક ધક્કા અને પરેશાનીથી બચી શકાય.




