આઈટી ક્ષેત્રની અગ્રણી કંપની કોગ્નિઝન્ટમાં મોટા પાયે છટણી (Layoff)ની તૈયારીઓ ચાલી રહી છે. રિપોર્ટ્સ અનુસાર, આ વખતે 15,000થી વધુ કર્મચારીઓની નોકરી પર જોખમ તોળાઈ રહ્યું છે અને તેની સૌથી વધુ અસર ભારત પર જોવા મળી શકે છે. ઓરેકલ અને એમેઝોન પછી આ વર્ષની આ સૌથી મોટી છટણી ગણવામાં આવી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, કંપનીમાં કુલ 3,57,000થી વધુ વૈશ્વિક કર્મચારીઓ છે, જેમાં ભારતનો હિસ્સો ઘણો મોટો છે.
પગાર અને વળતરના અંદાજ પરથી છટણીના સંકેત
- Advertisement -
કંપનીએ અગાઉ જ એવા સંકેત આપ્યા હતા કે છટણીની પ્રક્રિયા દરમિયાન અસરગ્રસ્ત કર્મચારીઓને વળતર ચૂકવવા માટે અંદાજે 230 મિલિયન ડોલરથી 320 મિલિયન ડોલર ખર્ચવામાં આવશે. પ્રોજેક્ટ લીપ હેઠળ અલગ રાખવામાં આવેલી આ રકમને જોતા એવો અંદાજ છે કે આ બજેટ એકલા ભારતમાં જ 12,000થી 13,000 કર્મચારીઓને આવરી શકે છે. જો ભારતીય કર્મચારીનો સરેરાશ વાર્ષિક પગાર 15 લાખ રૂપિયા હોય અને તેમને છ મહિનાનું વળતર આપવામાં આવે, તો દરેક કર્મચારીને આશરે 7.5 લાખ રૂપિયા મળી શકે છે.
છટણી પાછળનું મુખ્ય કારણ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)
આઈટી સેક્ટરમાં આ છટણી પાછળનું મુખ્ય કારણ ટેકનોલોજીમાં આવી રહેલો બદલાવ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના આગમનથી કંપનીઓ હવે જૂના મોડલને છોડીને ઓછા લોકો સાથે વધુ કામ કરવાની પદ્ધતિ અપનાવી રહી છે. કોગ્નિઝન્ટના CEO રવિ કુમાર એસ.એ જણાવ્યું છે કે કંપની હવે જૂના પિરામિડ મોડલને બદલે નાના પિરામિડ મોડલ તરફ આગળ વધી રહી છે, જેમાં ડિજિટલ લેબર અને કાર્યક્ષમ વર્કફોર્સ પર વધુ ભાર મૂકવામાં આવશે.
- Advertisement -
અમેરિકન કંપની પણ ભારતમાં મોટું નેટવર્ક
કોગ્નિઝન્ટ મૂળ અમેરિકાની આઈટી સર્વિસ કંપની છે, પરંતુ તેનો સૌથી મોટો વર્કફોર્સ ભારતમાં છે. આ કંપની બેન્કિંગ, હેલ્થકેર, ઇન્સ્યોરન્સ અને ટેક સેક્ટરના ગ્રાહકોને ડિજિટલ, ક્લાઉડ અને કન્સલ્ટિંગ સેવાઓ પૂરી પાડે છે. કંપનીનો શેર અમેરિકાના NASDAQ માર્કેટમાં લિસ્ટેડ છે. જોકે, આ સંભવિત છટણી અંગે કંપની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવી નથી.




