કોરોનાના કહેર કરતા ખોટી અફવા અને વધારે બીકના કારણે માનવ જિંદગી જોખમમાં મુકાઇ રહી છે ત્યારે અત્રેના ગુંદાળા રોડ પર રહેતા પરિવારના બે વર્ષના બાળકથી લઈને 88 વર્ષના વૃધ્ધા કોરોના સંક્રમિત થવા પામ્યા હતા પરંતુ પરિવારે કોઇપણ જાતનો કોરોનાનો ડર રાખ્યા વગર ઘરમાં જ તબીબી સારવાર મેળવી સંપૂર્ણ પરિવાર સ્વસ્થ થયો છે તેમજ પરિવારના વડીલો એ વેક્સિનના બંને ડોઝ લીધા હોય વેક્સિનના ડોઝ સારવારમાં ફાયદાકારક રહ્યા હોવાનું જણાવ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરના ગુંદાળા રોડ ઉપર આવેલ બ્રહ્માણી પાર્કમાં રહેતા અને કાસ્ટિંગ ફોર્જિંગ વ્યવસાય સાથે સંકળાયેલા કુલદીપભાઈ વૃજલાલભાઈ વિરપરિયાનો નવ સભ્યોનો પરિવાર ક્રમશઃ કોરોના પોઝિટીવ થઇ જવા પામ્યો હતો જેમાં બે વર્ષના ભાણેજ આધ્યા, આર્યા, બહેન અંકિતા ડેનિસભાઈ જીવાણી, પુત્ર શિવમ, પત્ની પાયલબેન, પિતા વ્રજલાલભાઈ અને દાદીમાં રંભાબેન બાવનજીભાઇ વિરપરિયાનો સમાવેશ થયો હતો કોરોનાથી ગભરાયા વગર જ પરિવારના સભ્યોના આરટી પી સી આર, સી ટી સ્કેન સહિતના રિપોર્ટ કરાવ્યા હતા અને ખાનગી હોસ્પિટલના તબીબોની સલાહ લઈ ઘરે જ સારવાર કરાવી પરિવારના તમામ સભ્યો સ્વસ્થ થયા હતા.
- Advertisement -
આ તકે કુલદીપભાઈ જણાવ્યું હતું કે સદ્નસીબે થોડા સમય પહેલાં જ ઘરના વડીલોએ વેકસીનના બંને ડોઝ લઈ લીધેલા હતા જેનાથી તેઓને કોરોના સામે રિકવરી મેળવવામાં ઘણો ફાયદો થયો છે આ ઉપરાંત કુલદીપભાઈના માતા જ્યોત્સનાબેન ડાયાબિટીસના દર્દી હોય તેઓનું જોખમ વધુ જણાતું હતું પરંતુ તેઓએ વેકસીનના ડોઝ અગાઉ જ લઈ લીધેલા હોય કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા


